પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૧ર

Submitted by swaminarayanworld on Sat, 17/09/2011 - 11:37am

દોહા

મોટી મે’ર કરી હરિ, પધારિયા પૂરણકામ ।

અનેક જીવને આપવા, પોતાનું પરમ ધામ ।।૧।।

દયાનિધિ દયાકરી, જીવ જકતના ઊપર જોર ।

તાન એક જીવ તારવા, ધારિ વપુ ધર્મકિશોર ।।૨।।

અહોનિશ એ ઊપાયમાં, રહ્યા છે રાજ અધિરાજ ।

અમિતને અભય કરવા, સાપવા સુખ સમાજ ।।૩।।

પડતું મેલ્યું પૂજા સ્પર્શનું, દરશનનું રાખ્યું દાન ।

જે જન નિરખે નાથને, તે પામે સુખ નિદાન ।।૪।।

ચોપાઈ

એહ અર્થે કરે છે ઊપાયરે, નિત્ય નવાનવા મનમાંયરે ।

જાણે સૌજન દર્શન કરેરે, ભાવે અભાવે નામ ઓચરેરે ।।૫।।

લેતાં સ્વામિનારાયણ નામરે, થાયે પ્રાણી તે પૂરણકામરે ।

લેશે નામ નિરખશે નેણેરે, પરમ પ્રાપ્તિ પામશે તેણેરે ।।૬।।

માટે મોટા ઊત્સવ સમૈયારે, કરું જાય નહિ કેણે કૈયારે ।

પછી ફુલદોલ રામનૌમીરે, પ્રબોધની એકાદશી સૌમીરે ।।૭।।

તે દિ આવે લાખો લેખે જનરે, કરે મહાપ્રભુનાં દરશનરે ।

જુવે સભા સામું સુખકંદરે, અમૃતદ્રષ્ટિએ આપે આનંદરે ।।૮।।

સહુજન તણા તાપ હરેરે, સુખશાંતિ અંતરમાં કરે રે । 

સહુ સુખિયા થઈ જન મનેરે, જાય પોત પોતાને ભવનેરે ।।૯।।

રાત્યદિ સાંભરે સ્વામી સંતરે, તેણે રાજી રહેછે અત્યંતરે ।

કરતાં એ લીળાનું ચિંતવનરે, તેણે પામે પરમ ધામ જનરે ।।૧૦।।

એવા સમૈયા વરસો વરસરે, કરે એકબીજાથી સરસરે ।

તેમાં કૈક પૂજે કૈક સ્પરશે રે, સૌને આનંદના ઘન વરસેરે ।।૧૧।।

નિત્ય નવી કરે નાથ લીળારે, ત્યાગી ગૃહી કરી બહુ ભેળારે ।

સંત બટુ સન્યાસી સમોહરે, જેને કામ લોભ નહિ મોહરે ।।૧૨।।

જોઈ એવાને જકતના જનરે, સહુ કે’છે કરી ધન્ય ધન્યરે ।

સંત શ્રીહરિને દરશનેરે, પામે મહામોટો આનંદ મનેરે ।।૧૩।।

એવા જન જગતમાં જેહ રે, પામ્યા અક્ષરધામને તેહરે ।

એવો કર્યો મોટો ઊપકારરે, બહુ જીવ કરવા ભવપારરે ।।૧૪।।

બંધ થઈ ગયાં બીજાં બારરે, પરમપદ પામ્યા નરનારરે ।

જીવ સંયમનીએ શીદ જાયરે, પ્રગટ પ્રભુજી છે પ્રથવી માંયરે ।।૧૫।।

આજ શક્કો સહજાનંદ તણોરે, બેઠો બળવંત બળિયાનો ઘણોરે ।

જયારે પ્રગટિયા પ્રભુ પોતે રે, જોયા નજરે આવ્યા જીવ જોતેરે ।।૧૬।।

સ્વર્ગ મર્ત્યલોક ને પાતાળરે, દિઠા તેને દુઃખિયા દયાળરે ।

તેને છોડાવ્યા બંધથી છેકરે, ગયા એ પણ ધામે અનેકરે ।।૧૭।।

બેસે રાજા ગાદિ પર કોયરે, છોડે બંધીવાનના બંધ સોયરે ।

તેમ બંધથી છોડાવ્યા બહુ જનરે, પોતે પ્રગટી શ્રીભગવનરે ।।૧૮।।

મહા મોટો પ્રતાપ પ્રગટાવીરે, રીત નૌતમ ન્યારી ચલાવીરે ।

જેને ઊપર નહિ બીજો કોયરે, તેતો જેમ કરે તેમ હોયરે ।।૧૯।।

સૌના નાથ નિયંતા સ્વામીરે, સૌ ધામતણા પણ ધામીરે ।

તેતો અઢળક આજ ઢળિયારે, થયા સુખી જન જેને મળિયારે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે દ્વાદશઃ પ્રકારઃ ।।૧૨।।