૧૫૪. ધુવાગામમાં કુસંગી કાકી, ઠાકુરદાસ અને તેની પત્ની ધનુબાઇ, ગાંગુબાઇ તથા બુદ્ધ ભકત એ સર્વેને મળે

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:45pm

પૂર્વછાયો- હવે હિંદુસ્તાનના, વળી લખું પરચા જેહ ।

સામર્થી શ્રીમહારાજની, સાંભળજયો કહું તેહ ।।૧।।

ધન્યધન્ય ધુવા ગામમાં, હરિજન જાતિ લુવાર ।

ભલા ભક્ત ભગવાનના, જેને હૈયે હેત અપાર ।।૨।।

એક બિંદા નામે જન જાણો, ભજે હરિ કરી ભાવ ।

તેની કાકી કુસંગણી, દલમાંહિ દુષ્ટ સ્વભાવ ।।૩।।

કરે ખેચરી નિત્ય ખરી, જેને હરિસંગાથે વેર ।

સતસંગી જાણી રીશ આણી, વાણી વદે જેવી ઝેર ।।૪।।

ચોપાઇ- બોલે અવળું ને નાખેછે આળ્યું, દિયે વણ વાંકે નિત્ય ગાળ્યું ।

સુતાંબેઠાં જાગતાં એ જાપ, ખાતાં પીતાં વઢે નિત્ય આપ ।।૫।।

કહે બિંદો તે બગડી ગયો, કરી સતસંગ સ્વામીનો થયો ।

એવું સહજાનંદમાં શું ભાળ્યું, એમ કહી કહી દીયે ગાળ્યું ।।૬।।

શ્વાસઉશ્વાસે એજ સ્મરણ, ભૂલી નહિ જયાં લગી આવ્યું મરણ ।

ત્રુટી નાડીયો પીડાણા પ્રાણ, આવ્યા લેવા દિઠા જમરાણ ।।૭।।

અતિ કાળા રિસાળા વિક્રાળ, ક્રોધવાળા કરુર કોપાળ ।

એવા દિઠા જમદૂત જયારે, દેવીદેવને સંભાર્યા ત્યારે ।।૮।।

વળી સેવ્યા હતા ભેખધારી, તેહ સર્વેને જોયા સંભારી ।

પણ કેણે કરી નહિ સાય, ડોશી પડી મહા દુઃખમાંય ।।૯।।

મારોમારો કરે જમરાણ, ડારે ડોશી થઇ છે હેરાણ ।

પછી તે સમે સ્વામી સંભાર્યા, લીધું નામ જમ સુણી ડર્યા ।।૧૦।।

ત્યારે ડોશીએ વારમવાર, કર્યો સ્વામિનામનો ઉચ્ચાર ।

આવ્યા અલબેલો એહ વાર, પોતા સાથે સખા અસવાર ।।૧૧।।

આપે બેઠા છે રથ અનુપે, શોભે છે રવિ કોટિ સ્વરૂપે ।

જોઇ આશ્ચર્ય આવિયાં જન, કર્યાં લાખો લોકે દરશન ।।૧૨।।

આવ્યા ડોશીને પાસે દયાળ, દેખી જમ ભાગ્યા તતકાળ ।

પછી ડોશીએ કર્યાં દર્શન, કરે સ્તુતિ કહે ધન્યધન્ય ।।૧૩।।

અહો પતિતપાવન ટેક, મારો ન જોયો અવગુણ એક ।

આ સમે સાય કિધું છે મારું, તેતો બિરૂદ સંભારી તમારું ।।૧૪।।

એમ કરી સ્તુતિ જોડી હાથ, તજી તન ચાલી હરિસાથ ।

સર્વે લોક કહે ધન્યધન્ય, આવડું શિયું ડોશીનું પુણ્ય ।।૧૫।।

આતો પરચો પૂર્યો ભગવાને, હશે મૂરખ તે નહિ માને ।

વળી એક કહું બીજી વાત, સહુ સાંભળજયો છે સાક્ષાત ।।૧૬।।

વળી એહ ગામે એહ જાત, ભક્ત ઠાકુરદાસ વિખ્યાત ।

તેની પત્ની નામ ધનુબાઈ, પ્રીત્ય બેઉને મહારાજમાંઇ ।।૧૭।।

કહે માંહોમાંહિ નરનાર, હવે તજવો વિષય વિકાર ।

થયાં સાંખ્યયોગી નરનારી, રહે ભેળાં પાળે વ્રત ભારી ।।૧૮।।

કોઇ કોઇનું અડે અંબર, કરે ઉપવાસ નારીનર ।

અજાણ્યે જો બેઉમાં બોલાય, તેહ દિવસે અન્ન ન ખવાય ।।૧૯।।

જયારે ઘરમાંઇ હોય નાર, ત્યારે પુરૂષ બેસે જઇ બાર ।

જયારે પુરૂષ હોય ઘરમાંઇ, ત્યારે બાર બેસે જઇ બાઇ ।।૨૦।।

પાળે વ્રત એવું માંહોમાંઇ, વિષયવાસના ન ઇચ્છે કાંઇ ।

એવી રીત્યે વીત્યા બહુ દન, કરે સ્વામીશ્રીજીનું ભજન ।।૨૧।।

તેતો સત્સંગી સર્વે જાણે, વર્તે છે સાંખ્યયોગ પ્રમાણે ।

હરિભક્તને લાગે એ સારું, બીજા વિમુખને લાગે ખારૂં ।।૨૨।।

કહે વિમુખ એમ અભાગી, જોજયો થઇ બેઠાં બેઉ ત્યાગી ।

શું સમજીને તજયો સંસાર, એમ બોલે બહુ નરનાર ।।૨૩।।

સતસંગ કહો કેમ કરિએ, કરિએ તો એ જેવાં થઇ ફરીએ ।

માટે વાત તો છે ઘણી સારી, પણ ધારીયે તો થાય ખુવારી ।।૨૪।।

એવું જાણીને જગજીવન, દિધાં એ બેઉને દર્શન ।

ભેળા બ્રહ્મચારી છે મુકુંદ, આવ્યા જન પાસે જગવંદ ।।૨૫।।

કહે ઠાકુરદાસને સ્વામી, થયું પુરૂં વ્રત નિષ્કામી ।

એહ ટેક ગ્રહી છે જે તમે, આજ મુકાવિએ છીએ અમે ।।૨૬।।

જે પાળે ગૃહસ્થ વ્રતમાન, તે સહુ સાંખ્યયોગીને સમાન ।

માટે માની અમારું વચન, કર્મયોગી થઇ કરો ભજન ।।૨૭।।

એમ કહી એને અવિનાશ, ગયા બીજા હરિજન પાસ ।

દિધાં દશવિશને દર્શન, થઇ પોત્યે પ્રભુજી પ્રસન્ન ।।૨૮।।

કૈક કુસંગીએ પણ દિઠા, પ્રકટ પ્રમાણ રથે બેઠા ।

નરનારી સહુ આશ્ચર્ય પામ્યાં, ધન્યધન્ય કહી શિશ નામ્યાં ।।૨૯।।

કહે સાચા સ્વામી સાચા જન, થયાં એ વડ્યે અમને દર્શન ।

આતો પરચો અલૌકિક જાણો, સહજાનંદ સમર્થ પ્રમાણો ।।૩૦।।

વળી એ ગામે લુવારમાંઇ, હરિજન નામ ગાંગુબાઇ ।

અતિહેત પ્રીત્યે ભજે હરિ, પાળે નિયમ સર્વે ભાવે કરી ।।૩૧।।

એક દિવસ બાઇને સંગે, ગઇ ઇધણાં લેવા ઉમંગે ।

વીણે ઇધણાં ગરબી ગાય, અતિહેત હૈયામાં ન માય ।।૩૨।।

જોઇ પ્રેમ એનો અવિનાશ, આવ્યા પ્રકટ પ્રભુજી પાસ ।

દિધાં સહુ બાઇયોને દર્શન, નિર્ખિ નાથને થયાં મગન ।।૩૩।।

વાલો ગાવા લાગ્યા સંગે ગીત, જોઇ પોતાના જનની પ્રીત ।

નિર્ખિ સ્વામી શ્રીસુખદાઇને, થઇ સમાધિ ગાંગુબાઇને ।।૩૪।।

દિઠો બ્રહ્મમહોલ ગોલોક, શ્વેતદ્વીપ વૈકુંઠ વિશોક ।

અક્ષરધામ ને ધામના વાસી, દિઠા સમાધિમાં સુખરાશી ।।૩૫।।

જોયાં ધારણામાં જેજે ધામ, જાગી લીધાં છે તેહનાં નામ ।

સુણી આશ્ચર્ય પામિયાં સહુ, કહે આતો વાત મોટી બહુ ।।૩૬।।

જોને પ્રભુજી પ્રકટ પ્રમાણ, દિધાં દર્શન શ્યામ સુજાણ ।

આતો વાત અલૌકિક ભારી, થયો પરચો કહે નરનારી ।।૩૭।।

વળી દ્વિજભક્ત એહ ગામે, ભાઈ બે બુદ્ધ મદારી નામે ।

ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ, જાણી સતસંગ સાચો સુજાણ ।।૩૮।।

કરે ઉદ્યમ નિર્વાહકાજ, ભાવેશું ભજે શ્રીમહારાજ ।

એક દિવસ વેવાર સારૂં, કર્યું માંહોમાંહિ મારૂં તારૂં ।।૩૯।।

તેને વીતિ ગઇ ઘડી ચાર, ત્યારે બુદ્ધે કર્યો છે વિચાર ।

ધિકધિક એ વહેવારમાંઈ, એક હરિભક્ત મારો ભાઈ ।।૪૦।।

તે શું બોલ્યો હું તાણ્યમતાણ્ય, મું જેવો નહિ કોઇ અજાણ્ય ।

એમાં કુરાજી થાશે મહારાજ, એથી ખોટ્ય મોટી શી છે આજ ।।૪૧।।

એમ કહીને બેઠો ભજને, માનસી પૂજા કરવા મને ।

પછી માનસી પૂજામાં ઘણી, કરી સ્તુતિ સ્વામી સંતતણી ।।૪૨।।

અતિ દીનપણું દલ આણી, બોલ્યા ગદ્ગદ્ કંઠે વાણી ।

થયો અપરાધ મુંથી મહારાજ, તેનો ગુનો બક્સજયો આજ ।।૪૩।।

એવી સાંભળી જનની વાણી, આવ્યા દીનબંધુ દીન જાણી ।

દિધાં દાસને દર્શન નાથે, નિરખ્યા બાઇ ભાઇ સહુ સાથે ।।૪૪।।

બુદ્ધ લળી લાગ્યો પ્રભુ પાય, નિર્ખિ નાથ હરખ ન માય ।

કહે ધન્યધન્ય મારા નાથ, આજ મુજને કર્યો સનાથ ।।૪૫।।

પછી તરત કર્યો દુધપાક, કર્યાં પાસળે સુંદર શાક ।

બીજાં કર્યાં છે બહુ ભોજન, વળી વિધવિધનાં વ્યંજન ।।૪૬।।

તેણે જમાડ્યા જગજીવન, જનભાવે જમ્યા ભગવન ।

બોલ્યા જમતાં જમતાં નાથ, હેત રાખીયે હરિજન સાથ ।।૪૭।।

સાચા સગા સતસંગી જાણો, આ લોક પરલોકના પ્રમાણો ।

તેશું વઢી ન કિજીયે વેર, માંહોમાંહિ ન વાવીયે ઝેર ।।૪૮।।

એમ વાત કરી ભગવન, દીધાં બહુ જનને દર્શન ।

દિઠા સહુ જને પ્રકટ પ્રમાણ, પછી ન દિઠા શ્યામ સુજાણ ।।૪૯।।

ત્યારે આશ્ચર્ય પામ્યા તેવાર, થયો પરચો કહે નરનાર ।

એમ કહીને પામ્યા આનંદ, નિશ્ચે જાણો કહે નિષ્કુળાનંદ ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને ચોપનમું પ્રકરણમ્ ।।૧૫૪।।