સારસિદ્ધિ કડવું - ૦૪ નિર્ભય ચરણ છે નાથનાં, સેવો શ્રદ્ધાએ સંત । પદ - ૧

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 2:36pm

રાગ :- ધન્યાશ્રી

 

જેમ વનજનને વા’લું વનજી, તેને વસતાં વસ્તીએ માને નહિ મનજી ।

ફળ દળ ફૂલ ખાય નિશદિનજી, અતિ રસે સરસ પણ ન ભાવે ભોજનજી ।।૧।।

 

રાગ :- ઢાળ

 

ભોજન તેને કેમ ભાવે, જેણે ખાધાં કોઠાં કરી ખાંત્ય ।

ઉપર ખાધી આંબલી, તેણે અંબાઈ ગયા છે દાંત ।।ર।।

જેની વિષય કોઠાંમાં વૃત્તિ વળગી, અહં મમતરુપ ખાધી આંબલી ।

તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કે’શે સાકરને ભલી ।।૩।।

તેમ ભોગવ્યાં સુખ જેણે ભૂમિનાં, તેથી અધિક સુણ્યાં અમરેશનાં ।

તેને પામવા પામર નર, સહે છે દુઃખ હમેશનાં ।।૪।।

જેમ અમલ પીતાં અકકલ નાસે, તોયે અંતરે જાણે અધિકું પિઉં ।

આવ્યું ડૂલપણું તે નથી દેખતો, એવું અતિશે ફૂટી ગયું હઈયું ।।પ।।

થોડી ઉપાધિયે પણ નથી ઠેકાણું, ઘણી ઉપાધિ કેમ ન ઘુંચવશે ।

સૂકું રણ ઉતરે સમર્થ નથી, તો કેમ ઉતરશે રણ જયારે વસે ।।૬।।

જાણે પેશી ઉંડા અર્ણવમાં, તળે જળ પીને તરષા તજું ।

પણ બહુ દુઃખ છે બા’ર આવતાં, તે પણ તપાસિયે ગજું ।।૭।।

આઘા પગ પરઠતાં, હૈયે કરવો નહિ હુલાસ ।

આગળ સુખ કે દુઃખ છે, તેનો કાઢવો તપાસ ।।૮।।

તેમ વિષય સુખની વાટે ચાલતાં, વિચારી જોવી જન વાત ।

કૈકવાર સુખ પામ્યા વામ્યા, લાખો લેખે લાગી લાત ।।૯।।

માટે વાટ એ મૂકવી, ન ચુકવી આવી આ પળ ।

નિષ્કુલાનંદ કહે નાથનાં, સેવવાં ચરણ કમળ ।।૧૦।। કડવું ।।૪।।

 

રાગ :- રામગરી 

(‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.)

 

નિર્ભય ચરણ છે નાથનાં, સેવો શ્રદ્ધાએ સંત ।

અવર ઉપાય અળગા કરી, સમઝો સાર સિદ્ધાંત; નિર્ભય૦ ।।૧।।

સુણી સુખ લોકાલોકનાં, શીદ કરો છો શોચ ।

એતો ઉદંબરે ફળ વળગ્યાં, થડથકી તે ટોચ; નિર્ભય૦ ।।ર।।

એમ વળગ્યા વિષય પાંચમાં, નર સુર અજ ઈશ ।

અધિક ન્યૂન એમાં નથી, રવિ શશિ સુરેશ; નિર્ભય૦ ।।૩।।

માટે ઉંડું વિચારી અંતરે, ખરી કરવી ખોળ્ય ।

નિષ્કુલાનંદ પ્રભુપદ પખી, જયાં જયાં જાય ત્યાં રોળ; નિર્ભય૦ ।।૪।।  પદ ।।૧।।