૧૬ ભુવનકોશનું વર્ણન

Submitted by swaminarayanworld on Thu, 25/02/2016 - 6:21pm

અધ્યાય - : - ૧૬

ભુવનકોશનું વર્ણન

રાજા પરીક્ષિતે કહ્યું - હે મુનિવર ! જ્યાં સુધી સૂર્યદેવનો પ્રકાશ છે અને જ્યાં સુધી તારામંડળ સહિત ચંદ્રદેવને જોઇ શકાય છે, ત્યાં સુધી તમે ભૂમંડળનો વિસ્તાર બતાવ્યો છે. ૧ તેમાં પણ તમે બતાવ્યું કે મહારાજ પ્રિયવ્રતના રથનાં પૈડાઓનાં સાત રેખાઓથી સાત સમુદ્ર બની ગયા હતા. જેને કારણે આ પૃથ્વીપર સાત દ્વીપોનું વિભાજન થયું. તેથી હે ભગવન્‌ ! હવે હું આ બધા દ્વીપોનું પરિમાણ (વિસ્તાર-માપ) અને લક્ષણો સાથે તેનું પૂરેપૂરું વિવરણ જાણવા ઇચ્છુ છું. ૨ કારણ કે જે મન ભગવાનના આ ગુણમય સ્થૂળ વિગ્રહમાં લાગી શકે છે. તેનું વાસુદેવ નામવાળા સ્વયંપ્રકાશ, નિર્ગુણ બ્રહ્મરૂપ સૂક્ષ્મતમ સ્વરૂપમાં પણ લાગવું સંભવ છે. તેથી હે ગુરુવર ! આ વિષયનું વસ્તારથી વર્ણન કરવાની કૃપા કરો. ૩

શ્રીશુકદેવજીએ કહ્યું - હે મહારાજ ! ભગવાનની માયાના ગુણોનો એટલો બધો વિસ્તાર છે કે જો કોઇ પુરુષ દેવતાઓ જેટલું આયુષ મેળવી લે તો પણ મન અને વાણીથી તે માયાના ગુણોના વિસ્તારનો અંત મેળવી શક્તા નથી. તેથી અમે નામ, રૂપ, પરિણામ અને તેના લક્ષ્ણો દ્વારા મુખ્ય વિષયોને લઇને ભૂમંડળની વિશેષતાઓનું વર્ણન કરીશું. ૪ આ જમ્બુદ્વીપ જેમાં આપણે રહીએ છીએ, ભૂમંડળરૂપી કમળના કોશ સ્થાનીય જે સાત દ્વીપો છે, તેમાં સૌથી અંદરનો જે કોશ છે તેનો વિસ્તાર એક લાખ યોજન છે અને આ કમળપત્રની જેમ ગોળાકાર છે. ૫ તેમાં નવ હજાર યોજનના વિસ્તારવાળા નવ ખંડ છે. જે તેની સીમારેખાનો વિભાગ કરનાર આઠ પર્વતોથી વહેંચાયેલા છે. ૬ તેમની વચ્ચે ઈલાવૃત્ત નામનો દશમો ખંડ છે, તેના મધ્યભાગમાં કુલપર્વતોનો રાજા મેરુપર્વત છે. તે જાણે ભૂમંડળરૂપ જે કમળ તેની ડાંડી જ છે તે ઉપરથી લઇને નીચે સુધી બધું સુવર્ણ મય છે. અને એક લાખ યોજન ઊંચો છે. તેનો વિસ્તાર શિખરપર બત્રીસ હજાર અને તળેટીમાં સોળ હજાર યોજન છે. તથા સોળ હજાર યોજન તે પૃથ્વીની અંદર રહેલો છે, અર્થાત્‌ ભૂમિની બહાર તેની ઊંચાઇ ચોર્યાસી હજાર યોજન છે. ૭ ઈલાવૃત ખંડના ઉત્તરમાં ક્રમશઃ નીલ, શ્વેત અને શૃઙ્ગવાન્‌ નામના ત્રણ પર્વત છે, જે રમ્યક, હિરણ્મય અને કુરુ નામના ખંડની સીમા નક્કી કરે છે. તે પૂર્વથી પશ્ચિમસુધી ખારા પાણીના સમુદ્ર સુધી ફેલાયેલો છે. તેમાં દરેકની પહોળાઇ બે હજાર યોજન છે અને લંબાઇમાં પહેલાં કરતા પછીનો ક્રમશઃ દસમા ભાગથી સહેજ વધુ એટલા માપમાં ઓછો છે; પહોળાઇ અને ઊંચાઇ તો બધાયની સરખી છે. ૮

આ પ્રમાણે ઇલાવૃતની દક્ષિણની બાજુ એક પછી એક નિષધ, હેમકૂટ, અને હિમાલય નામના ત્રણ પર્વતો છે. નીલા વગેરે પર્વતની જેમ આ પણ પૂર્વ અને પશ્ચિમની બાજુ ફેલાયેલો છે  અને દશ-દશ હજાર જોજન ઊંચા છે. તેનાથી ક્રમશઃ હરિવર્ષ, કિંપુરુષ અને ભારતવર્ષની સીમાઓનો વિભાગ આવે છે. ૯ ઇલાવૃતથી પૃર્વ અને પશ્ચિમની બાજુએ ઉત્તરમાં નીલ પર્વત અને દક્ષિણમાં નિષધ પર્વત સુધી ફેલાયેલ ગંધમાદન અને માલ્યવાન્‌ નામના બે પર્વ તો છે. તેની પહોળાઇ બે-બે હજાર જોજન છે અને આ ભદ્રાશ્વ અને કેતુમાલ નામના બે ખંડોની સીમા નક્કી કરેલ છે.૧૦ તેના સિવાય મંદર, મેરુમંદર, સુપાર્શ્વ અને કુમુદ આ ચાર દશ-દશ હજાર જોજન ઊંચા અને એટલા જ પહોળા પર્વતો મેરુ પર્વતના આધારભૂત થંભની સમાન બનેલા છે. ૧૧ આ ચારેની ઉપર તેની ધ્વજાની સમાન ક્રમશઃ આંબો, જાંબુડો, કદંબ અને વડ આ ચાર વૃક્ષો છે. તેમાંથી પ્રત્યેક અગિયારસો યોજન ઊંચા છે અને એટલીજ તેની ડાળીઓનો વિસ્તાર છે. તેની જાડાઇ સો-સો જોજન છે. ૧૨

હે ભરતશ્રેષ્ઠ ! આ પર્વતો ઉપર ચાર સરોવર પણ છે, જે ક્રમશઃ દૂધ, મધ, શેરડીનો સર અને મીઠા પાણી ભરેલ છે. આનું પાન કરનાર યક્ષો, કિન્નરો વગેરે ઉપદેવતાઓને સ્વભાવથી જ યોગસિદ્ધિઓ પ્રાપ્ત છે. ૧૩ તેની ઉપર ક્રમશઃ નંદન, ચૈત્રરથ, વૈભ્રાજક અને સર્વતોભદ્ર નામના ચાર દિવ્ય ઉપવન પણ છે. ૧૪ તેમાં મુખ્ય દેવગણ, અનેક સુરસુંદરીઓના નાયક બનીને સાથે વિહાર કરે છે. તે સમયે ગંધર્વો વગેરે ઉપદેવગણો તેના જ મહિમાના વખાણ કર્યા કરે છે. ૧૫ મંદરાચલની તળેટીમાં જે અગિયાર સો જોજન ઊંચા દેવતાઓનાં આમ્રવૃક્ષ છે. તેમાંથી ગિરિશિખરની સમાન મોટા અને અમૃતની સમાન સ્વાદિષ્ટ ફળ પડે છે. ૧૬ તે જ્યારે તૂટે છે, ત્યારે તેમાંથી અતિ સુગંધિત અને મીઠો લાલ રસ વહેવા લાગે છે. તે જ અરુણોદા નામની નદીના રૂપમાં બદલાઇ જાય છે. આ નદી મંદરાચલના શિખરથી ઉતરીને પોતાના જળથી ઇલાવૃત્ત ખંડના પૂર્વના વિભાગને સીંચે છે. ૧૭ શ્રીપાર્વતીજીની અનુચરી યક્ષપત્નિઓ આ જળનું સેવન કરે છે. તેનાથી તેઓના શરીરમાંથી સુગંધ નિકળે છે કે તેને સ્પર્શ કરીને વહેતો પવન પણ તેની ચારે બાજુ દશ જોજન સુધીના પ્રદેશને સુગંધથી ભરી દે છે. ૧૮

આ પ્રમાણે જાંબુના વૃક્ષ પરથી હાથી જેવડા મોટા અને પ્રાયઃ ઠળિયા વિનાના ફળો પડે છે. ઘણા ઊંચેથી પડવાને કારણે તે ફાટી જાય છે. તેના રસથી જાંબુ નામની નદી પ્રગટ થાય છે, જે મેરુમંદર પર્વતના દશ હજાર જોજન ઊંચા શિખરથી ઉતરીને ઇલાવૃત્તના દક્ષિણ ભૂભાગને સીંચે છે. ૧૯ તે નદીના બન્ને કિનારાઓની માટી તે રસથી ભીંજાઇને જ્યારે પવન અને સૂર્યના સંયોગથી સુકાઇ જાય છે, ત્યારે એ જ દેવલોકને વિભૂષિત કરનાર જાંબૂનદ નામનું સુવર્ણ બની જાય છે.૨૦ તેનાથી દેવતાઓ અને ગન્ધર્વો વગેરે પોતાની યુવાન સ્ત્રીઓ સાથે મુગટ, કડાં, કંદોરા વગેરે આભૂષણોના રૂપમાં ધારણ કરે છે. ૨૧ સુપાર્શ્વ પર્વત ઉપર જે વિશાળ કદંબવૃક્ષ આવેલું છે, તેની પાંચ બખોલોમાંથી મધની પાંચ ધારાઓ નિકળે છે; આ સુપાર્શ્વના શિખર ઉપરથી ઊતરીને ઇલાવૃત્ત ખંડના પશ્ચિમ ભાગને પોતાના સુગંધથી સુવાસિત કરે છે. ૨૨ જે લોકો એનું મધુપાન કરે છે, તેઓના મુખથી નિકળેલ પવન પોતાની ચારે બાજુ સો-સો જોજન સુધી તેની સુગંધ ફેલાવી દે છે. ૨૩ આ પ્રમાણે કુમુદ પર્વત ઉપર જે શતવલ્શ નામનું વટવૃક્ષ છે, તેની વડવાઇઓમાંથી નીચે તરફ વહેતા અનેક પ્રવાહો નિકળે છે, તે બધા ઇચ્છાનુસાર ભોગો આપનાર છે. તેનાથી દૂધ, દહીં, મધ, ધી, ગોળ, અન્ન, વસ્ત્ર, શય્યા, આસન અને આભૂષણ વગેરે પદાર્થો મળી જાય છે. આ બધુ કુમુદના શિખર ઉપરથી નિકળીને ઇલાવૃત્તના ઉત્તર વિભાગને સીંચે છે. ૨૪ તેમને આપેલા પદાર્થોનું સેવન કરવાથી ત્યાંની પ્રજાની ચામડીમાં કરચલીઓ પડવી, વાળ ધોળા થઇ જવાં, થાક લાગવો, શરીરમાંથી પરસેવો નિકળવો, વૃદ્ધાવસ્થા થવી, રોગ થવો, મૃત્યુ, ઠંડી-ગરમીની પિડા, શરીર તેજ વિનાનું થઇ જવું તથા શરીર તૂટવાં વગેરે કષ્ટ ક્યારે પણ સતાંવતા નથી અને તેને જીવન પર્યંત સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. ૨૫ હે રાજન્‌ ! કમળની કર્ણિકાની ચારે બાજુ જેમ કેસર હોય છે, તેવી જ રીતે મેરુના મૂળદેશમાં તેની ચારે બાજુ કુરઙ્ગ, કુરર, કુસુંભ, વૈકઙ્ક, ત્રિકૂટ, શિશિર, પતઙ્ગ, રુચક, નિષધ, શિનીવાસ, કપિલ, શઙ્ખ, વૈદૂર્ય, જારુધિ, હંસ, ઋષભ, નાગ, કાલંજર અને નારદ વગેરે વીસ પર્વત બીજા પણ છે. ૨૬ તેના સિવાય મેરુની પૂર્વ દિશા તરફ જઠર અને દેવકૂટ નામના બે પર્વતો છે, જે અઢાર હજાર જોજન લાંબા તથા બે હજાર જોજન પહોંળા અને ઊંચા છે. આ પ્રમાણે પશ્ચિમ તરફ પવન અને પારિયાત્ર, દક્ષિણ તરફ કૈલાસ અને કરવીર તથા ઉત્તર તરફ ત્રિશૃઙ્ગ અને મકર નામના પર્વતો છે. આ આઠ પર્વતોથી ચારે બાજુથી ઘેરાયેલો સુવર્ણગિરિ મેરુ અગ્નિની સમાન જગમગતો રહે છે. ૨૭ કહેવાય છે કે મેરુના શિખર ઉપર વચ્ચોવચ ભગવાન બ્રહ્માજીની સુવર્ણમય નગરી છે, જે આકારમાં સમચોરસ અને કરોડ જોજન વિસ્તારવાળી છે. ૨૮ તેની નીચે પૂર્વ વગેરે આઠ લોકપાલોની આઠ પુરીઓ છે. તે પોતપોતાના સ્વામીને અનુરૂપ તે તે દિશાઓમાં છે તથા પરિમાણમાં બ્રહ્માજીની પુરીથી ચોથા ભાગની છે. ૨૯

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે ભુવન કોશ વર્ણન નામનો સોળમો અધ્યાય સંપૂર્ણઃ (૧૬)