સારસિદ્ધિ કડવું - ૨૭

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:17pm

પરમ ધર્મ કહિયે સારમાં સારજી, સંત સરાયે જેને વારમવારજી

નથી કોઈ આવતું ધર્મની હારજી, ધર્મ તે ધારી કહું નિરધારજી ।।૧।।

ઢાળ - 

નિરધાર સાર શોધી કહું, ધારી લેજો ધર્મની રીત ।।

જે ધર્મે અધર્મ ટળે, કહું તે ધર્મ કરી પ્રીત ।। ર ।।

ધર્મ તે ધર્મસુતનાં વચન, તેહ પાળવાં પ્રીતે કરી ।।

જેને જેમ કરી આગન્યા, તે ફેરવવી નહિ ફરી ।। ૩ ।।

આગન્યાથી અધિક બીજો, નથી આવતો ધાર્યામાંય ધર્મ ।।

તોળી તપાસી જોયું તને મને, એ જ ધર્મ છે વળી પર્મ ।। ૪ ।।

ત્યાગી ગૃહી જન જેહને, કરી જેને તે જેમ આગન્યા ।।

તેને તે તેમ વર્તવું, નવ વરતવું વચન વિના ।। પ ।।

વચનમાં જેહ વરતે, તે પરમ ધર્મ પાળનાર ।।

વચન વિરોધી જે વરતે, તે સર્વે ધર્મ ટાળનાર ।। ૬ ।।

અવિનાશીની જે આગન્યા, તે સમજવું શુદ્ધ ધર્મને ।।

ધારી વિચારી રાખવી હૃદયે, તો પામિયે સુખ પરમને ।। ૭ ।।

વર્ણ આશ્રમ વેદવિધિના, ધર્મ પાળે છે ધરા ઉપરે ।।

વે’વાર અર્થે વિવિધ ભાતે, પાળે છે તે બહુ પેરે ।। ૮ ।।

પણ પરમ ધર્મ છે વાલાનાં વચન, તે કહ્યાં જેને કૃપા કરી ।।

તેહ વિના બીજાં સર્વે, પરાં મૂકવાં પરહરી ।। ૯ ।।

મોટો ધર્મ એ માનવો, જેહ કહ્યો ધર્મને બાળ ।।

નિષ્કુળાનંદ મુખોમુખનાં વચન, ન ઉલ્લંઘવાં કોઈ કાળ ।। ૧૦ ।।કડવું।।૨૭।।