વચનવિધિ કડવું - ૫૨ જરૂર જાણજો જન જીવમાં, પામવું છે પરમ આનંદ રે; પદ-૧૩

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:51pm

વચનવિધિ આ ગ્રંથ છે રૂડોજી, હરિવિમુખને લાગશે કૂડોજી
જેને પેરવો છે પરનરનો ચૂડોજી, તે તો કે’શે આ કવિ કાલૂડોજી

કાલુડાઈમાં ગ્રંથ કર્યો, તેમાં વગોવ્યા વિમુખ અતિ ।।
દીઠા દુઃખિયા વિમુખને, ત્યારે સનમુખ શી પામ્યા ગતિ ।। ર ।।

એમ કહી અભાગિયા, કોઈ વિમુખપણું તજતા નથી ।।
વચનદ્રોહીપણું દઢ કરી, હરિ કોઈ ભજતા નથી ।। ૩ ।।

હરિ ભજશે જન હરિના, માની મનમાં મોટા સુખને ।।
સદા રહેશે સત્સંગમાં, નહિ વસે પાસ વિમુખને ।। ૪ ।।

વિમુખથી રહી વેગળા, કરી લેશે પોતાના કામને ।।
સાચા સંતની શીખ લઈ, પામશે પ્રભુના ધામને ।। પ ।।

જે ધામને શુક સનકાદિક, વખાણે છે વારમવાર ।।
તે ધામને પામશે, વામશે સરવે વિકાર ।। ૬ ।।

અવશ્ય કરવાનું એ જ છે, તે કરી લેશે કારજ ।।
છેલ્લી શિખામણ સાંભળી, તેમાં ફેર નહિ રાખે એક રજ ।। ૭ ।।

પૂરણ સુખને પામવા,  એટલું  તો  ધારવું  ઉર ।।
નિષ્કુળાનંદ નિશ્ચે કરી, જોઈએ આ વાત જાણવી જરૂર ।। ૮ ।।

પદ-૧૩

રાગ
‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ એ ઢાળ.

જરૂર જાણજો જન જીવમાં, પામવું છે પરમ આનંદ રે;
જે રે આનંદ જાય નહિ કહ્યે, સદા સર્વે સુખનું છે કંદ રે…જરૂર૦ ૧
અચળ અખંડ એનું નામ છે, અક્ષર અનંત અનુપ રે;
જે એ પામે તે પાછો નવ પડે, એવું છે એ સત્ય સ્વરૂપ રે…જરૂર૦
આવે નહિ એકે જેને ઉપમા, જડે નહિ બીજી જેની જોડ રે;
શોધતાં ન મળે સંસારમાં, ત્રિલોકે નહિ તેની તડોવડ રે…જરૂર૦
મહા મોટું સુખ માની મનમાં, મોટા મોટા મૂકી ચાલ્યા રાજ રે;
તે તો સુખ મળે છે સે’જમાં, સત્સંગમાંહી રે’તા આજ રે…જરૂર૦
પૂરણ સુખને જયારે પામિયે, ત્યારે ઝાઝી કરવી જતન રે;
સદાયે રહિયે એ સાચવતાં, જેમ રાંક સાચવે રતન રે…જરૂર૦
ગાફલપણે જો ઘણું ઘરમાં, જોતાં જોતાં થઈ જાયે જયાન રે;
માટે પ્રમાદપણું પરહરી, સદાય રે’વું જો સાવધાન રે…જરૂર૦
લાભ અલભ્યને લઈ કરી, બેઠા છીએ બેપરવાઈ રે;
સ્વામી સહજાનંદ સેવતાં, કસર રહી નથી કાંઈ રે…જરૂર૦
સદા રે’વું મનમાં મગન થઈ, કેદિયે ન માનવું કંગાલ રે;
નિષ્કુળાનંદ કહે નીલકંઠ મળ્યે, થયાં છીએ નિર્ભય નિયાલ રે…જરૂર૦

દોહા:-

આ ગ્રંથ અતિ અનુપમ છે, મુખ દેખાડવા દરપણ ।।
પણ હબશી મુખ જોઈ હૈયે, લિયે નહિ લગારે ગુણ ।। ૧ ।।
દેખી મુખ દુઃખિયો થઈ, કરે ગ્રંથ મુકુર  પર રોષ ।।
જેમ છે તેમ દેખાડિયું, ગ્રંથ દર્પણનો શો દોષ ।। ર ।।
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતઃ વચનવિધિઃ સંપૂર્ણઃ ।