૫૪ પુરુષોત્તમગીતા અધ્યાય ૧૪: ભગવાનનું અન્યથા કર્તાપણું ભગવાનનું પ્રકાશને પ્રકટ કરવાપણું.

Submitted by swaminarayanworld on Fri, 27/05/2016 - 9:15pm

અધ્યાય-૫૪

હે વર્ણીન્દ્ર ! વળી જેમ રાજા અને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે પણ રાજાનું સામર્થ્ય અને ઐશ્વર્ય તેમજ રૂપ અને લાવણ્યતા તે સર્વોપરી છે, અને રાજા થકી જે થાય તે ચાકર થકી થાય નહીં, સૂઝે તેવડો મોટો હોય તો પણ ન થાય, તેમ પુરુષોત્તમ નારાયણ તે સર્વ કર્તા છે, સર્વ કારણ છે અને સર્વ નિયંતા છે, તેમજ અતિ રૂપવાન છે, અને અતિ તેજસ્વી છે, અને અતિ સમર્થ છે, તેમજ કર્તું, અકર્તું, અન્યથા કર્તુ સમર્થ છે. અને જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિષે રહ્યા જે મુક્ત તે સર્વને પોતાના તેજમાં લીન કરીને પોતે એકજ વિરાજમાન રહે છે. અને સૂઝે તો એ સર્વ મુક્તોએ સેવ્યા થકા એમની ભક્તિને અંગીકાર કરે અને તેઓ સહિત બિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિષે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા જ બિરાજમાન રહે. અને પોતાને ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું જે, “મારા ધનુષ્યથી નીકળેલાં જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્યે કરીને હું આ સર્વ જગતને ધારવા સમર્થ છું.” તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્યે કરીને સર્વોપરી વર્તે છે. તે એમને અને બીજા અક્ષરાદિક મુકતોને સરખા કહે છે તેમને તો દુષ્ટ મતવાળા જાણવા, અને તેને અતિ પાપી જાણવા, અને તેનાં દર્શન પણ કરવાં નહીં.

હે વર્ણીન્દ્ર ! એવી રીતની સમજણવાળાનાં દર્શન કરીએ તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને જેને વિષે મોટપ કહીએ એ મોટપ તો નારાયણને લઈને એને વિષે સંભવે. અને એને લઈને વિષ્ણુ, બ્રહ્મા, શિવ, નારદ અને સનકાદિક એ સર્વેને ભગવાન કહેવાય છે. અને ઉધ્ધવજીને વિષે એ નારાયણને લઈને ઉધ્ધવને પણ ભગવાન કહેવાય છે. અને હમણાં મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિષે એ શ્રી પુરુષોત્તમ નારાયણને લઈએ તો એમને પણ ભગવાન જેવા કહેવાય. અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી  વાર્તા કહેવી? અને अपरिमिता ध्रुवास्तुनुभृतो यदि सर्वगताએ વેદ સ્તુતિના ગદ્યનો પણ એજ અર્થ છે.

હે વર્ણીન્દ્ર ! જો એમ ન હોય તો આ આપણ સર્વે છીએ તે આ દેહથી જુદો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ. અને જ્ઞાન, વૈરાગ્ય આદિ સાધને યુક્ત છીએ; તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત-દિવસ ઉજાગરા કરીએ છીએ. અને કીર્તન, નામ- સ્મરણ ને તાળીઓ વજાડી વજાડીને હાથની આંગળીઓ પણ ફાટી જાય એમ કરીએ છીએ. તથા કથા-વાર્તા રાત-દિવસ કરીએ કરાવીએ છીએ. તે જો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખડો શું કરવા કરીએ? માટે એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, બીજો કોઈ એ જેવો થતો નથી. અને હે વર્ણીન્દ્ર ! एकमेवद्वितीयं ब्रह्म એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે, એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે. એમ સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે.

અને હે વર્ણીન્દ્ર ! यत्र त्रिसर्गो मृषा એવું જે એ શ્લોકનું પદ તેનો અર્થ પણ એ જ છે જે, માયાના ત્રણ ગુણનો સર્ગ પંચભૂત, ઈન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા, તે ભગવાનના સ્વરૂપને વિષે ત્રિકાળમાં છેજ નહીં એમ સમજવું, તથા એ શ્લોકનું પદ જે, धाम्ना स्वेन सदा निरस्तकुहकं કહેતાં ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિષે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્યે યુક્ત છે તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિષે જાણવું તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય.

અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માયિક દૃષ્ટિએ કરીને જુવે છે ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે. અને જેમ પોતે જન્મ્યો હોય, બાળક થાય, જુવાન થાય, વૃધ્ધ થાય, અને અંતે મરી પણ જાય તેમજ ભગવાનને પણ જાણે છે, અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિષે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનના ચરણકમળને ભજે ત્યારે એની માયિક દૃષ્ટિ મટે છે. તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય, સત્‌, ચિત્‌, આનંદમય જાણે છે. તે પણ ભાગવતમાં કહ્યું છે જે,

स वेद धातुः पदविं परस्य दुरंतवीर्यस्य रथाङ्‌ गपाणेः

यो मायया संततयानुवृत्या भजेत तत्पादसरोजगंधम्‌।।

અને એ ભગવાનને વિષે જે બાળક, જુવાન, વૃધ્ધપણું દેખાય છે તથા જન્મ-મરણપણું દેખાય છે તે તો એની યોગમાયાએ કરીને દેખાય છે પણ વસ્તુગતે તો ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે. જેમ નટવિદ્યાવાળો હોય, તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇંદ્રના શત્રુ જે અસુરના યોધ્ધા તે સાથે લડવા જાય અને પછી કટકા થઇને તે નટ હેઠો પડે અને પછી તેની સ્ત્રી તે કટકા ભેગા કરીને બળી મરે છે. પછી થોડી જ વારમાં તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવોને તેવોજ આવીને રાજા પાસે મોજ માગે અને કહે જે, મારી સ્ત્રી લાવો.

એવી રીતની જે નટની માયા તે પણ કોઇને કળ્યામાં આવતી નથી તો ભગવાનની યોગમાયા કળ્યામાં કેમ આવે ? ન જ આવે. અને હે મુકુંદવર્ણિ ! જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે જે, એ નટ મર્યો પણ નથી અને બળ્યો પણ નથી, જેવો છે તેવો ને તેવો જ છે, તેમ ભગવાનના સ્વરૂપને જે તત્ત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અને અવિનાશી જેવા છે તેવા જ સમજે છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે ભગવાનની રૂક્ષ્મણી આદિક પટરાણીઓ તે ભગવાનના દેહને ખોળામાં લઇને બળી મરી, ત્યારે તો જે અજ્ઞાની હતા તેમણે તો એમ જાણ્યું જે, હવે તો એ નાશ ગયા. અને જે જ્ઞાની હતા તેમણે તો એમ જાણ્યું જે અહીંથી અંતર્ધાન થઇને બીજે ઠેકાણે જણાયા છે. એમ ભગવાનને અખંડ સમજે. તે પોતે શ્રીકૃષ્ણે કહ્યું છે જે,

अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम्‌ ।

परं भावमजानंतो मम भूतमहेश्वरम्‌.।।

માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા સમજે અને નિરાકાર સમજે તો બીજા આકારને જેમ માયિક જાણે છે તેમ ભગવાનના આકારને પણ માયિક જાણે અને અરૂપ જેવું ભગવાનનું સ્વરૂપ કલ્પે છે. માટે એ બે પ્રકારે તે મૂર્ખને અવળું પડે છે. હે વર્ણીન્દ્ર ! જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું છે જે, ‘‘सऐक्षत’’  કહેતાં તે ભગવાને જોયું, જો જોયું તો એ ભગવાનનાં નેત્ર-શ્રોત્રાદિક અવયવે સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ હતું અને વળી એમ પણ કહ્યું છે જે,

‘‘पुरुषेणात्मभूतेन वीर्यमाध्रूद्गा वीर्यवान्‌’’

આવી રીતે પુરુષરૂપે થઇને એ પુરુષોત્તમે માયાને વિષે વીર્ય ધારણ કર્યું ત્યારે એ ભગવાન પ્રથમ જ સાકાર હતા. અને એ જે પુરુષોત્તમ નારાયણ તે કોઇક કાર્યને અર્થે પુરુષરૂપે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઇ જાય છે અને પુરુષોત્તમ પોતે જ રહે છે. તેમજ માયારૂપે થાય છે ત્યારે માયા પણ પુરુષોત્તમના તેજમાં લીન થઇ જાય છે અને તે રૂપે ભગવાન જ રહે છે, અને પછી એ ભગવાન મહત્તત્ત્વરૂપે થાય છે. તેમજ મહત્તત્ત્વમાંથી થયાં જે બીજાં તત્ત્વ તે રૂપે થાય છે અને પછી તે તત્ત્વનું કાર્ય જે વૈરાટ તે રૂપે થાય છે. તથા નારદ-સનકાદિક રૂપે થાય છે.

હે વર્ણીન્દ્ર ! એવી રીતે અનેક પ્રકારનાં કાર્યને અર્થે જેને જેને વિષે એ પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે તેને તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષપણે બિરાજમાન થઇને રહે છે. અને જેને વિષે પોતે વિરાજમાન થઇને રહે છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રકટ કરે છે. જેમ અગ્નિ લોઢાને વિષે આવે છે ત્યારે લોઢાનો જે શીતળ ગુણ અને કાળો વર્ણ તે ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે, તથા જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા અને ચન્દ્રમા આદિકનાં તેજ લીન થઈ જાય છે અને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે તેમ એ ભગવાન પણ જેને વિષે આવે છે ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે.

હે વર્ણીન્દ્ર ! જે કાર્યને માટે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કર્યા પછી તેમાંથી પોતે જુદા નીસરી જાય છે, ત્યારે તો તે પંડે જેવા હોય તેવા જ રહે છે. અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું  એમ જાણવું. એવી રીતે સર્વના કારણ અને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેની મૂર્તિને વિષે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં. જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન, ઉપાસના ને ભક્તિ કરવાં પણ તેથી કાંઇ પૃથક્‌ ન સમજવું અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવું.

અને જે આવી રીતે સમજે તેને ભગવાનને વિષે કોઇ પ્રકારે મોહ થતો નથી. અને આ વાર્તા છે તે કેને સમજ્યામાં આવે છે તો જેને આવી દૃઢ પ્રતીતિ હોય જે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાન અને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકાર રૂપે કરીને અક્ષરધામને વિષે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે. અને તે ભગવાનનું રૂપ અને તે ભગવાનના ભક્તનાં રૂપ તે અનંત સૂર્ય ચન્દ્રના પ્રકાશ સરખાં પ્રકાશે યુક્ત છે.

એવી જાતની જેને દૃઢ મતિ હોય તેજ આ વાતને સમજી શકે. ને એવા તેજોમય દિવ્ય મૂર્તિ જે ભગવાન છે તે જ જીવોના કલ્યાણને અર્થે અને પોતાને વિષે નવ પ્રકારની ભક્તિ જીવોને કરાવવા માટે કૃપા કરીને પોતાની જે શક્તિઓ, ઐશ્વર્ય અને પાર્ષદોએ સહિત મનુષ્ય જેવા થાય છે ત્યારે પણ એવા મર્મના જે જાણનારા છે તે એ ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિષે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિષે જે ભગવાનનું મનુષ્યસ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિષે અને આ પ્રત્યક્ષ સ્વરૂપને વિષે લેશ માત્ર ફેર સમજતા નથી.

એવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને તેને માયાની નિવૃત્તિ થઇ કહેવાય અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ અને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દૃઢ ઉપાસના હોય, અને તે ભગવાનના સ્વરૂપમાં કોઇ દિવસ માયિકપણાનો સંશય થતો ન હોય, અને તેને કદાચિત્‌ કોઇ કુસંગના યોગે કરીને અથવા પ્રારબ્ધ કર્મને યોગે કરીને કાંઇ અવળું વર્તાઇ જાય તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય અને તે ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય અને મહાયોગી હોય તો પણ તેનું કલ્યાણ થાવું અતિ કઠણ છે. અને પ્રથમ જે એવો દૃઢ નિશ્ચય કર્યો હોય જે જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ આ ભગવાન સાકાર છે, આવી દૃઢ ગ્રંથી હૃદયમાં પડી હોય અને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય અથવા એવી વાત કોઇથી સાંભળે તો પણ તેને સંશય થાય નહીં, કેમ જે એ તો એમ સમજ્યો છે જે, ભગવાન તો સદાય સાકાર જ છે પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે. એવી રીતે જેની દૃઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે જે પુરુષોત્તમગીતા તેમાં કર્તું અકર્તું, અન્યથાકર્તું તથા ભગવાન જેને જેને વિષે પ્રવેશ કરે છે તેના તેના પ્રકાશ ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રગટ કરે છે એ નામે ચૌદમો અધ્યાય.૧૪ સળંગ અધ્યાય. ૫૪