પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૩૮

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:17pm

 

દોહા

એમ મોટપ્ય આચારજની, ઘણી ઘણી કહી ઘનશ્યામ ।

એહ દ્વારે અનેકને, આપવું છે આજ નિજ ધામ ।।૧।।

ધામધણિયે એમ ધારિયું, જન ઉદ્ધારવા છે અપાર ।

પાર પમાડવા પ્રાણીને, એહ કર્યા આપે ઉપકાર ।।૨।।

આચારજથી અનેક જનનો, અવશ્ય સરશે અર્થ ।

એમ આપે આ સમે, વાવરી અતિ સામર્થ ।।૩।।

ધર્મકુળને જે અનુસરે, ત્યાગી ગૃહી નર કોઇ નાર ।

પરિશ્રમ વિના તે પામશે, અપાર ભવનો પાર ।।૪।।

 

ચોપાઇ

આચારજ કર્યા છે જે અમેરે, તેની રીત સુણી લિયો તમેરે ।

નથી અન્ય આચારજ જેવારે, જાય શ્રદ્ધા કરતાં સેવારે ।।૫।।

લાવો લાવો એમ વળી કરેરે, ધન લેવા ધરણિએ ફરેરે ।

લિયે ધન ને તાકે ત્રિયનેરે, તે કેમ કરે જીવનાં પ્રિયનેરે ।।૬।।

માટે એવા આચારજ આ નહિરે, એપણ વાત સમઝવી સહિરે ।

આ તો ત્રિયા ધનના તાકુ નથીરે, તેની વાત કહિયે છીએ કથીરે ।।૭।।

અમે બાંધી દિધી છે જે રીતરે, તેમાં રે’છે કરી અતિ પ્રીતરે ।

શિષ્ય શ્રદ્ધાએ કરશે સેવારે, ધન ધાન્યાદિ આવશે દેવારે ।।૮।।

તે તો સંતોષ સહિત લેશેરે, પણ કોઇને દુઃખ ન દેશેરે ।

એમ વરતશે એહ આપરે, પણ નહિ કરે કોઇને સંતાપરે ।।૯।।

નિજ સંબંધિ વિના બાઇયો સંગેરે, કેદિ ન બોલે ન અડે અંગેરે ।

કોઇ ઉપર રોષ ન રાખેરે, વળી કોઇને કલંક નહિ નાખેરે ।।૧૦।।

કેની જમાની પણ નહિ કરેરે, જુઠી સાખ્ય પણ નહિ ભરેરે ।

પડશે આપત તો માગી ખાશેરે, કરજ કેનું ન કાઢવા જાશેરે ।।૧૧।।

નહિ રાખે કોઇની થાપણરે, નહિ વેચે ધર્માદાના કણરે ।

સહુ ઉપર રાખશે દયારે, રે’શે એ ગુણે જે ગુણ કહ્યારે ।।૧૨।।

કળ છળ કપટ દગાઇરે, તે તો રાખશે નહિ ઉર માંઇરે ।

ઈરષા અદેખાઇ ને અમર્ષરે, રાખી નહિ ખુવે પોતાનો જશરે ।।૧૩।।

નહિ રાખે કોઇપર રોષરે, એમ વર્તશે સદા અદોષરે ।

એવા શુભ ગુણ જે અપારરે, આપ્યો એવાને અમે અધિકારરે ।।૧૪।।

સહુના ગુરુ કરી સોંપી ગાદીરે, રીત રાખશે એ રાયજાદીરે ।

ધર્મવંશી ધર્મ થાપશેરે, સારો ઉપદેશ સૌને આપશેરે ।।૧૫।।

એ તો કર્યું છે કલ્યાણ સારુંરે, એમાં બહુ ગમતું છે અમારુંરે ।

કાંજે કરવું છે બહુનું કારજરે, નથી રાખવો ફેર એક રજરે ।।૧૬।।

એહ આચારજથી અપારરે, બહુ જીવનો થાશે ઉદ્ધારરે ।

એમાં નહિ પડે કાંઇ ફેરરે, શીદ કે’વરાવો વેર વેરરે ।।૧૭।।

એમ જન પર હેત કરીરે, આપ ઇચ્છાએ આવ્યા છે હરિરે ।

ગમે ત્યાંથી તારશે પ્રાણીરે, તેની ગતિ લેશે કોણ જાણિરે ।।૧૮।।

ધાર્યું ધર્મસુતે ધામ દેવારે, સહુ જનને શરણે લેવારે ।

અતિ અસમર્થ જીવ અંગેરે, પો’ચિ ન શકે સુરપુર લગેરે ।।૧૯।।

તેને તેડી જાવા અક્ષરધામરે, એવું ધાર્યુંછે જો ઘનશ્યામરે ।

તેહ સારુ આવ્યા છે આપેરે, જીવ તારવા નિજ પ્રતાપેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટત્રિંશઃ પ્રકારઃ ।।૩૮।।