તરંગ - ૩૬ - શ્રીહરિએ ચીભડી મીઠી કરી

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:05am

 

રાગ સામેરી- સદબુદ્ધિ દ્યો સ્વામી મુને, શ્રીહરિ સહજાનંદ । અલ્પમતિયે ગુણ ગાઉં, સહાય કરો સુખકંદ ।।૧।।

એકસમે મીનસાગરે, ત્રિખુણી ખેતરમાંયે । મકૈ ચીભડાં ભેગાં વાવ્યાં, વશરામજીયે ત્યાંયે ।।૨।।

ચીભડીયે ચીભડાં બેઠાં, ચાખી જોયાં તેણીવાર। વિખસર્ખાં કડવાં થયાં, કરે છે મન વિચાર ।।૩।।

ઘેર આવી ભક્તિમાતાને, કેવા લાગ્યા નિરધાર । ચીભડી તો થૈછે ઘણી પણ, કડવી છે તે અપાર ।।૪।।

મીઠાં હોત તો ખાત સર્વે, મોટાં નાનાં જે બાલ । એમ કહી થયા ઉદાસી, ત્યારે બોલ્યા દયાળ ।।૫।।

જુવો મામા હું લેઇ આવ્યો, ચીભડાં આણી વાર । સુધારી સહુ ચાખી જુવો, કડવાં નથી લગાર ।।૬।।

એમ કહી સુધારી દીધાં, વેંચી આપ્યાં અવિનાશ । અમૃત જેવાં મીઠાં લાગ્યાં, હરિ લીધી કડવાશ ।।૭।।

શ્યામનો પ્રતાપ જોઇને, વિસ્મય પામ્યા વશરામ । પ્રભુપણાનો નિશ્ચય થયો, દેખી અદ્બૂત કામ ।।૮।।

ઘનશ્યામને સાથે લેઇ, ગયા તે ખેતરમાંયે । ચીભડાં સર્વે ચાખી જોતાં, મીઠાં નીકળ્યાં ત્યાંયે ।।૯।।

બહુનામી વળી બોલિયા, સુણો મામા સદમત્ય । પ્રથમ મુને જમાડવા, તમે વિચાર્યું તું સત્ય ।।૧૦।।

માટે ચીભડાં મીઠાં થયાં, સમજો એમ સદાય । દેવને અર્પણ કરીયે, તો કરે આપણી સાય ।।૧૧।।

પ્રભુનાં એ વચન સુણી, મામા થયા છે પ્રસન્ન । ચીભડાં લઇ શ્યામ સાથે, આવ્યા નિજ સદન ।।૧૨।।

ભક્તિધર્મ જોખન આદિ, બીજાં સઘળા જન । જમાડયાં ચીભડાં સહુને, વિચારી શુભ મન ।।૧૩।।

મંછારામની માતુ બોલ્યાં, સુણો પુત્ર કહું કામ । આપણાં ખેતરમાંથી, બગાડે છે ઘનશ્યામ ।।૧૪।।

ના કેજો તે આવે નહિ, ખેતરમાં કોઇ દિન । એ વાત અંતર્યામિપણે, જાણી ગયા જીવન ।।૧૫।।

ચીભડીયો સુકાવી દીધી, ખેતરમાંથી તમામ । તે જોઇ સહુ કેવા લાગ્યાં, કેમ થયું આ કામ ।।૧૬।।

ત્યારે મંછારામ ઉચર્યા, એતો જાણે ભગવાન । ઘનશ્યામજી પાસે હતા, તે બોલી ઉઠયા નિદાન ।।૧૭।।

હા ભાઇ એ સાચી વાત છે, પ્રભુ જાણે તે મર્મ । બીજો કોઇ શું જાણી શકે, કારણનો અનુક્રમ ।।૧૮।।

આવું મર્મનું વાક્ય સુણી, સમજ્યા છે વશરામ । ઘનશ્યામજી તમ વિના, નથી બીજાનું આ કામ ।।૧૯।।

હવેથી હમેશ લાવજ્યો, જેમ રાજી થાવો મન । મકૈ ચીભડાં સારી પેઠે, જમજ્યો પ્રાણજીવન ।।૨૦।।

તે સુણીને માતાપિતાને, લાવી જમાડે નિત્ય । વેણી માધવ પ્રાગ આદિ, તેને આપે કરી પ્રીત ।।૨૧।।

જે જે ખેત્રમાં હરિ ફર્યા, જમ્યા છે ચીભડાં આપ । તે તે ખેત્રમાં ઘણું પાક્યું, હરિઇચ્છાથી અમાપ ।।૨૨।।

વળી ગાય છે એક ગોમતી, સગ્દુણવાળી સાર । દુહેછે ત્યારે એકટંકે, દુધ આપે શેર ચાર ।।૨૩।।

તે ઘનશ્યામને વહાલી છે, એને વ્હાલા ઘનશ્યામ । તેની પરીક્ષા જોવા લાગ્યાં, સુવાસિનીબાઇ નામ ।।૨૪।।

એકસમે ધર્મદેવને, સાથે ત્રણ કુમાર । જમવા બેઠા જોડાજોડે, રસોડામાં તે વાર ।।૨૫।।

સુવાસિનીયે થાળ પીરસ્યા, ભોજન નાનાપ્રકાર । ન્યૂનાધિક પય આપ્યું છે, લેવા પરીક્ષા સાર ।।૨૬।।

ધર્મ ને રામપ્રતાપને, આપ્યું છે શેર શેર । ઇચ્છારામ ને શ્રીહરિને, દીધું દુધ એક શેર ।।૨૭।।

ભક્તિમાતા આદિક સર્વે, જમીને થયાં તૈયાર । સુવાસિની બાઇ ગયાં છે, ગાય દોવા નિરધાર ।।૨૮।।

બશેર દુધ તે ટાંણે દીધું, કરી માતાને વાત । માતા કે તમે જમાડયામાં, કર્યો હશે પક્ષપાત ।।૨૯।।

હતી તેવી વાત કહી, માતાજીને તે સત્ય । ફરીને પણ એમ કરી, દોહવા બેઠાં સદમત્ય ।।૩૦।।

તારે તો એક શેર આપ્યું, વધુ ન દીધું લગાર । વળી માતાને વાત કરી, વિસ્તારી ને એ સાર ।।૩૧।।

મૂર્તિ કે સુવાસિની તમે, પીરસો સહુને સમાન । ત્યારે ચાર શેર આપશે, એ ગાય છે ગુણવાન ।।૩૨।।

પછે જ્યારે જમવા બેઠા, ધર્મ સહિત કુમાર । ચારેને સરખું દુધ આપ્યું, ત્યારે દીધું શેર ચાર ।।૩૩।।

તે સતીએ જાણ્યો મહિમા, ઘનશ્યામનો અપાર । શીશ નમાવી સ્તુતિ કરે, વંદેછે વારમવાર ।।૩૪।।

ગાયની ત્યાં કરી પરીક્ષા, સમજીયા સહુ સાર । શ્રીહરિવરની માયાનો, પામે નહિ કોઇ પાર ।।૩૫।।

ઘણા ગુણ છે એ ગાયમાં, શું વખાણું આણી વાર । જ્યારે જેટલી વાર બેસે, દુધ આપે શેર ચાર ।।૩૬।।

ખાતાં પીતાં ચોથે દિવસે, કરે વલોણું જે વાર । તો પણ એના એ પ્રમાણે, ઘી ઉતરે શેર ચાર ।।૩૭।।

સુવાસિની હરિ આગળ, સ્તુતિ કરે જોડી કર । હે દયાળુ હે હરિકૃષ્ણજી, ક્ષમા કરો મુજ પર ।।૩૮।।

સુરભીનો સ્નેહ જોવા સારૂં, મેં કર્યું આ કામ । દોષ ન જોશો મમ વિષે, દીનબંધુ ઘનશ્યામ ।।૩૯।।

સુરભીનો જે સ્નેહ છે, તેવો મારે થજ્યો મહારાજ । તવ મૂર્તિમાં નિશદિન, ભક્તિ આપો મુને આજ ।।૪૦।।

તવ રૂપનું દિવ્ય ભાવથી, હું ધરૂં નિત્યે ધ્યાન । મનુષ્ય બુદ્ધિ ન આવે મુને, એ આપો વરદાન ।।૪૧।।

મધુર ને કોમળ વાણી, સાંભળી દીનદયાળ । ભાભીને વરદાન આપ્યાં, કૃપા કરી તતકાળ ।।૪૨।।

ઇતિ શ્રી મદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ચીભડી મીઠી કરી એ નામે છત્રીશમો તરંગ ।।૩૬।।