ગઢડા પ્રથમ – ૬૧ : બળિ રાજાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 9:52pm

ગઢડા પ્રથમ – ૬૧ : બળિ રાજાનું

સંવત્ ૧૮૭૬ ના ફાગણ વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટાને વિષે  ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને હીરકોરનું  શ્વેત ધોતિયું મસ્‍તકે બાંઘ્‍યું હતું અને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાઘમાં ડાબી કોરે લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહિ તેનો શો ઉપાયછે?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ‘હું દેહ નહિ, હું તો દેહથી નોખો ને સર્વનો જાણનારો એવો જે આત્‍મા તે છું.’ એવી રીતે આત્‍મનિષ્‍ઠા તે જ્યારે અતિશે દૃઢ થાય, ત્‍યારે કોઇ રીતે કરીને ધીરજ ડગે નહિ, અને આત્‍મનિષ્‍ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહિ.

પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પુછયું જે, “જે આત્‍મનિષ્‍ઠા હોય તે અંત સમે કેટલીક સહાય કરે છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેમ નદી તરવી હોય ત્‍યાંતો જેને તરતાં આવડતું હોય તે તરી જાયને જેને તરતાં ન આવડતું હોય તે તો ઉભો થઇ રહે, પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્‍યારે તો તે બેયને વહાણનું કામ પડે છે, તેમ ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુ:ખ તે રૂપી જે નદી તેને તો આત્‍મનિષ્‍ઠાવાળો હોય તે તરી જાય. પણ મૃત્‍યું સમય તો સમુદ્ર જેવો છે, માટે ત્‍યાં તો આત્‍મનિષ્‍ઠાવાળો હોય તથા વગર આત્‍મનિષ્‍ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસનારૂપી વહાણનું કામ પડે છે, માટે અંતકાળે તો ભગવાનનો દૃઢ આશરો હોય તે જ કામમાં આવે છે પણ આત્‍મનિષ્‍ઠા કાંઇ કામમાં આવતી નથી, તે સારું ભગવાનની ઉપાસનાને દૃઢ કરીને રાખવી.

પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે “ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિયો આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્વયમાં ડગમગાટ હોય તેનેજ આવે છે કે નિશ્વયવાળાને આવે છે. ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ‘સિદ્ધિયો તો જેને પરિપકવ ભગવાનનો નિશ્વય હોય તેને જ આવે છે અને બીજાને તો સિદ્ધિયો ઘણી દુર્લભ છે. અને એ સિદ્ધિયોને પણ ભક્તની પરીક્ષા લેવા સારું ભગવાન જ પ્રેરે છે જે ‘એને મારી ઉપર ધણું હેત છે કે સિદ્ધિયો ઉપર ધણું હેત છે ?’ એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુવે છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઇ ન ઇચ્‍છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઇ જાય છે. ‘જેમ વામનજીએ બળીરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઇ લીધું અને ચૌદ લોકનાં બે પગલાં કર્યા અને ત્રીજાં પગલાં સારું તે બળીરાજાએ પોતાનું શરીર આપયું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્‍વ આપયું , તોય ભગવાને એને વગર વાંકે બાંઘ્‍યો તો પણ ભકિત થકી પડયો નહિ, ત્‍યારે એવી પોતાની અનન્‍ય ભકિત જોઇને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હવા. અને ભગવાને તો બળીરાજાને ક્ષણ માત્ર બાંઘ્‍યો હતો અને ભગવાન તો એની ભકિતરૂપી દોરીએ કરીને બંધાયા છે, તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળીને દરવાજે ઉભા છે, અને બળીરાજાની દૃષ્ટિ થકી પળ માત્ર પણ ભગવાન છેટે થતા નથી. એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્‍વ અર્પણ કરીને ભગવાનના દાસ થઇ રહીશું અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુ:ખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ થઇ જશે, શા માટે જે પોતે ભક્તવત્‍સલ છે અને કૃપાસિંધુ છે, તે જેની પોતાને વિષે અતિ દૃઢ ભકિત દેખે તેને પોતે આધીન થઇ જાય છે, પછી તે પ્રેમભકિતએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. પછી છુટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઇએ જે ‘ભગવાન જેમ જેમ મને વધુ દુ:ખ દેશે, તેમ તેમ વધુ મારે વશ થશે, અને પલમાત્ર મારાથી છેટે નહિ રહે’ એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય, તેમ તેમ અતિ  રાજી થવું. પણ કોઇ રીતે દુ:ખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહિ.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૬૧||