ગઢડા પ્રથમ – ૬૩ : નિશ્વયનું-તત્ત્વે કરીને ભગવાન જાણ્‍યાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 9:54pm

ગઢડા પ્રથમ – ૬૩ : નિશ્વયનું-તત્ત્વે કરીને ભગવાન જાણ્‍યાનું

સંવત્ ૧૮૭૬ના ફાગણ વદિ ૭ સપ્‍તમીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંઘ્‍યું હતું ને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી નૃસિંહાનંદ સ્‍વામીએ પુછયું જે, “ભગવાનના નિશ્વયમાં કસર હોય તેને કેવા સંકલ્‍પ થાય ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જેને નિશ્વયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઇ સામર્થી દેખાય ત્‍યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થી ન દેખાય ત્‍યારે અંતર ઝાંખું થઇ જાય અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્‍પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહિ, ત્‍યારે ભગવાનમાં અવગુણ પરઠે જે ‘હું આટલા દહાડાથી સત્‍સંગ કરી કરીને મરી ગયો તો પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી.’ એવી રીતે ભગવાનમાં દોષ પરઠે અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઇ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય, ત્‍યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિષે પરઠે જે ‘જેમ મારે વિષે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિષે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે.’ એવી રીતના જેને અંતરમાં ઘાટ થતા હોય તેને નિશ્વયમાં કસર જાણવી. એનો પરિપકવ નિશ્વય ન કહેવાય.

પછી પરમચૈતન્યાનંદ સ્‍વામીએે પુછયું જે, “હે મહારાજ ! જેને ભગવાનનો પરિપકવ નિશ્વય હોય તેને કેવી જાતના ઘાટ થાય ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જેને પરિપકવ નિશ્વય હોય તેને તો મનમાં એમ રહે જે ‘મારે સર્વે પ્રાપ્‍તિ થઇ રહી છે અને જ્યાં પ્રત્‍યક્ષ ભગવાન રહ્યા છે ત્‍યાંજ પરમધામ છે. અને આ સંત સર્વે તે નારદ, સનકાદિક જેવા છે અને સત્‍સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રુર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે અને જે બાઇઓ હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂકમણી, લક્ષ્મી તથા પાર્વતી એવી છે અને હવે મારે કાંઇ કરવું રહ્યું નથી અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું’ એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે. એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપકવ નિશ્વય જાણવો.

એમ કહીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્‍યા જે, તત્ત્વે કરીને ભગવાનનું સ્‍વરૂપ જાણ્‍યા પછી એને કાંઇ જાણવું રહેતું નથી, તે તત્ત્વે કરીને જાણ્‍યાની રીત કહીએ તે સાંભળો, જે સાંભળીને પરમેશ્વરના સ્‍વરૂપનો અડગ નિશ્વય થાય છે જે, પ્રથમ તો એને ભગવાનની મોટાઇ જાણવી જોઇએ, ‘જેમ કોઇક મોટો રાજા હોય તેના જે ગોલા અને ગોલીઓ હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય અને બાગ, બગીચા ને ધોડા, વેલ્‍યો, ધરેણાં એ આદિક જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખાં તેનાં ઘર જણાય. ત્‍યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિ શોભાયમાન હોય.’ તેમ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી. તો જેના નાભિકમળમાંથી બ્રહ્મા ઉત્‍પન્ન થયા એવા જે વિરાટ પુરૂષ તેના વૈભવનો પાર તો કયાંથી પમાય ? અને એવા અનંત કોટી વિરાટ પુરૂષ તેમના સ્‍વામી જે પુરૂષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર, જેને વિષે એવાં અનંતકોટિ બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્‍યે અણુંની પેઠે ઉડતાં ફરે છે, એવું એ ભગવાનનું ધામ છે અને તે ધામને વિષે પુરૂષોત્તમ ભગવાન પોતે દિવ્‍યરૂપે કરીને સદા વિરાજમાન છે અને તે ધામમાં અપાર દિવ્‍ય સામગ્રી છે. તે ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ ? એવી રીતે ભગવાનની મોટપ સમજે. અને જે જેથકી મોટો હોય તે તેથકી સૂક્ષ્મ હોય અને તે તેનું કારણ પણ હોય, ‘જેમ પૃથ્‍વી થકી જળ મોટું છે અને તે પૃથ્‍વીનું કારણ છે અને તે થકી સૂક્ષ્મ પણ છે અને જળ થકી તેજ મોટું છે અને તેજ થકી વાયુ મોટો છે અને વાયુ થકી આકાશ મોટો છે’ એવી રીતે અહંકાર, મહતત્ત્વ, પ્રધાનપુરૂષ, પ્રકૃતિપુરૂષ અને અક્ષર એ સર્વે એક બીજાથી મોટા છે અને એક બીજાથી સૂક્ષ્મ છે, ને કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે પણ ભગવાનનું જે અક્ષરધામ છે તેતો અત્‍યંત મોટું છે, જેના એક એક રોમને વિષે અનંત કોટી બ્રહ્માંડ અણુંની પેઠે ઉડતાંજ ફરે છે ‘જેમ કોઇક મોટો હસ્‍તી હોય તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય તે કશી ગણત્રીમાં આવે નહિ.’ તેમ એ અક્ષરની મોટાઇ આગળ બીજું કોઇ કાંઇ ગણત્રીમાં આવતું નથી. ‘જેમ ઝીણાં મચ્‍છર હોય તેને મઘ્‍યે કીડી હોય તે મોટી દેખાય, અને કીડીને મઘ્‍યે વીંછી હોય તે મોટો દેખાય અને વીંછીને મઘ્‍યે સાપ હોય તે મોટો દેખાય અને સાપને મઘ્‍યે સમળા હોય તે મોટી દેખાય, ને સમળાને મઘ્‍યે પાડો હોયતે મોટો દેખાય, ને પાડાને મઘ્‍યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મઘ્‍યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય અને તે પર્વતને મઘ્‍યે મેરૂપર્વત મોટો દેખાય અને તે મેરૂ જેવા પર્વતને મઘ્‍યે લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય છે અને તે લોકાલોક પર્વત થકી પૃથ્‍વી અતિ મોટી જણાય, અને પૃથ્‍વીનું કારણ જે જળ તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે’ એવી રીતે જળનું કારણ તે તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહતત્ત્વ છે, મહતત્ત્વનું કારણ પ્રધાન ને પુરૂષ છે, અને પ્રધાન ને પુરૂષનું કારણ મૂળ પ્રકૃતિ અને બ્રહ્મ છે.

અને એ સર્વેનું કારણ અક્ષરબ્રહ્મ છે અને તે અક્ષર તો પુરૂષોત્તમ ભગવાનનું ધામ છે. અને એ અક્ષરની સંકોચ ને વિકાસ અવસ્‍થા થતી નથી સદાય એકરૂપે રહે છે અને તે અક્ષર મૂર્તિમાન છે. પણ અતિ મોટા છે માટે કોઇની નજરે અક્ષરનું રૂપ આવતું નથી, “જેમ ચોવીસ તત્ત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરૂષાવતાર કહેવાય છે અને તે વિરાટ પુરૂષ જે તે કર ચરણાદિકે કરીને યુક્ત છે. પણ એની મૂર્તિ અતિશે મોટી છે માટે નજરે આવતી નથી અને જેની નાભિમાંથી થયું જે કમળ તેના નાળમાં બ્રહ્મા સો વર્ષ લગી ચાલ્‍યા પણ તેનો અંત ન આવ્‍યો અને જો કમળનોજ અંત ન આવ્‍યો, તો વિરાટ પુરૂષનો પાર કેમ આવે ? માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી” તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઇને નજરે આવે નહિ, તે શામાટે, જે એવાં એવાં બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્‍યાત ઉડતાં જ ફરે છે, એવડા મોટા છે. તે અક્ષરધામને વિષે પુરૂષોત્તમ ભગવાન પોતે સદાય વિરાજમાન છે અને પોતાની અંતર્યામી શકિતએ કરીને અક્ષરધામ અને અનંતકોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઇશ્વર તે સર્વેને વિષે અન્‍વયપણે રહ્યા છે અને તે અક્ષરધામને વિષે પોતાના સાધર્મ્ય પણાને પામ્‍યા એવા જે અનંત કોટિ મુક્ત તે એ ભગવાનની સેવાને વિષે રહે છે અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્યના જેવો પ્રકાશ છે, માટે જેના સેવક એવા છે તો એમના સ્‍વામી જે પુરૂષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય ? એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષરરૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિ પુરૂષરૂપે થાય છે અને પછી પ્રધાન પુરૂષરુપે થાય છે અને પછી પ્રધાનમાંથી થયાં જે ચોવીશ તત્ત્વ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્ત્વે કરીને સર્જાણા જે વિરાટ પુરૂષ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી બ્રહ્મા, વિષ્ણુ, શિવમાં પ્રવેશ કરીને તે તે રૂપે થાય છે.

એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્‍યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે, ‘જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્‍યો હોય તેને બરછી તથા નરેણીએ કરીને કાઢે તો નીસરે નહિ, તે તો અતિશે ઝીણું લોઢું હોય તેણે કરીને નીસરે.’ તેમ ભગવાન પણ પોતાની મોટાઇને પોતામાં સમાવીને અતિશે અલ્‍પ રૂપનું ધારણ કરે છે, ‘જેમ અગ્‍નિ પોતાનો પ્રકાશ અને જવાળા તેને સમાવીને મનુષ્ય જેવા થાય’ તેમ ભગવાન પણ પોતાની સામર્થિ છુપાવીને જીવના કલ્‍યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે જે ‘ભગવાન કાંઇ સામર્થિ કેમ પ્રગટ કરતા નથી ? પણ ભગવાન તો મુળગી જીવના કલ્‍યાણને અર્થે પોતાની સામર્થિ ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના ? એવી રીતે મહિમાયે સહિત જે ભગવાનનો નિશ્વય તે જેને હૃદયમાં દૃઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઇ બંધન કરવા સમર્થ નથી, માટે એવી રીતે તત્ત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઇ કરવું રહ્યું નથી.

પછી નિત્‍યાનંદ સ્‍વામીએ પુછયું જે, “એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે, કે અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, અનુક્રમનો કાંઇ મેળ નથી, ત્‍યાં દૃષ્ટાંત જેમ કોઇ પુરૂષ હોય તે તળાવને વિષે ડુબકી ખાય તે ડુબકી ખાઇને ગમે તો ત્‍યાં ને ત્‍યાં નીસરે અથવા કાંઠે નીસરે અથવા આસપાસ નીસરે, તેમ પુરૂષોત્તમ ભગવાન છે તે અક્ષરરૂપ ધામને વિષે ડુબકી ખાઇને ગમે તો ત્‍યાંથી પાઘરા જ મનુષ્યાકૃતિને ધરે છે અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધરે છે.

એમ વાર્તા કરીને પછી વળી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેને અતિદૃઢ નિશ્વય હોય, તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો જે, જેને પરિપકવ નિશ્વય હોય અને તે પોતે અત્‍યંત ત્‍યાગી હોય તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિમાર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હઠે નહિ અને કચવાઇને પણ કરે નહિ, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ જે, ગમે તેવો પોતામાં કાંઇક સ્‍વભાવ હોય અને તે કોટિ ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય, ને જો તે સ્‍વભાવને મુકાવ્‍યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો, તે સ્‍વભાવને તત્‍કાળ મુકે અને ત્રીજું એ લક્ષણ જે પોતામાં કાંઇક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડીમાત્ર રહેવાય નહિ અને પોતાનો અવગુણ લે, ને સંતનો ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા, કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે, એવું જેને વર્તતું હોય તેને પરિપકવ નિશ્વય જાણવો, એવા નિશ્વયવાળાને કોઇ દિવસ કોઇક પ્રારબ્‍ધ યોગે કરીને કાંઇક વર્તવામાં ફેર પડી જાય, તોય પણ તેનું અકલ્‍યાણ ન થાય. અને એવો નિશ્વય ન હોય ને ગમે તેવો ત્‍યાગી હોય, તોય પણ તેના કલ્‍યાણમાં ફેર છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૬૩||