સ્નેહગીતા કડવું - ૨૭

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 4:59pm

શ્રીકૃષ્ણે કહ્યું તે શ્રવણે સાંભળીજી, પછી પ્રભુ પાયે ઊદ્ધવ લાગ્યા લળીજી ।
ચરણ ચતવી ચાલ્યા વ્રજમાં વળીજી, સંધ્યા સમે આવિયા ગોકુળની ગલીજી ।।૧।।

ઢાળ –

ગોકુળ ગામની ગલીએ આવી, નંદને ભવન રથ છોડિયો ।
મળી લળી નંદપાયે લાગ્યા, વળી કરપુટ તે જોડિયો ।।૨।।

ત્યારે નંદ કહે કૃતારથ કીધો, ઊદ્ધવજી ભલે આવિયા ।
આજ ભાગ્ય જાણું અમારાં, તમે આવતાં ઊદે થયાં ।।૩।।

આજ કષ્ટ મટ્યાં અમારાં, તમે પધારિયા પ્રેમે કરી ।
રામ કૃષ્ણ બંધવ બેઊની, ખબર અમને આપો ખરી ।।૪।।

કુશળ છે બલ કૃષ્ણ બેઊ મળી, વીરા કરો એહ વારતા ।  
અમેદોયે રંકને વળી, કંઈએ કૃષ્ણજી સંભારતા ।।૫।।

એવું સુણીને ઊદ્ધવ પાયે, લાગ્યા તે જશોદા નંદને ।
અર્ધક્ષણ ગુણ તમારા, નથી વિસરતા ગોવિંદને ।।૬।।

વળી બહુ પેરે પ્રણામ કહ્યા, કહે મારીવતી પાય લાગજો ।  
અમારા અનુગ્રહનું વચન, કર જોડી કૃષ્ણ કહે માગજો ।।૭।।

અમે કુશળ છીએ અંગે, તેહ તો પુણ્ય તમ તણે ।  
અતિ સ્તુતિ કરી કહ્યું, બળ કૃષ્ણજી બેઊ જણે ।।૮।।

એમ વાત કરતાં વીતી રજની, પછી ઘેર ઘેર ગોપીજન જાગીયાં ।  
કૃષ્ણ કૃષ્ણ કહેતાં કાંઈ, મહી મથવા લાગિયાં ।।૯।।

ઊદ્ધવ સુણી આશ્ચર્ય પામ્યા, આતો વશ સહુ છે સ્નેહને ।  
નિષ્કુલાનંદને નાથે કહ્યું, તેતો કેમ કહેવાશે એહને ।।૧૦।। કડવું ।।૨૭।।