સારંગપુર ૧૦ : આત્મદ્રષ્ટિ-બાહ્યદ્રષ્ટિનું-પાંચ ખાસડાનું

Submitted by Parth Patel on Tue, 08/02/2011 - 11:56pm

સારંગપુર ૧૦ : આત્મદ્રષ્ટિ-બાહ્યદ્રષ્ટિનું-પાંચ ખાસડાનું

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૪ચૌદશને દિવસ શ્રીજી મહારાજ સર્વે સંતનું મંડળ લઇને ગામ કુંડળથી ચાલ્‍યા તે વાટમાં ગામ ખાંભડે આવ્‍યા ને ત્‍યાં પીપરના વૃક્ષ હેઠે ઉતર્યા પછી તે ગામના માણસે ઢોલિયો લાવીને તે ઉપર પધરાવ્‍યા અને તે સમે શ્રીજીમહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાને ચારે કોરે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા બેઠી હતી.

અને સાધુ કીર્તન ગાતા હતા તે કીર્તન રખાવીને શ્રીજીમહારાજે તે ગામના માણસ આગળ વાત કરી જે, આ સંસારને વિષે ધર્મવાળા ને અધર્મી એ બે પ્રકારના માણસ છે, તેમાં ધર્મવાળા જે માણસ હોય તે ચોરી તથા પરસ્‍ત્રીનો સંગ તથા ચાડીચુગલી એ આદિક સર્વે પાપનો ત્‍યાગ કરીને ને પરમેશ્વરથી ડરીને ધર્મમર્યાદામાં ચાલે છે, તેનો સંસારમાં જે પોતાના કુટુંબી હોય અથવા કોઇ બીજા હોય પણ તે સર્વે વિશ્વાસ કરે ને તે જે બોલે તે વચન સૌને સત્‍યજ ભાસે અને એવા જે ધર્મવાળા હોય તેનેજ સાચા સંતનો સમાગમ ગમે. અને જે અધર્મી માણસ હોય તે તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મદ્યમાંસનું ભક્ષણ, વટલવું, વટલાવવું એ આદિક સર્વે કુકમર્ો તેને વિષેજ ભરપુર હોય ને તેનો સંસારમાં કોઇ વિશ્વાસ કરેજ નહિ ને એનાં સગાં હોય તે પણ કોઇ એનો વિશ્વાસ ન કરે અને એવા જે અધર્મી હોય તેને સાચા સંતનો સમાગમ તો ગમેજ નહિ અને જો કોઇ બીજો તે સંતનો સમાગમ કરે તો તેનો પણ દ્રોહ કરે, માટે જેને કલ્‍યાણને ઇચ્‍છવું તેને અધર્મીને માર્ગે ચાલવુંજ નહિ અને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો તો નિશ્વયજ એ જીવનું કલ્‍યાણ થાય એમાં કાંઇ સંશય નથી, એટલી વાર્તા કરી તેને સાંભળીને તે ગામના કેટલાક માણસે શ્રીજીમહારાજનો આશ્રય કર્યો.

પછી ત્‍યાંથી શ્રીજીમહારાજ પાછા સારંગપુર પધાર્યા પછી જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા ને તે સમે પોતે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વિપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનનાં ધામ તેને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઇએ તો ધણાં છેટે છે અને આત્‍મદ્રષ્ટિએ કરીને જોઇએ તો એક અણું જેટલું પણ છેટું નથી, માટે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ છે તે મિથ્‍યા છે અને આત્‍મદ્રષ્ટિવાળાની સમજણ છે તે સત્‍ય છે અને જે સાધુ એમ સમજતો હોય જે મારા ચૈતન્‍યને વિષે ભગવાન સદાય વિરાજમાન છે તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિષે ભગવાન રહ્યા છે, અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે અને પોતાના જીવાત્‍માને સ્‍થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી પૃથક્ માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ સમજે તો તે સંત થકી ભગવાન તથા ભગવાનનાં ધામ તે અણું માત્ર છેટે નથી અને એવી રીતનો જે  સંત હોય તે તો જેવો શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે અને એવા સંતનું દર્શન થયું ત્‍યારે એમ જાણવું જે ‘મને સાક્ષાત્‍કાર ભગવાનનું દર્શન થયું’ ને એવી સમજણવાળો જે સંત તે તો કૃતાર્થ છે અને જેને આવી સમજણ તો આવી શકે નહિ ને જો તે સંતના સમાગમમાં પડયો રહે ને તે સંત નિત્‍ય પાંચ ખાસડાં મારે તો પણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મુકી શકે નહિ, જેમ અફીણનો બંધાણી હોય તે તેને મુકી શકતો નથી તેમ એ પણ કોઇ રીતે સંતનો સમાગમ તજી શકે નહિ તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણવો અને જેવી પ્રાપ્‍તિ તે સંતને થાય છે તેવીજ જે સંત સમાગમમાં પડયો રહે છે તેને પણ થાય છે.  ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૧૦|| ૮૮ ||