સારસિદ્ધિ કડવું - ૧૭

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 3:14pm

રાગ :- ધન્યાશ્રી

જેને ઉર ઉપજયો બૃહત વૈરાગ્યજી, તેનાં ઉઘડીયાં મહા મોટાં ભાગ્યજી ।

નથી એવો લાભ બીજો કહ્યા લાગ્યજી, જે થકી જડેછે મહાસુખમાં જાગ્યજી ।।૧।।

રાગ :- ઢાળ

મોટિ જાગ્ય જડેછે જનને, તેતો જાણજો બૃહત વૈરાગ્યવડ્યે ।

તે વિના તપાસિયું પણ, વાત નથી બેસતી ઘડ્યે ।।૨।।

તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો કૃપા કરે જગદીશ ।

કાંતો તેના જન મળે, વૈરાગ્ય-વાન મુનિશ ।।૩।।

હરિકૃપા વિના હોય નહિ, પામવા બૃહત વૈરાગ્ય ।

કાંતો બૃહિ જન હરિના મળે, તો વાત ન રહે કહ્યા લાગ્ય ।।૪।।

તેહ વિના બૃહત વૈરાગ્યની, આશા ન રાખવી ઉર ।

જેમ વણ વુંઠે વરસાતને, વળી ના’વે નદીયે પૂર ।।૫।।

જેમ નર નારી વિના ન નીપજે, બાળક તે બીજી પેર ।

તેમ બૃહત વૈરાગ્ય તો ઉપજે, જો હરિ હરિજન કરે મે’ર ।।૬।।

જેમ પાથ પૃથ્વી બે વિના, કહું કદી ન ઉપજે અન્ન ।

તેમ તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો મળે હરિ કે હરિના જન ।।૭।।

તે વિના તીવ્ર વૈરાગ્યનો, નથી ઉપજવા ઉપાય ।

માટે હરિ હરિજનને, સેવીને કરવા સા’ય ।।૮।।

જેહ પામવા ઇચ્છે કોઇ પ્રાપતિ, તેને અણગર્જુ ન રે’વું અંગ ।

દાસના દાસ થઇ રહી, રહિયે વૈરાગ્યવાનને સંગ ।।૯।।

શુદ્ધ સંતથી એ સંપત્તિ, બૃહત વૈરાગ્યની મળે વળી ।

નિષ્કુળાનંદ તો તન મનના, વિકાર સર્વે જાયે ટળી ।।૧૦।। કડવું ।।૧૭।।