લોયા ૩ : માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્વયવાળાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 12:42am

લોયા ૩ : માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્વયવાળાનું

સંવત્ ૧૮૭૭ના કાર્તિક વદિ ૧૩ તેરશને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં ૧રાત્રિને સમે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને મસ્‍તક ઉપર ધોળો ફેંટો બાંઘ્‍યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના સત્‍સંગીની સભા ભરાઇને બેઠી હતી.

તે સમયને વિષે શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાન તથા સંત તેનો જેને માહાત્‍મ્‍ય જ્ઞાને સહિત નિશ્વય હોય તેનાં શાં લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેને ભગવાનનો ને સંતનો માહાત્‍મ્‍ય જ્ઞાને સહિત નિશ્વય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્‍યાગ કરે, લોકલાજનો ત્‍યાગ કરે, રાજ્યનો ત્‍યાગ કરે, સુખનો ત્‍યાગ કરે, સ્‍ત્રીનો ત્‍યાગ કરે, અને સ્‍ત્રી હોય તે પુરૂષનો ત્‍યાગ કરે. એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એક બીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળાં કુશળકુંવરબાઇ તથા પરવતભાઇ તથા રાજબાઇ તથા જીવુબાઇ તથા લાડુબાઇ તથા મોટાં રામબાઇ તથા દાદોખાચર તથા માંચોભક્ત તથા મુળજી બ્રહ્મચારી તથા ભુજવાળાં લાધીબાઇ ને માતાજી તથા મુકતાનંદ સ્વામી તથા વાળાક દેશનો આહિર પટેલ સામત તથા ગામ માનકુવાના મુળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશના ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઇત્‍યાદિક જે સત્‍સંગી તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્‍તારીને કહેતા હવા. અને વળી એમ કહ્યું જે, જેને ભગવાનનો નિશ્વય માહાત્‍મ્‍ય જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહિ ને જેમ કહે તેમ કરે. તે ઉપર પોતાની વાત કરી જે, અમારો સ્‍વભાવ કેવો હતો તો ગોદોહન માત્ર એક સ્‍થાનકમાં રહેવાય પણ વધુ રહેવાય નહિ’  એવા ત્‍યાગી હતા અને વૈરાગ્‍ય અતિશે હતો ને શ્રી રામાનંદસ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્‍યું જે, જો સત્‍સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઇને પણ રહેવું પડશે.’ એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું ત્‍યારે અમે થાંભલાને બાથ લીધી. ત્‍યાર પછી તેમણે કહ્યું જે, ‘મુકતાનંદ સ્વામીની આજ્ઞામાં રહો,’ પછી અમે સ્વામીનાં દર્શન થયા મોર નવ મહિના સુધી મુકતાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્વય હોય તેને જાણીએ. અને પછી સુંદરજી સુતાર ને ડોસા વાણિયાની વાત કરી. અને વળી જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્વય હોય તેને તેની કોરનો કેફ વર્તે. એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી, અને પ્રહ્યાદની વાર્તા કરી જે, પ્રહ્યાદ જે તે નૃસિંહજી પ્રત્‍યે બોલ્‍યા જે,’ હે મહારાજ ! હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો, ને તમે જ્યારે મારા ઇન્‍દ્રિયોરૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્‍યારે હું રક્ષા માનીશ’ માટે જે ભગવાનનો ભક્ત હોય, તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે, ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે અને અલમસ્‍ત થકો ભગવાનને ભજે, અને ભગવાન ને સંત તેનું માહાત્‍મ્‍ય બહુ જાણે. તે ઉપર ગામ કઠલાલની ડોસીની વાત કરી . અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ધસીને પડે, વાધ ખાઇ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં ડૂબી જાય,ઇત્‍યાદિક ગમે તેવી રીતે અપમૃત્‍યુએ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે, ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહિ. એ તો ભગવાનના ધામને જ પામે. અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેઠે પડે ને ચંદનના લાકડામાં સંસ્‍કારે યુક્ત બળે તો પણ તે તો નિશ્વય યમપુરીમાં જાય.” એ બેની વિકિત સારી પેઠે સમજે, એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દૃઢ ગાંઠ પડી જાય તેને ભગવાન ને સંતનો માહાત્‍મ્‍યે સહિત નિશ્વય છે એમ જાણવું . અને એવો નિશ્વયવાળો જે હોય તે જરૂર બ્રહ્મમહોલમાં જ પુગે પણ બીજે કયાંય કોઇ ધામમાં ઓરો રહે નહિ.” ઇતિ વચનામૃતમ્ લોયાનું  ||૩|| ૧૧૧ ||