વચનવિધિ કડવું - ૪૨

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:42pm

એમ બેમર્યાદી થઈ બગડેલીજી, ભકત ન કરવી મર્યાદા મેલીજી
એ તો પરઠણ કરી છે જો પે’લીજી, ન કરવું કામ કોઈ નિયમને ઠેલીજી

ઠેલી નિયમને કામ ન કરવું, મર હોય લાભ જો લાખનો ।।
તોય લલચાવિયે નહિ લેશ મનને, જાણિયે મવાળો કાખનો ।। ર ।।

વારે વારે આવી વારતા, માનજો સહુને મળતી નથી ।।
તે સ્વપ્ન સરખા સુખ સારુ, હારવી નહિ કહું હાથથી ।। ૩ ।।

શરીર કપાય મર સઘળું, થાય ટુકટુક મર તન ।।
પણ ન દેવું કપાવા નાકને, તેની રાખવી ઝાઝી જતન ।। ૪ ।।

જેમ શૂરવીરને સંગ્રામ માંહી, લાગે ઘટમાં ઘાવ કંઈ ।।
પણ ભાગતાં વાગે પૂઠે ભલકું, જાણો એ જેવું બીજું ભૂંડું નઈ ।। પ ।।

એમ ભકત થયો ભગવાનનો, પણ રહ્યો તે દેહનો જ દાસ ।।
કુળ લજાવ્યું છે કેસરીએ, જે ખાવા લાગ્યો મુખે ઘાસ ।। ૬ ।।

ઘરની ગોલીનો ગોલો થયો, રહ્યો હાથ જોડીને હજુર ।।
રાત દિવસ રાજી રાખવા, અતિ આખેપ રાખે છે ઉર ।। ૭ ।।

એવો ભકત ભગવાનને, કહો રાજી કરી કેમ શકે ।।
નિષ્કુળાનંદ કે’ નાદાર નર, ચડ્યો શરીરના સુખને ધકે ।। ૮ ।।