પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૩૩ ભુજ, ધોળકામાં મંદિર કરાવ્યાં

Submitted by swaminarayanworld on Tue, 19/04/2016 - 9:23pm

 

દોહા

એવી વાત વાલમે કરી, ધરી હરિ હૈયે ઘણું હેત ।

સુણિ મગન મુનિ થયા, વળી સતસંગી સમેત ।।૧।।

આશ્ચર્ય પામ્યા સહુ અંતરે, એવાં સુણી વાલાનાં વેણ ।

જાણું જીવ ઉદ્ધારવા, આવ્યા આપે શ્યામ સુખદેણ ।।૨।।

પ્રાણધારી જે પ્રથવીએ, તે સહુને લેવા સ્વધામ ।

એહ આગ્રહ ઉરમાં, ઘણો ઘણો કરે ઘનશ્યામ ।।૩।।

જોઇ મહારાજની મરજી, હાથ જોડી કહે મુનિરાજ ।

જેમ કહો તેમ કરિયે, કે’જો કૃપા કરી હરિ આજ ।।૪।।

 

ચોપાઇ

તારે નાથ કહે સુણો સંતરે, આજ તારવા જીવ અનંતરે ।

માટે જેમ જેમ જીવ તરેરે, એમ કરવુંછે સહુને સરેરે ।।૫।।

માટે દેશો દેશમાં દેવળેરે, માંડો સારી મૂર્તિયો સઘળેરે ।

એહ મૂર્તિનાં દર્શન કરશેરે, તે તો અપાર પ્રાણી ઉદ્ધરશેરે ।।૬।।

જાણો એહ ઉપાય છે ભારીરે, સહુ જુવો મનમાં વિચારીરે ।

માટે કચ્છમાં મંદિર કરવુંરે, થાય પ્રાણીને પાર ઉતરવુંરે ।।૭।।

એવું સુણી સંત સજ્જ થઇરે, કર્યું ભુજમાં મંદિર જઇરે ।

માંહી બેસાર્યા નરનારાયણરે, કચ્છ દેશ તારવા કારણરે ।।૮।।

વળી ધોળકે મંદિર કરાવીરે, તેમાં મૂર્તિ સારી પધરાવીરે ।

એવો કરિયો એહ ઉપાયરે, જેણે કરી જન સુખી થાયરે ।।૯।।

(મોરલીમનોહર હરિકૃષ્ણરે, પોતે શ્રીજી થઈ અતિ પ્રશ્નરે ।

જીવ અનંત ઉદ્ધારવા કાજરે, આવ્યા ત્યાં ઘણીવાર લઈ સમાજરે૧)

કરાવિયું એ કાજ સંતરાજેરે, બહુ જીવને તારવા કાજેરે ।

વળી નાથ કે’ કહુંછું અમેરે, કરજો થાય તો મંદિર તમેરે ।।૧૦।।

પછી સંત જોઈ જોઈ જાગ્યારે, દેશો દેશ દેરાં કરવા લાગ્યારે ।

જેજે દેશમાં દેવળ થયાંરે, તેતે દેશમાં જન જે રહ્યાંરે ।।૧૧।।

તે તો ઉત્સવ સમૈયા માથેરે, આવે સહુ દરશને સાથેરે ।

કરી દર્શન પ્રસન્ન થાયરે, મુખે સ્વામિનારાયણ ગાયરે ।।૧૨।।

લેતાં સ્વામિનારાયણ નામરે, થાય શુદ્ધ સહુ નર વામરે ।

સ્વામિનારાયણ નામ જેવુંરે, નથી બીજું નામ કોઇ એવુંરે ।।૧૩।।

માટે જે જપશે એ નામરે, તે તો પામશે અક્ષરધામરે ।

એવો એ નામનો પરતાપરે, પ્રગટાવ્યો પૃથ્વીપર આપરે ।।૧૪।।

બહુ પ્રકારે કરવા કલ્યાણરે, નાથે ધારિયું છે નિરવાણરે ।

માટે જેજે ક્રિયાઓ કરેછેરે, તેમાં અનંત જીવ તરેછેરે ।।૧૫।।

એમ જીવ જગતના સહુરે, કર્યા તારવા ઉપાય બહુરે ।

એહ ઉપાયમાં જે આવી ગયારે, તે સહુ ભવપાર થયારે ।।૧૬।।

એહ અર્થે આપે આવિયારે, કરી બહુ જીવપર દયારે ।

આજ જક્તના જીવ છે જેહરે, તર્યા પ્રભુ પ્રતાપથી તેહરે ।।૧૭।।

અતિ સામર્થી વાવરી છે આજરે, આવી પુરુષોત્તમ મહારાજરે ।

સહુ પાર સહુને સરેરે, આજ એવી સામર્થી વાવરેરે ।।૧૮।।

જેજે જાણશે તેતે વખાણશેરે, બિજા જન તેહ શું જાણશેરે ।

નથી વાત જેવડી એ વાતરે, એમ જાણે છે સંત સાક્ષાતરે ।।૧૯।।

તે તો કહેછે કર વજાડીરે, ચોખા ચોખી જો વિગતિ પાડીરે ।

તેની પ્રતીતિ ન પડે જેનેરે, ના’વે અલૌકિક સુખ તેનેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રયસ્ત્રિંશઃ પ્રકારઃ ।।૩૩।।