વરતાલ ૧૭ : જ્ઞાની જિતેન્દ્રિય છે

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 2:50am

વરતાલ ૧૭ : જ્ઞાની જિતેન્દ્રિય છે

સંવત્ ૧૮૮૨ના પોષ વદિ અમાસને  દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણને સન્‍મુખ હવેલી ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “પંચ જ્ઞાન ઈન્‍દ્રિયો ને પંચ કર્મ ઈન્‍દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઈન્‍દ્રિયો દ્વારા એક સરખો વ્‍યવહાર છે, પણ જ્ઞાની હોય તેનાં ઈન્‍દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતાં, માટે જ્ઞાનીને જીતેન્‍દ્રિય કહ્યા છે તે કેવી રીતે જાણવા ?” એ પ્રશ્ર્ન છે. પછી મુકતાનંદ સ્વામીએ કહ્યું જે, “નિર્વિકલ્‍પ સમાધિ થાય ત્‍યારે જીતેન્‍દ્રિય થાય એમ જણાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચવિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઈન્‍દ્રિયો દ્વારા જ ગ્રહણ થાય છે, માટે જીતેન્‍દ્રિયપણું કેમ છે ?” પછી બહુ રીતે કરીને મુકતાનંદ સ્વામીએ ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, એનો ઉત્તર તો એમ છે જે, શબ્‍દાદિક જે પંચવિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્‍યાણકારી ગુણ છે તેને પણ જાણે અને માયિક જે પંચ વિષય તેને ભોગવવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્‍તિ થાય છે ને મહાદુ:ખ ભોગવવાં પડે છે. તેને પણ જાણે; અને એમ જાણે ત્‍યારે એને પંચવિષયનો અતિશે અભાવ આવે છે ને એને વિષે વૈરબુદ્ધિ થાય છે, પછી જે સાથે જેને વૈર થયું  તેને વિષે કોઈ રીતે પ્રીતિ થાય જ નહિ, એમ સમજીને જ્યારે પંચવિષયનો મનમાંથી જેને અતિશે અભાવ થઈ જાય તે જીતેન્‍દ્રિય પુરૂષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ-કીર્તનાદિક ભકિતએ કરીને પોતાનું જીવિતવ્‍ય પુરૂં કરે પણ વિમુખ જીવની પેઠે પંચવિષયમાં આસક્ત થાય નહિ. એવો હોય તે જીતેન્‍દ્રિય કહેવાય.”

પછી શ્રીજીમહારાજે બીજો પ્રશ્ર્ન પુછયો જે, “એક ત્‍યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિ માર્ગવાળા છે અને તે એમ જાણે છે જે “અમે આત્‍મા છીએ. પણ દેહને પોતાનું રૂપ માનતા નથી. ને તેના દેહની રીતિ તો જડ ને ઉન્‍મત્તના જેવી હોય, અને તે પુરૂષને જાતિ, વર્ણ, આશ્રમ, તેનું અભિમાન હોય નહિ; ને ખાવું, પીવું, ઉઠવું, બેસવું, તે સર્વે ધેલાના જેવું હોય, પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય. ને એવો જે ત્‍યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહિ. જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્‍મત્ત થકો એકલો ફરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહિ. અને બીજા ત્‍યાગી સંતછે તે તો નિવૃત્તિમાર્ગવાળા છે તોપણ પ્રવૃત્તિમાર્ગમાં વર્તે છે. અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્‍સર, આશા, તૃષ્ણા ઈત્‍યાદિક દોષ હૃદયને વિષે પ્રવર્તે તેવી ક્રિયાને વિષે પ્રવર્તે છે ત્‍યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે. માટે એ ત્‍યાગીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહેવું ધટે કે ન ધટે ? અને વળી એ પ્રવૃતિ-માર્ગમાં રહેતાં થકાં કેવી રીતે નિર્વિકાર રહેવાય ? અને તમે  કહેશો જે, જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય’ એ ઉપર એ આશંકા છે જે, પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ પીવે તો શું ગાંડો ન થાય ? જરૂર ગાંડો થાય.માટે એ ત્‍યાગી કેવી રીતે પ્રવૃત્તિ-માર્ગમાં રહે તો બંધન ન થાય ? એ પ્રશ્ર્ન છે.” પછી નિત્‍યાનંદસ્વામીએ ને શુકમુનિએ એનું સમાધાન કરવા માંડયું પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જે કેવળ નિવૃત્તિ ધર્મવાળા ત્‍યાગી છે ને ઉન્‍મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્‍મનિષ્‍ઠાવાળા જાણવા. અને વળી જે નિવૃત્તિ ધર્મવાળા ત્‍યાગી ભગવાનની ભકિતએ યુક્ત છે, તેને તો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિમાર્ગ તેને વિષે સાવધાન થઈને જોડાવું. અને એ જે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિમાર્ગમાં જોડાવું એનું નામ જ ભકિત છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્‍યાગી છે તેની બરોબર નિવૃત્તિમાર્ગવાળો જે કેવળ આત્‍મનિષ્‍ઠ ત્‍યાગી તે થઈ શકતો નથી. શા માટે જે, આ તો ત્‍યાગી છે ને નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. અને એ જે ભગવાનના ભક્ત ત્‍યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિમાર્ગને વિષે રહેવું પણ પરમેશ્વરના નિયમથી અધિકપણે વર્તવું નહિ ને ન્‍યૂનપણે રહેવું નહિ. અને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, સ્વાદ એ આદિક જે વિકાર તેનો ત્‍યાગ કરીને ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાર્ગને વિષે વર્તવું તો એને કોઈ જાતનું બંધન થાય નહિ. અને કેવળ આત્‍મનિષ્‍ઠાવાળો જે ત્‍યાગી તે કરતાં આ ત્‍યાગી તો અતિશે શ્રેષ્‍ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે.” ઇતિ વચનામૃતમ્ વરતાલનું||૧૭|| ૨૧૭ ||