ગઢડા મઘ્ય ૨૦ : સમાધિનિષ્ઠને જ્ઞાનશકિત ને ઈન્દ્રિયોની શકિત કેમ વૃદ્ધિ પામે છે ? તેનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 2:46am

ગઢડા મઘ્ય ૨૦ : સમાધિનિષ્ઠને જ્ઞાનશકિત ને ઈન્દ્રિયોની શકિત કેમ વૃદ્ધિ પામે છે ? તેનું

સંવત્ ૧૮૭૮ ના પોષ વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળો ચોફાળ ઓઢીને તે ઉપર છીંટની રજાઇ ઓઢી હતી, ને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇ ને બેઠી હતી અને પરમહંસ તાલ મૃદંગ વજાડીને કીર્તન બોલતા હતા.

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, “આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલા ખાચર આદિક હરિભક્ત તેમને અમે એક પ્રશ્ર્ન પુછયો છે, તેનો સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો.” પછી પરમહંસે કહ્યું જે, “હે મહારાજ ! એ પ્રશ્ર્ન અમને સંભળાવો.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સમાધિનિષ્ઠ પુરૂષ થાય છે તેને તો માયા થકી પર સ્‍થ્‍િાતિ થાય છે અને ભગવાનના સ્‍વરૂપનો પણ દઢ સંબંધ રહે છે, માટે એ સમાધિનિષ્‍ઠને તો જ્ઞાનશકિત તથા દેહ ઇન્‍દ્રિયોની શકિત તે વૃદ્ધિ પામી જોઇએ, શા માટે જે, માયા થકી જે ચોવીસ તત્ત્વ થયાં છે તે જડ ચૈતન્‍યરૂપ છે પણ એકલાં જડ ન કહેવાય. તેમ એેકલાં ચૈતન્‍ય પણ ન કહેવાય. અને તે તત્‍વમાં શકિત પણ સરખી ન કહેવાય. ઇન્‍દ્રિયો થકી અંત:કરણમાં જાણપણું વિશેષ છે. અને અંત:કરણ થકી ઇન્‍દ્રિયો અંત:કરણનો દ્રષ્‍ટા જે જીવ તેમાં જ્ઞાન વિશેષ છે. તે જીવને જ્યારે સમાધિ થાય છે ત્‍યારે ઇન્‍દ્રિયો અંત:કરણના દ્રષ્‍ટાપણાનો ત્‍યાગ કરીને, માયા પર જે બ્રહ્મ તે સરખો એ જીવ ચૈતન્‍ય થાય છે અને ભગવાનના સ્‍વરૂપનો સંબંધ રહે છે. તે સમાધિવાળાને કેટલાક એમ સમજે છે જે, ‘જેને સમાધિ થાય છે તેને તો મોરે સમજણ હતી તેટલી પણ રહેતી નથી.’ માટે એ સમાધિવાળાને જ્ઞાન તથા દેહ ઇન્‍દ્રિયોની શકિત વૃદ્ધિ પામે છે કે નથી પામતી?” એ પ્રશ્ર્ન છે. પછી પરમહંસે જેવી જેની બુદ્ધિ પૂગી તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના એ પ્રશ્ર્નનો ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો અમે ઉત્તર કરીએ. એ પ્રશ્ર્નનો તો એમ ઉત્તર છે જે, સાક્ષી જે બ્રહ્મ તે તો માયામાંથી ઉત્‍પન્ન થયું એવું જે ચોવીશ તત્ત્વાત્‍મક બ્રહ્માંડ તેને વિષે પ્રવેશ કરીને તેને ચૈતન્‍યમય કરે છે, અને તેને સર્વ ક્રિયા કરવાની સામર્થિ આપે છે. અને તે બ્રહ્મનો એવો સ્‍વભાવ છે જે, કાષ્‍ઠ તથા પાષાણ જેવું જડ હોય તેને વિષે પ્રવેશ કરે ત્‍યારે તે ચાલે હાલે એવું થઇ જાય છે, તે બ્રહ્મ સંધાથે સમાધિએ કરીને તુલ્‍યભાવને પામે ત્‍યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે, અને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને ઇન્‍દ્રિયોની શકિત તો જ્યારે તપ ને નિવૃત્તિધર્મ ને વૈરાગ્‍ય, તેણે યુક્ત યોગાભ્‍યાસ હોય તેને શુકજીના જેવી સિદ્ધદશા પ્રાપ્‍ત થાય છે. અને જેને તપ તથા નિવૃત્તિધર્મ તથા વૈરાગ્‍ય, તેનું સામાન્‍યપણું હોય અને ધર્મ, અર્થ ને કામરૂપ જે પ્રવૃત્તિમાર્ગ તેને વિષે રહ્યો હોય તેને તો સમાધિ થાય. તોય પણ એકલું જ્ઞાન જ વૃદ્ધિ પામે પણ ઇન્‍દ્રિયોની શકિત વૃદ્ધિ પામીને સિદ્ધદશા ન આવે. અને જેમ જનક રાજા જ્ઞાની હતા તેવો જ્ઞાની થાય, પણ પ્રવૃત્તિમાર્ગવાળાને નારદ, સનકાદિક, શુકજીના જેવી સિદ્ધદશા ન પમાય. અને જે સિદ્ધ હોય તે તો શ્વેતદ્વીપ આદિક જે ભગવાનનાં ધામ તેને વિષે એને એજ શરીરે કરીને જાય, અને લોકઅલોક સર્વ ઠેકાણે એની ગતિ હોય, અને પ્રવૃત્તિમાર્ગવાળાને તો જનકની પેઠે કેવળ જ્ઞાનની જ વૃદ્ધિ થાય છે પણ જ્ઞાન ધટતું નથી. અને જેમ શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું તેમ તો થાય છે. ત્‍યાં શ્લોક છે:-

“યા નિશા સર્વભૂતાનાં તસ્‍યાં જાગર્તિ સંયમી | યસ્‍યાં જાગર્તિ ભૂતાનિ સા નિશા પશ્‍યતો મુને: ||”

એ શ્લોકનો એ અર્થ છે જે, “જેને વિષે ભૂતપ્રાણીમાત્ર સૂતા છે તેને વિષે સંયમી પુરૂષ જાગ્‍યા છે, અને જેને વિષે ભૂતપ્રાણીમાત્ર જાગ્‍યા છે તેની કોરે સંયમી પુરૂષ સુતા છે.” માટે જે પુરૂષની અંતરાત્‍મા સન્‍મુખ દૃષ્ટિ વર્તતી હોય તેને દેહ, ઇન્‍દ્રિયો, અંત:કરણની કોરે શૂન્‍યભાવ વર્તે છે તેને દેખીને અણસમજુ હોય તે એમ જાણે જે, “સમાધિવાળાને જ્ઞાન ઓછું થઇ જાય છે.” પછી રજોગુણ, તમોગુણમાં તથા મલિન સત્ત્વગુણમાં રહીને આ પ્રશ્ર્નનો ઉત્તર કરવા જાય તેને એમ જ સુઝે જે, “સમાધિવાળાને જ્ઞાન ઓછું થઇ જાયછે.” પણ એમ નથી જાણતો જે,” હું દેહાભિમાની છું તે મૂર્ખાઇમાંથી કહું છું. માટે સમાધિવાળો તો દેહ, ઇન્‍દ્રિયો, અંત:કરણથી જુદો પડીને વર્તે છે તો પણ જ્ઞાનની વૃદ્ધિ થાય છે, અને પાછો ઇન્‍દ્રિયો અંત:કરણમાં આવીને વર્તે તો પણ પોતાને સમાધિને વિષે જે જ્ઞાન થયું છે તેનો નાશ થાય નહિ. અને તપ, નિવૃત્તિધર્મ અને વૈરાગ્‍ય તેને ગ્રહણ કરીને પ્રવૃત્તિ માર્ગનો ત્‍યાગ કરે તો  જેમ જ્ઞાન વૃદ્ધિ પામ્‍યું છે તેમ ઇન્‍દ્રિયો અંત:કરણની શકિતઓ પણ વૃદ્ધિ પામે અને નારદ, સનકાદિક, શુકજીના જેવી સિઘ્‍ધ  ગતિને પણ પામે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૨૦|| ૧૫૩ ||