ગઢડા પ્રથમ – ૪. નારદજીના જેવી ઈર્ષ્યા કરવાનું

Submitted by swaminarayanworld on Sat, 08/01/2011 - 10:53am

ગઢડા પ્રથમ – ૪. નારદજીના જેવી ઈર્ષ્યા કરવાનું

સંવત્  ૧૮૭૬ ના માગશર સુદિ ૭ સપ્‍તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વેશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “ભગવાનના ભકતને પરસ્‍પર ઈર્ષ્યા ન કરવી.” ત્‍યારે આનંદાનંદ સ્‍વામી બોલ્‍યા જે “હે મહારાજ ! ઈર્ષ્યા તો રહે છે.” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી, જેમ ‘એક સમયને વિષે નારદજી ને તુંબરૂ એ બે વૈકુંઠને વિષે લક્ષ્મીનારાયણનાં દર્શન કરવા ગયા, તે લક્ષ્મીનારાયણ આગળ તુંબરૂએ ગાન કર્યુઁ , તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બેય પ્રસન્ન થઇને તુંબરૂને પોતાનાં વસ્ત્ર આભૂષણ આપયાં ત્‍યારે નારદજીને તુંબરૂ ઉપર ઈર્ષ્યા આવી જે, ‘હું તુંબરૂના જેવી ગાનવિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરૂં. ‘પછી નારદજી ગાનવિદ્યા શીખતા હવા, અને ભગવાન આગળ ગાતા હવા, ત્‍યારે ભગવાને કહ્યું જે ‘તમને તુંબરૂના જેવું ગાતાં નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાતા હવા, તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા, એવી રીતે સાત મન્‍વંતર સુધી ગાન વિદ્યા શીખ્‍યા અને ગાયા તો પણ ભગવાન પ્રસન્ન ન થયા, પછી તુંબરૂ પાસે ગાન વિદ્યા શીખ્‍યા અને શ્રીકૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા હવા ત્‍યારે શ્રીકૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાનાં વસ્ત્ર અલંકાર નારદજીને આપયાં, ત્‍યારે નારદજીએ તુંબરૂ સાથે ઈર્ષ્યા મેલી, માટે ઈર્ષ્યા કરવી તો એવી કરવી જે જેની  ઉપર ઈર્ષ્યા હોય, તેના જેવા ગુણોને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્‍યાગ કરવા, અને તેવું ન થવાય ને જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભકતનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભકતને સર્વ પ્રકારે ત્‍યાગ કરવો. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૪||

તા-૨૩/૧૧/૧૮૧૯ મંગળવાર