૭૮ ભુજમાં મંદિર કરવા હીરજીભાઈનો પત્ર આવ્યો, ને શ્રીજીએ કંકોતરીઓ મોકલાવી ને ભુજ પધાર્યા.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:00pm

અધ્યાય ૭૮

પછી મહારાજ સવારમાં ઊઠીને નિત્ય-વિધિ કરીને સભામાં વિરાજમાન થયા. તે સમયે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! જ્યારે ભગવાનનો ભક્ત ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ અને તમોગુણના વેગ આવે છે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી. તે એ ગુણના વેગ કેમ ટળે ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘એ ગુણની નિવૃત્તિનાં કારણ તો દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર એ ત્રણ છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા અને અનાત્માના વિચારે કરીને ટળી જાય છે. અને કુસંગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે સંતના સંગે કરીને ટળે છે. અને રજોગુણ અને તમોગુણના વેગ એ બેયે કરીને પણ ન ટળે. તે તો કોઇ પૂર્વના સંસ્કારે કરીને છે; માટે એ ટાળવા ઘણા કઠણ છે.’

ત્યારે આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે ? ત્યારે મહારાજ બોલ્યા જે, અતિશય જે મોટા પુરુષો હોય તેમનો જેના ઉપર રાજીપો થાય તો તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો પણ નાશ પામી જાય છે. અને મોટા પુરુષનો જ્યારે રાજીપો થાય ત્યારે રાંક હોય તે પણ રાજા થાય. અને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો પણ રુડાં થાય છે. અને ગમે તેવું તેના પર વિઘ્ન આવવાનું હોય તો તે પણ નાશ થઇ જાય છે.

ત્યારે આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, પ્રથમ તો મોટા પુરુષ આગળ નિષ્કપટભાવે વર્તે અને કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, ઇર્ષા, આશા, તૃષ્ણા અને અહંકાર એ સર્વેનો ત્યાગ કરે અને સંતનો દાસ થઇને રહે અને અંતરમાં નિર્માની પણે રહે અને દેહે કરીને સર્વને નમતો રહે તેના ઉપર મોટા સંત પુરુષ રાજી થાય છે.

એટલી વાત કરીને ચાલ્યા તે ઢોલિયા ઉપર આવીને બિરાજમાન થયા. તે સમયે ભુજ નગરથી સુતાર હિરજીભાઇ ને મલ્લ ગંગારામભાઇ આદિક હરિભક્તોએ પત્ર મોકલાવ્યો હતો તે આવ્યો. તેમાં લખ્યું હતું જે તમારો પત્ર આવ્યો તે પહોંચ્યો છે. અને વાંચીને તમામ સમાચાર જાણ્યા છે. અને નરનારાયણદેવનું મંદિર કરવા સારું અમે જગ્યા લીધી છે તે દરબારથી દક્ષિણ બાજુ અને રાજ્યમાર્ગથી પૂર્વ બાજુમાં છે. અને તે જગ્યાનો લેખ પણ કરાવ્યો છે અને સામાન પણ લેવા માંડ્યો છે. એવી રીતે લખેલ હતું. તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા. પછી શુક મુનિ પાસે કાગળ લખાવ્યો જે, ‘મંદિરનો પાયો નંખાવજો. અને તે મંદિર શિખરબંધ કરાવજો. ઉત્તર મુખે નરનારાયણની મૂર્તિઓ તથા બીજી મૂર્તિઓ બિરાજે તેમ કરજો. તમે મંદિર કરવાનો આરંભ કરો. અને અહીંથી વૈષ્ણવાનંદ સ્વામી તથા નિર્લોભાનંદ સ્વામીનું મંડળ મોકલીએ છીએ. ડુંગરપુર પણ અમો સંતોને તથા પાળાને સાબદા કરીને મોકલીએ છીએ અને તેઓ નરનારાયણ દેવની મૂર્તિઓ લઇ આવશે. ત્યારે અમો તથા સંત મંડળ તથા બ્રહ્મચારીઓ, સંન્યાસીઓ તથા સર્વ સત્સંગીજનો સહિત આવીશું. તમો મંદિર કરવાની તાકીદ રાખશો. એવી રીતનો પત્ર લખાવીને મોકલ્યો.

પછી કથાનો પ્રારંભ કર્યો. ત્યારે રસોઇયા ભક્તજને મહારાજને થાળ જમવા બોલાવ્યા. ત્યારે જળના કોગળા કરીને ત્યાં બાજોઠ ઉપર બિરાજ્યા. ત્યારે રસોઇયા હરિભક્તે બાજોઠ ઉપર થાળ મેલ્યો, જમવા લાગ્યા તે જમતા જાય અને વાર્તા કરતા જાય. ત્યારે લાડુબા, જીવુબા અને રાજબાઇ આદિ સર્વે બાઇઓ બોલ્યાં જે, ‘હે મહારાજ ! તમને કાંઇ જોઇતું હોય તો અમારી પાસે મંગાવજો.’

પછી મહારાજ સભામાં પધાર્યા ત્યાં મુનિને પ્રશ્ન પૂછ્યો જે, ‘કોઇક પુરુષ છે તેને આ લોકના સુખમાં પ્રીતિ જ નથી. અને પરલોક જે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ તેને વિષે જ વાસના છે. અને જે તેનો સંગ કરે તેને પણ તેવી જ જાતનું હીત કરે જે, આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય અને ભગવાનને વિષેજ પ્રીતિ થાય તો ઘણું જ સારું છે. જેટલું કાંઇક જતન કરે તે સર્વે દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયા પછી સુખ થાય એવું જ કરે, પણ દેહના સુખને માટે તો કાંઇ પણ ક્રિયા કરે જ નહીં. એવા પુરુષ હોય તેના સરખા ગુણ તે મુમુક્ષુને વિષે કેમ સમજે તો આવે ?

પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, જેને આલોકના સુખમાં ઇચ્છા નથી એવા સત્‌ પુરુષ છે તેને વિષે દેવની બુધ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે જ વર્તે તો તે સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે છે. અને જો એવો ન હોય તો તેમાં ન આવે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, હે મહારાજ ! જેને તામસી કર્મ ઘણાં કર્યાં હોય તેના હૈયામાં કળિયુગ વર્તે તે કોઇ ઉપાયે કરીને ટળે કે ન ટળે ?’

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘એને સંત તથા પરમેશ્વરના વચનમાં અતિશય શ્રધ્ધા હોય તથા અતિ દ્રઢ વિશ્વાસ હોય તો તેનાં ગમે તેવાં કર્મ હોય તો પણ નાશ થઇ જાય છે. અને કળિયુગના ધર્મ મટીને જે સત્યુગના ધર્મ હોય તે પ્રવર્તે છે. માટે અતિશય સાચે ભાવે કરીને જો સત્સંગ કરે તો તેને કોઇ જાતનો દોષ હૈયામાં રહે નહીં. અને દેહ છતે જ બ્રહ્મરૂપ થઇ જાય.’ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, જે શ્રધ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે તો તે સંતના વચનને વિષે શ્રધ્ધા થાય તો એના હૃદયને વિષે શુધ્ધ વૈરાગ્ય, વિવેક, જ્ઞાન અને ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણો છે તે સર્વ પ્રગટ થઇ આવે છે અને ક્રોધાદિક જે વિકારો છે તે પણ બળી જાય છે. અને જો કુસંગ મળે અને તેના વચનમાં શ્રધ્ધાવાન થાય તો જે વૈરાગ્યાદિક ગુણ છે તે પણ સર્વે નાશ પામી જાય છે. જેમ ખારભૂમિ હોય તેમાં ગમે તેટલો વરસાદ વરસે પણ તેમાં તૃણાદિક ઊગે નહીં. પણ તે જ ક્ષારભૂમિમાં પાણીની રેલ આવે તો ક્ષાર સર્વે ધોવાઇ જાય, અને જે ઠેકાણે ક્ષાર હોય તે ઠેકાંણે કાંપ ચડી જાય પછી વળી કાંપ ભેળાં પીપળા આદિક વૃક્ષનાં જે બીજ આવ્યાં હોય તે બીજ ઊગીને મોટાં વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયમાં ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તો પણ ભગવાનના ભક્તોએ કુસંગ ન જ કરવો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, ‘જે ભગવાનના ભક્ત હોય તેના મનમાં એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એક પણ સ્વભાવ રાખવો નથી તો પણ અયોગ્ય સ્વભાવ રહી જાય છે તેનું શું કારણ છે ?’

ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળવાની શ્રધ્ધા હોય તોય પણ સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્રી હોય તે ઘણાં સારાં સારાં ભોજનો અને સારાં વસ્ત્રો જોઇને તેને ઇચ્છે પણ તે ક્યાંથી મળે ? તેમ વૈરાગ્યહીન હોય તેના હૈયામાં ઇચ્છા તો હોય પણ સાધુતાના ગુણ તો આવવા ઘણા દુર્લભ છે.’ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, જેને વૈરાગ્ય ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે ? ત્યારે મહારાજ બોલ્યા જે, વૈરાગ્યહીન હોય તેને તો કોઇ મોટા સંત હોય તેની અતિશે સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે; પછી પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિએ કરીને જુવે જે, ‘આ બિચારો વૈરાગ્ય રહિત છે તેને કામ-ક્રોધાદિક બહુ પીડે છે. માટે એમના સર્વે વિકાર ટળો, તો તત્કાળ ટળી જાય. અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે. અને જે તરત જ વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ ટળે.’

પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિષે જે ભક્તનું મન અતિ આસક્ત થયું હોય તેનાં આવાં લક્ષણ હોય જે, પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય, અને બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન હોય, અને તેવા સમયમાં કોઇ ભગવાનની વાતનો પ્રસંગ નીકળે તો જાણે જે એકે ગાઉં ચાલ્યો નથી એવો સાવધાન થઇ જાય. અથવા ગમે તેવો રોગાદિકે કરીને પીડા પામ્યો હોય, અથવા ગમે તેવું અપમાન થયું હોય, અને તેવામાં જો તે ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વ દુઃખથી રહિત થઇ જાય. અને વળી ગમે તેવી રાજ્ય સમૃધ્ધિને પામીને અવરાઇ ગયો હોય એવો જણાતો હોય, છતાં પણ જે ઘડીએ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડી જાણે જે એને કોઇનો સંગ જ નથી થયો એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઇ જાય. એવી જાતનાં જેને વિષે લક્ષણ હોય તેને એ ભગવાનને વિષે દ્રઢ આસક્તિ થઇ જાણવી.’ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, ‘એ ભગવાનને વિષે એવી દૃઢ આસક્તિ શા થકી થાય છે ?’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, કાંતો પૂર્વ જન્મનો એવો અતિ બળીઓ સંસ્કાર હોય અથવા જે સંતને વિષે એવી દૃઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે. એ બે ઉપાયે કરીને જ ભગવાનને વિષે એવી દૃઢ આસક્તિ થાય છે. તે વિના બીજો ઉપાય નથી. એટલી વાર્તા કરીને અક્ષર ઓરડીએ જઇને ઢોલિયે બિરાજમાન થયા. તે સમયે મુક્તાનંદ સ્વામી આદિ સંતો પગે લાગીને બેઠા.

પછી મહારાજ બોલ્યા જે, અમારે નરનારાયણદેવની મૂર્તિઓ પધરાવવા ભુજનગર જવું છે. તે ગોપાળાનંદ સ્વામીનું મંડળ તેડાવો. તેમને અમારા ભેળા લઇ જશું. એમ કહી રહ્યા ત્યારે બ્રહ્મચારી જમવા બોલાવવા આવ્યા તે સ્નાન કરીને જમવા પધાર્યા. તે જમીને થાળ સંત મંડળને આપ્યો. પછી જળપાન કરીને મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. અને નરનારાયણની મૂર્તિઓ ગાડામાં બેસાડીને માંહી પરાળ ભરાવીને પછી પાળા અને પાંચ સાધુને ચાલતા કર્યા. અને મહારાજ પોઢ્યા. સવારે વહેલા જાગીને નિત્ય-વિધિ કરીને કથાનો આરંભ કરાવ્યો તે કથા સાંભળતા જાય અને ‘હરે’ એવા શબ્દનો ઉચ્ચાર કરતા જાય.

પછી થાળ તૈયાર થયો તે વસ્ત્ર ઉતારીને જમવા પધાર્યા, અને જમી જલપાન કરી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા, અને કથાનો પ્રસંગ ચલાવ્યો. તે કથા વંચાવતા હતા તે સમયમાં શતાનંદ સ્વામીને સત્સંગીજીવનનું કાંઇક પૂછવું હતું તે પૂછી ગયા. તે સમયે શ્રીજીમહારાજ કાઠિયાવાડ, સોરઠ, ઝાલાવાડ, ગુજરાત, ચડોતર, કાનમ અને કચ્છ આદિ સર્વે દેશોને વિષે તથા ગામો ગામ પ્રત્યે કંકોતરીઓ લખાવીને મોકલાવી; ‘ગઢપુરથી લી. સ્વામીશ્રી ૧૦૮ એક્સો આઠ સ્વામીશ્રી સહજાનંદજી મહારાજના સમસ્ત હરિભક્તો જય શ્રી સ્વામિનારાયણ વાંચશો. વિશેષ લખવાનું જે સંવત ૧૮૭૯ના વૈશાખ શુદિ પાંચમને રોજે શ્રી ભુજનગરમાં શ્રી નરનારાયણદેવની પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત છે. માટે તમો સર્વે કચ્છ ભુજનગરમાં હરિભક્તો સહુ કુટુંબ સહિત આવજો. અમો પણ સંતો, પાર્ષદો અને બ્રહ્મચારીઓને તેડીને આવશું.’ આવી રીતે મહારાજે દેશ દેશ પ્રત્યે કંકોતરીઓ લખીને મોકલાવી. અને પછી કથાની સમાપ્તિ કરાવીને અક્ષરઓરડીએ પધાર્યા અને ઢોલિયા ઉપર પોઢી ગયા.

પછી સવારમાં વહેલા જાગીને નિત્ય-વિધિ કરીને ઢોલિયે બિરાજ્યા. તે સમયમાં પાર્ષદે મહારાજને કહ્યું જે, હે મહારાજ ! ઘોડી ઉતાવળ કરે છે. ત્યારે મહારાજે કહ્યું જે, પલાણ માંડીને લાવો, એમ કહીને પોષાક પહેર્યો અને પછી ઘોડીએ સવાર થયા. તે સમયે સંત તથા પાળા તથા હરિભક્તો તે પણ સાથે ચાલ્યા. અને મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા. ત્યાં જઇને ઘોડી ફેરવી. પછી બેઠક ઉપર આવીને ઢોલિયે બિરાજ્યા. વાડીવાળા સંતો અને પાર્ષદોએ પુષ્પના હાર પહેરાવ્યા અને નાના પ્રકારનાં ફળો લાવીને સુધારીને મહારાજને જમાડ્યા. જમી રહ્યા ત્યારે પ્રસાદી સર્વે સંતોને અને પાર્ષદો તથા હરિભક્તોને વહેંચી આપી. પછી ઘોડીએ સ્વાર થયા, તે ઘોડી ઉતાવળી ચાલી. તે સમયે પાઘનું છોગલું ફરકતું હતું એવી રીતે દરબારમાં પધાર્યા. અને ત્યાં ઢોલિયે બિરાજ્યા. તે સમયે ગોપાળાનંદ સ્વામી પોતાનું મંડળ લઇને આવ્યા, અને બીજા સંતો પણ આવ્યા અને મહારાજને દંડવત્‌ કર્યા. ત્યારે મહારાજ ઊઠીને બધા સંતોને મળ્યા, અને સત્સંગીઓની ખબર પૂછી.

પછી સ્નાન કરીને થાળ જમ્યા. અને જલપાન કરી મુખવાસ લઇને પછી ગોપાળાનંદ સ્વામીને તથા તેમના મંડળના સંતોને જમાડ્યા. ત્યાર પછી સંતો સર્વે જમીને ઉતારે આવ્યા. પછી મહારાજ બોલ્યા જે, ભુજનગર અમારાં ભેળું ચાલવું હોય તો સંતો સર્વે તૈયાર થાજો. એમ કહીને પોતે પોઢ્યા, અને સવારે વહેલા જાગીને નિત્ય-વિધિ કરીને થાળ જમી અને વસ્ત્રો પહેરીને તૈયાર થયા. અને સર્વે ચાલનારા જમી રહ્યા તે વખતે સવાસો સવાર અને પાંચસો પાર્ષદો હથિયારબંધ તથા ગોપાળાનંદ સ્વામી આદિ સંતો તૈયાર થયા. અને ગાડાં, રથ, વેલુ અને માફા જોડાવ્યાં. અને જેમ જેને ઘટે તેમ તેને યોગ્ય રીતે મહારાજે બેસાડ્યા અને પછી પોતે ઘોડે સ્વાર થયા. અને તે સમયે સોનાનાં ઇંડાવાળું છત્ર શ્રીજી મહારાજના મસ્તક ઉપર શોભતું હતું અને બન્ને બાજુ બ્રહ્મચારીઓ ચામર ધારણ કરી રહ્યા હતા અને કંઠને વિષે ફૂલના હાર પહેર્યા હતા અને આગળ ઢોલ અને શરણાઇ વાગી રહ્યાં હતાં. વળી હરિભક્તો આગળ કીર્તન બોલતા હતા એવી રીતે વાજતે ગાજતે ગામને સીમાડે ગયા અને ત્યાં જઇને કહ્યું જે, ‘અમારી સાથે જેને ચાલવું હોય તે અમારી સાથે આવો,’ ત્યારે જેને જવું હતું તે સર્વે મહારાજ સાથે ચાલ્યા, અને જેને નહોતું જવું તે મહારાજને પગે લાગીને દંડવત પ્રણામ કરીને ઊભા રહ્યા. અને મહારાજ શ્રી ભુજ નગર તરફ ચાલ્યા તે ગામ માંડવધાર આવ્યા, ત્યાં ગોવા પટેલ આદિ હરિભક્તો સામા આવીને પગે લાગ્યા.

પછી મહારાજ તે હરિભક્તો પ્રત્યે બોલ્યા જે, અમારી સાથે જેને ભુજનગર ચાલવું હોય તે ચાલો. અને પછી સર્વ ગામના હરિભક્તોને દર્શન દેતા જાય અને કોઇક ગામમાં રાત રહેતા જાય અને કોઇક ગામમાં બપોર કરતા જાય. આવી રીતે ચાલ્યા તે રણ ઉતરીને ભચાઉ તથા ધમડકા તથા ધાણેટી થઇને ભુજનગર પધાર્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીગઢપુરમાં મહારાજે સંત હરિભક્તોની સભામાં કેટલીક જ્ઞાન સંબંધી વાર્તા કરી અને ભુજમાં નરનારાયણદેવની પ્રતિષ્ઠા કરવા પધાર્યા એ નામે અઠ્ઠોતેરમો અધ્યાય.૭૮