લોયા ૧૭ : સ્તુતિનિંદાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 1:16am

લોયા ૧૭ : સ્તુતિનિંદાનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ અમાસને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો. ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી. તથા ગરમ પોસની રાતી ડગલી માંહેલી કોરે ધોળે અંગરખે સહિત પહેરી હતી. તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાળ ઓઢીને તે ઉપર પીળી રજાઇ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. એવી રીતે શ્રીજીમહારાજ પ્રસન્ન થકા રાત્રિને સમે વિરાજમાન હતા.

પછી શ્રીજીમહારાજ પોતાની મેળે બોલ્‍યા જે, ”જુવોને ભગવાનની માયાનું બળ કેવું છે જેણે કરી વિપરીતપણું ઘણું થાય છે, કેમ જે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશે ભૂંડો થઇ જાય છે.” એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, ‘આજ તો પ્રશ્ર્ન પુછો તો વાર્તા કરીએ.’ ત્‍યારે નિત્‍યાનંદ સ્વામીએ પુછયું જે, ”હે મહારાજ ! પ્રથમ સારો હોય ને સ્‍તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સુઝે એવો દેશ, કાળ, ક્રિયા, સંગ, વિષમ થાય તો પણ સારો ને સારોજ રહે પણ કોઇ રીતે વિપરીત મતિ થાય નહિ. તે શાણે કરીને થાય ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને દેહનો અનાદર હોય, ને દૃઢ આત્‍મનિષ્‍ઠા હોય, ને પંચવિષયમાં વૈરાગ્‍ય હોય અને ભગવાનનો માહાત્‍મ્‍યે સહિત યથાર્થ નિશ્વય હોય, એવાને સુઝે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહિ. અને જે દેહાભિમાની હોય, ને પંચવિષયનો અતિશે અભાવ ન થયો હોય, તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે, ત્‍યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે, ને ભગવાનનો પણ અભાવ આવે. અને ભગવાનનો તો યથાર્થ નિશ્વય હોય તો પણ જો પંચવિષયનો અત્‍યંત અભાવ ન થઇ ગયો હોય, ને તેની આસકિત હોય, ને તે વિષયનું મુકતાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્‍ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે.”

પછી વળી નિત્‍યાનંદસ્વામીએ પુછયું જે, ”કોઇકને દેહાભિમાન તથા પંચવિષયની આશકિત હોય તો પણ તે સત્‍સંગમાં નભ્‍યો જાય છે. તે કેમ સમજવું ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”એને જ્યાં સુધી કોઇક ધક્કો નથી લાગ્‍યો ત્‍યાં સુધી નભ્‍યો જાય છે, પણ જ્યારે કોઇક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, ક્રોધ, એને ખોદશે ત્‍યારે એને જરૂર સંતનો અભાવ આવશે, ત્‍યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે. ને સત્‍સંગમાંથી વિમુખ થશે. જેમ સપર્ લાળ નાખી હોય એવું જે દૂધસાકર તેને જેણે પીધું હોય ને તે જીવે છે તો પણ તે ઘડી બે ઘડીમાં, સાંજ-સવારે, આજ-કાલ, જરૂર મરનારો છે. તેમ જે દેહાભિમાની છે તે મહિને, બે મહિને, વષર્, બે વષર્, દશ વષર્, દેહ મુકયા સમે, દેહ મુકીને, જ્યારે ત્‍યારે પણ એ જરૂર સંતનો અભાવ લઇને પડી જશે. અને જેને દેહાભિમાન ન હોય અને એમ સમજતો હોય જે, અંત:કરણ ઇંદ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે, હાલે છે, એવો જે સત્તારૂપ આત્‍મા તે હું છું. તે હું ધન સ્‍ત્રીયાદિક કોઇ પદાર્થે કરીને સુખી થાઉ એવો નથી, ને એ પદાર્થ ન મળે તેણે કરીને દુ:ખી થાઉ એવો નથી, એમ દૃઢ સમજણ જેને હોય તેને સંત ગમે તેવી રીતે પંચવિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઇ રીતે આવે નહિ, અને તુચ્‍છ પદાર્થ સારૂં સંત સાથે બખેડો થાય નહિ. ને આંટી પણ પડે નહિ.”

પછી નિત્‍યાનંદ સ્વામીએ પુછયું જે, ”જેને પંચ વિષયનો અભાવ હોય તે કેમ જણાય ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય જે, જ્યારે કાંઇ સારું ખાવાનું આવે ત્‍યારે  તેને ખાય પણ જેમ જેવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહિ, મુંઝાઇ જાય. અને લુગડાં જેવાં તેવાં જાડાં પહેરતો હોય તેમાં આનંદ હોય તેવો ઝીણાં લુગડાં પહેરવાં પડે તેમાં આનંદ ન રહે ને મન મુંઝાઇ જાય. તેમજ સારી પથારી હોય અથવા કોઇક માન દે ઇત્‍યાદિક જે જે સારા પદાર્થનો યોગ થાય ત્‍યારે તેમાં તેનું મન મુંઝાય પણ તેમાં કોઇ રીતે આનંદ પામે જ નહિ, ત્‍યારે તેને એમ જાણીએ જે, ‘એને વિષયને વિષે અભાવ છે.’

પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, હે મહારાજ ! એ પંચવિષયનો અભાવ કેમ થાય ? ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “વિષયનો અભાવ થયાનું મુખ્‍ય સાધન તો પરમેશ્વરનું માહાત્‍મ્‍ય છે ને પછી આત્‍મનિષ્‍ઠા ને વૈરાગ્‍ય છે. તે માહાત્‍મ્‍ય તે શું ? તો જે, ભગવાનની બીકે કરીને ઇન્‍દ્ર વષર્ છે, સૂર્ય, અગ્‍નિ, ચંદ્રમા પ્રકાશ કરે છે, પૃથ્‍વી સર્વેને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોપતો, ઔષધીઓ ઋતુને પામીને ફળે છે અને જે ભગવાન જગતની ઉત્‍પત્તિ, સ્‍થ્‍િાતિ, પ્રલયને કરે છે, અને જેની શકિત કાળ છે, માયા છે, પુરૂષ છે, અક્ષર છે,”  એવી રીતે જે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે તે બંધન કરે ? કામ, ક્રોધ, લોભ, માન,ઇર્ષ્યા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્‍ત્રી તથા જે જે પંચવિષય સંબંધી પદાર્થ તે એને કોઇ બંધન કરે નહિ. કાં જે, એણે તો સર્વેનું પરિમાણ કરી રાખ્‍યું છે જે, ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનના ભજનસ્‍મરણ, કથા વાર્તાને વિષે માલ છે, અને અક્ષર તે આવું છે, ને આવું એ અક્ષરસંબંધી સુખ છે, તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વિપ, સંબંધી સુખ તે આવું છે, અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે, ને સ્‍વર્ગનું સુખ તે આવું છે, તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે.’ એવી રીતે એ સર્વના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને  સર્વથી અધિક માનીને જે ભગવાનને વિષે જોડાણો હોય તેને કયો પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે ? કોઇ ન પાડે. જેમ પારસમણિ હોય તે કોઇક લોઢાને અડીને તેનું સોનું થયું તે સોનું પાછું પારસમણિનું કર્યું પણ લોઢું થાય નહિ, તેમ એવું જેણે ભગવાનનું માહાત્‍મ્‍ય જાણ્‍યું છે તે ભગવાનનો પાડયો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહિ, તો શું બીજે પદાર્થે કરીને એ પડે ? ન પડે, અને એ ભગવાનને ભજતા હોય એવા જે સંત તેનું પણ એ બહુ માહાત્‍મ્‍ય સમજે જે, ‘એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત્ ઉપાસક એ સંત છે. માટે એ બહુ મોટા છે.’ જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા પણ જો આવી રીતે ભગવાનનું માહાત્‍મ્‍ય સમજતા હતા તો પોતાને કાંઇ ડહાપણનું માન ન રહ્યું, ને ગોપીયોના ચરણની રજને પામવાને ઇછયા, અને વૃક્ષવેલીનો અવતાર માગ્‍યો, કેમ જે એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે, તે ભગવાનને વિષે એ ગોપીયોની પ્રીતિ અતિશય ભાળી. તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે ? અને તેને નમાય કેમ નહિ ? તેને આગળ તો દાસાનુદાસ થઇને રહેવાય. અને પાંચ પાંચ ખાસડાં મારે તો પણ ખમે, અને એમ સમજે જે, ‘મારાં મોટાં ભાગ્‍ય થયાં જે એવા સંતનો હું તિરસ્‍કાર સહું છું, નહિતો પ્રારબ્‍ધ વશ થઇને બાયડી છોકરાંના તિરસ્‍કાર સહેવા પડત, અને પ્રારબ્‍ધ વશ થઇને ડોડીની ભાજી ખાવી પડત, તથા મોથ્‍ય ખોદીને ખાવી પડત, તે કરતાં આ સંતને સંગે રહીને હું નિ:સ્વાદી વર્તમાન પાળું છું તે મારાં મોટાં ભાગ્‍ય છે. અને પ્રારબ્‍ધ વશ થઇને જેવાં તેવાં વસ્ત્ર તથા ચીંથરાં પહેરવાં પડત, તે કરતાં આ સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું તે એ મારાં મોટાં ભાગ્‍ય છે.’ અને સંતની સભામાં જાય છે ને પોતાને માન મળતું નથી, ત્‍યારે એ સંતનો અવગુણ લે છે, ત્‍યારે એને સંતની મોટપ જાણ્‍યામાં આવી નથી, નહિ તો અવગુણ લેત નહિ. જેમ મુંબઇનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય ને તેની સભામાં કોઇ ગરીબ માણસ જાય ને તેને ખુરશી ન નાખી દે ને આદર કોઇ ન કરે ત્‍યારે કાંઇ એને તે અંગ્રેજ ઉપર ધોખો થાય છે ? ને કાંઇ તેને ગાળ દીધાનું મનમાં થાય છે ? લેશ માત્ર પણ થતું નથી. શા માટે જે એ અંગ્રેજની મોટાઇ જાણી છે જે, ‘એ તો મુલકનો પાદશાહ છે, ને હું તો કંગાલ છું’ એવું જાણીને ધોખો થાય નહિ. તેમ જો સંતની મોટાઇ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્‍કાર કરે તો પણ ધોખો થાય નહિ. અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અવગુણ તો કોઇ રીતે લેજ નહિ. માટે જેને ભગવાનનું ને સંતનું માહાત્‍મ્‍ય સમજાણું છે. તેનો પાયો સત્‍સંગમાં અચળ છે. અને જેને માહાત્‍મ્‍ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહિ.” ઇતિ વચનામૃતમ્ લોયાનું  ||૧૭|| ૧૨૫ ||