ગઢડા પ્રથમ – ૭૨ : મહાત્મ્યે સહિત નિશ્વયનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 10:03pm

ગઢડા પ્રથમ – ૭૨ : મહાત્મ્યે સહિત નિશ્વયનું

સંવત્ ૧૮૭૬ ના ચૈત્ર વદિ ૧૧ એકાદશીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની સમીપે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! કાલને દિવસ તમે દાદાખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઇચ્‍છા છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ‘જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્વય માહાત્‍મ્‍યે સહિત હોય, ને સંતનું ને સત્‍સંગીનું માહાત્‍મ્‍ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું કર્મ જો કઠણ હોય, ને કાળ પણ કઠણ હોય, તો પણ તે ભક્તને એવી ભકિતનું અતિશે બળ છે તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્‍ઠામાં કાંઇક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઇચ્‍છે તોય પણ રૂડું થતું નથી. અને જે ગરીબને કલપાવે તેનું તો કોઇ રીતે રૂડું થાય જ નહિ. અને મહાભારતમાં ભીષ્મપિતાએ રાજા યુધિષ્‍ઠિરને એમ કહ્યું છે જે, “જો તું ગરીબને કલપાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્‍મ થઇ જઇશ.” માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઇ બીજો હોય. પણ ગરીબ માત્રને લેશમાત્ર દુ:ખવવો નહિ. અને જો ગરીબને દુ:ખવે તો તેનું કોઇ પ્રકારે સારૂં થાય નહિ. અને જો ગરીબને દુ:ખવે તો બ્રહ્મહત્‍યા જેટલું પાપ થાય છે, અને તેમ જ કોઇને માથે જુઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્‍યા જેવુંજ છે અને જો સાચું કલંક હોય, તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું, પણ તેને ફજેત કરવો નહિ. અને તેમજ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મભંગ કરાવે, તો તેને પણ બ્રહ્મહત્‍યાનું પાપ લાગે છે. તે પાંચ પ્રકારની સ્‍ત્રીઓ કઇ, તો- એક તો પોતાને શરણે આવી હોય, અને બીજી તે પોતાની સ્‍ત્રી હોય અને વ્રત ઉપવાસને દિવસે પોતાનો સંગ કરવા ન ઇચ્‍છતી હોય, અને ત્રીજી તે પતિવ્રતા હોય, અને ચોથી તે વિધવા સ્‍ત્રી અને પાંચમી તે વિશ્વાસી સ્‍ત્રી, એ પાંચ પ્રકારની સ્‍ત્રીઓને સંધાથે જો વ્‍યભિચાર કરે તો, તેને બ્રહ્મહત્‍યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્‍ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિષે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી.

પછી મુનિ જે તે ભગવાનનાં રસિક કીર્તન ગાવા લાગ્‍યા, તેને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ભગવાન જીવના કલ્‍યાણને અર્થે દેહ ધરે છે ત્‍યારે મનુષ્યના જેવી જ સર્વે ક્રિયા હોય, તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે, અને વિમુખ જીવ હોય અથવા કાચોપોચો હરિભક્ત હોય તે તો ચરિત્રને વિષે દોષ પરઠે, જેમ શુકજીએ રાસપંચાઘ્‍યાયીનું વર્ણન કર્યું ત્‍યારે રાજા પરિક્ષિતને સંશય થયો. પછી એમ પુછયું જે, ‘ભગવાન તો ધર્મની મર્યાદા સ્‍થાપન કરવાને અર્થે પ્રકટ થયા હતા, તેણે પરસ્‍ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો?’ એવી રીતે દોષ લીધો. અને શુકજીએ તો સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું જે, કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા તેનો કામદેવને અતિશે ગર્વ થયો, તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો, તે જેમ કોઇ બળવાન રાજા હોય તે શત્રુને પોતાની ગાંઠની દારૂગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય, તેમ ભગવાને કામ દેવરૂપી શત્રુને લડયાનો સામાન મોરથી આપયો. તે શું તો કામદેવનું બળ જ્યારે સ્‍ત્રીનો સંબંધ હોય ત્‍યારે થાય. તેમાં પણ શરદઋતુને વિષે રાત્રિમાં કામદેવનું બળ થાય. તથા સ્‍ત્રીના રાગરંગ વિલાસના શબ્‍દ સાંભળવા તથા સ્‍ત્રીનું રૂપ જોવું, સ્‍ત્રીનો સ્‍પર્શ કરવો તેણે કરીને કામદેવનું અતિશે બળ વધે છે, એ સર્વે સામાન શ્રીકૃષ્ણભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો, અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઉઘ્‍ર્વરેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો. એવું અલૌકિક સામથ્‍ર્ય ભગવાન વિના બીજામાં હોય નહિ, એવું અતિ ભગવાનનું સામથ્‍ર્ય જાણીને શુકજીએ ભગવાનનાં ચરિત્રગાન કર્યા અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહિ ત્‍યારે દોષ પરઠયો.

માટે કોઇક એમ કહે જે, “તમે પરમહંસ થઇને રસિક કીર્તન કેમ ગાઓ છો?” તો તેને એમ કહેવું જે, ‘જો અમે રસિક કીર્તન ન ગાઇએ અને ભગવાનનાં રસિક ચરિત્રને વિષે દોષ પરઠીએ, તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્‍તિક વિમુખ જીવ તેની પંકિતમાં ભળીએ. માટે અમારે તો વિમુખની પંકિતમાં ભળવું નથી, શા માટે જે પરમહંસ માત્રના ગુરુ જે શુકજી તેણે ભગવાનનાં રસિક ચરિત્ર ગાયાં છે, માટે અમારે પણ જરૂર ગાવવાં.’ અને ક્ષર, અક્ષરથી પર એવા પુરૂષોત્તમ જે ભગવાન છે તે જ્યારે જીવના કલ્‍યાણને અર્થે બ્રહ્માંડને વિષે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે ત્‍યારે સર્વે મનુષ્યના જેવાંજ ચરિત્ર કરે છે અને જેમ મનુષ્યને વિષે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્‍સર, આશા, તૃષ્ણા, ઇર્ષ્યા ઇત્‍યાદિક માયિક સ્‍વભાવ હોય તેવાજ સ્‍વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે, તે સર્વે જીવના કલ્‍યાણને અર્થે છે, પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઇ ને પરમપદને પામે છે અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે. અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્‍મા છે, તેમ જ પ્રકૃતિ પુરૂષ થકી પર અક્ષરબ્રહ્મ તેના પણ આત્‍મા છે અને ક્ષર અક્ષર એ બેયને પોતાની શકિતએ કરીને ધરી રહ્યા છે અને પોતે તો ક્ષર અક્ષરથી ન્યારા છે, અને ભગવાનની મોટાઇ તો એવી છે જે, “જેના એક એક રોમના છિદ્રને વિષે અનંત કોટિ બ્રહ્માંડ પરમાણુંની પેઠે રહ્યાં છે.” એવા જે મોટા ભગવાન તે જીવના કલ્‍યાણને વાસ્‍તે મનુષ્ય જેવડા જ થાય છે. ત્‍યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે. અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામથ્‍ર્ય રહે નહિ, તો મનુષ્યને તો રહે જ કયાંથી ? અને જેમ વડવાનળ અગ્‍નિ છે તે સમુદ્રનો ઓલાવ્‍યો ઓલાતો નથી, એવો મોટો છે, તે અગ્‍નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઇતો હોય, ત્‍યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહિ અને બળીને સર્વે ભસ્‍મ થઇ જઇએ અને તેજ અગ્‍નિ દીવા રૂપે હોય તો અજવાળું કરે, ને આનંદ થાય અને તે દીવો છે તો તેનો તે જ અગ્‍નિ પણ ફુંકીએ તથા  હાથે કરીને ઓલાવીએ તો ઓલાઇ જાય એવો અસમર્થ છે. તો પણ તે થકી જ આપણને સુખ થાય. પણ વડવાનળ અગ્‍નિથી સુખ ન થાય, તેમજ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્‍યાણ એ થકી જ થાય, પણ જેના એક એક રોમમાં અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે, એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહિ, માટે એવે રૂપે કરીને કલ્‍યાણ ન થાય, તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિધારીને જેવાં ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્‍ય છે, પણ એમ ન સમજવું જે, ‘ભગવાન થઇને એમ શું કરતા હશે ?’ અને ભગવાનનાં ચરિત્ર તો સર્વે કલ્‍યાણકારી સમજવાં એ જ ભક્તનો ધર્મ છે અને એવું સમજે તે જ ભગવાનનો પુરો ભક્ત કહેવાય છે.

પછી રોજકાના હરિભક્ત કાકાભાઇએ પુછયું જે, “જેને માહાત્‍મ્‍ય વિનાનો એકલો ભગવાનનો નિશ્વય હોય તેનાં શાં લક્ષણ છે ? અને જેને માહાત્‍મ્‍યે સહિત નિશ્વય હોય તેનાં શાં લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને એકલો નિશ્વય હોય તેને એમ થાય જે, ‘ભગવાન તો મળ્‍યા છે પણ શું જાણીયે કલ્‍યાણ થશે કે નહિ થાય ?’ અને જેને માહાત્‍મ્‍યે સહિત નિશ્વય હોય તેને એમ સમજાય જે ‘જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથીજ કલ્‍યાણ તો થઇ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારૂં દર્શન કરે તથા મારૂં વચન માને તેનું પણ કલ્‍યાણ થઇ જાય તો મારે કલ્‍યાણનો શો સંશય છે ? હું તો કૃતાર્થ છું અને જે કાંઇ સાધન કરૂં છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરૂં છું.’ એમ સમજે તેને ભગવાનનો માહાત્‍મ્‍યે સહિત નિશ્વય જાણવો.

પછી વળી કાકાભાઇએ પુછયું જે, “ઉત્તમ, મઘ્‍યમ અને કનિષ્‍ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત તેનાં શાં લક્ષણ છે. ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્‍મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુ:ખ, મિથ્‍યા, અપવિત્રપણું ઇત્‍યાદિક છે તે આત્‍માને વિષે માને નહિ અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઇત્‍યાદિક જે આત્‍માના ગુણ તે દેહને વિષે માને નહિ અને પોતાના શરીરને વિષે રહ્યો જે જીવાત્‍મા તેને દેખે અને તે આત્‍માને વિષે રહ્યા જે પરમાત્‍મા તેને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્‍મા રહ્યો છે તેને પણ દેખે અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્‍મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે પણ પોતાને આત્‍મદર્શન થયું છે તેનું અભિમાન લેશમાત્ર ન હોય, એવાં જેનાં લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્વય હોય અને આત્‍મનિષ્‍ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત ઉપર ઇર્ષ્યા આવે અને જો ભગવાન એનું અપમાન કરે, તો ભગવાન ઉપર પણ ઇર્ષ્યા આવે જે “મોટા થઇને વગર વાંકે આમ શીદ કરતા હશે ?” એવાં જેનાં લક્ષણ હોય તે મઘ્‍યમ ભક્ત જાણવો. અને ભગવાનનો નિશ્વય તો હોય પણ આત્‍મનિષ્‍ઠા ન હોય અને ભગવાનને વિષે પ્રીતિ હોય અને જગતના વ્‍યવહારને વિષે પણ પ્રીતિ હોય અને સાંસારિક વ્‍યવહારને વિષે હર્ષ શોકને પામતો હોય તેને કનિષ્‍ઠ ભક્ત જાણવો.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૭૨||