વરતાલ ૧૬ : મોટા માણસ સાથે બને નહિ તેનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 2:48am

વરતાલ ૧૬ : મોટા માણસ સાથે બને નહિ તેનું

સંવત્ ૧૮૮૨ના પોષ વદિ ૧૩ તેરશને  દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદીતકિયા બિછાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્‍ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયમાં વડોદરાના શાસ્‍ત્રી બેઠા હતા તેણે એમ કહ્યું જે, “હે મહારાજ ! તમે જો કોઈક મોટા માણસને ચમત્‍કાર જણાવો તો તેમાંથી ધણો સમાસ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “મોટા માણસ સાથે અમારે ઝાઝું બને નહિ. શા માટે જે એને રાજ્યનો ને ધનનો મદ હોય, અને અમારે ત્‍યાગનો અને ભકિતનો મદ હોય, માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કાંઈક ગામગરાસ આપે તેની અમારા હૃદયમાં લાલચ નથી, કેમ જે ગામગરાસ તો સુખને અર્થે ઈચ્‍છીએ, તે અમારે તો નેત્ર મીંચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે તેવું ચૌદ લોકના રાજ્યને વિષે પણ નથી. અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિષે સુખ હોય તો સ્વાયંભુવ મનુ આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મુકીને વનમાં  તપ કરવા શા સારૂં જાય ? અને ભગવાનના ભજન જેવું સ્‍ત્રીને વિષે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્‍ત્રીઓને શા સારૂં મુકે અને ભગવાનના ભજનના સુખ આગળ તો ચૌદ લોકનું જે   સુખ તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખિયો થયો હોય તેને તો બ્રહ્માંડને વિષે જે વિષયનું સુખ છે તે નરકતુલ્‍ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તેજ સુખ જણાય છે, બીજું સર્વે દુ:ખરૂપ જણાય છે. માટે પરમેશ્વરનું ભજનસ્‍મરણ કરતાં થકાં જેને સહજે સત્‍સંગ થાય તેને કરાવીએ છીએ, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી, આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્‍સંગ રાખ્‍યાનો છે. એ અમારા અંતરનો રહસ્‍ય અભિપ્રાય હતો તે અમે તમારી આગળ કહ્યો.”  ઇતિ વચનામૃતમ્ વરતાલનું||૧૬|| ૨૧૬ ||