સારસિદ્ધિ કડવું - ૧૬ તીવ્ર વૈરાગ્ય તડોવડ્યે, ના’વે સો સો સાધન । પદ - ૪

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 9:15pm

રાગ :- ધન્યાશ્રી

 

બૃહત વૈરાગ્ય છે વણમૂલું ઘરેણુંજી, સર્વથી સરસ સદા સુખદેણુંજી ।

પે’રતાં ઉતરે માથેથી ભવ મે’ણુંજી, તે પામિયે હોય પૂરણ જો લે’ણુંજી ।।૧।।

 

રાગ :- ઢાળ

 

પૂરણ લે’ણે એ પામિયે, અંગે એવું આભૂષણ ।

તે શોભાડે સર્વે રીતશું, પમાડે પ્રભુ તતક્ષણ ।।૨।।

જેજે શોભ્યા આ જગ્તમાં, તેતો સર્વે એ ઘરેણે ઘણું ।

પણ શુદ્ધ વૈરાગ્ય વિના સુર નરનું, પાણી ન રહ્યું મુખતણું ।।૩।।

વૈરાગ્ય વિના આ વિશ્વમાં, અન્ય શોભાએ જે શોભ્યા ઘણા ।

વણ વૈરાગ્યે જક્ત કર્તા હર્તા, લાગ્યા અતિશે લજામણા ।।૪।।

શુદ્ધ વૈરાગ્યે શોભા ઘણી, હરિજનની જાણો જરૂર ।

વૈરાગ્ય વિના લાગે વરવું, એ પણ વિચારવું ઉર ।।૫।।

વૈરાગ્યવાન વા’લા હરિને, સામું જોઇને સરાયે અતિ ।

વણ વૈરાગ્યવાન વિલોકિને, હરિ રાજી નથી થાતા રતિ ।।૬।।

શુક ભરત સનકાદિક શોભ્યા, બૃહત વૈરાગ્ય ઘરેણે ઘણું ।

જનક જયદેવ કદરજનું કહું, મુખ લાગ્યું સોયામણું ।।૭।।

જો ધરો તો અંગે ધરજો, શુદ્ધ વૈરાગ્યરૂપ શણગાર ।

તો હેતે કરિ હરિ રીઝશે, નિશ્ચે જાણો નિરધાર ।।૮।।

કોઇ સો સો શણગાર સજે શરીરે, કાછ શૃંખલા કથિરના ।

પણ કંચન વિના કેમ કહિયે, એ શોભાડનારા શરીરના ।।૯।।

તેમ સારામાં સારૂં ઘરેણું, સુવર્ણ કહે શિરોમણિ ।

નિષ્કુલાનંદ બૃહત વૈરાગ્યની, મોટપ્ય નથી જાતિ ગણી ।।૧૦।। કડવું ।।૧૬।।

 

રાગ :- રામગરી

(‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.)

તીવ્ર વૈરાગ્ય તડોવડ્યે, ના’વે સો સો સાધન ।

જપ તપ તીર્થ જોગ જે,  કરે કોઇ જન જગન; તીવ્ર૦ ।।૧।।

દાન પુણ્ય પાળે કોઇ ધર્મને, ગાળે હિમાળે તન ।

પ્રભુ પ્રસન્ન કર્યા કારણે, જગમાં કરેછે જન; તીવ્ર૦ ।।૨।।

પણ બૃહત વૈરાગ્ય વિના વાયદા, પ્રભુ પામવા કાજ ।

અવર બીજા ઉપાયથી, રાજી નો’યે મહારાજ; તીવ્ર૦ ।।૩।।

બૃહત વૈરાગ્યથી નથી વેગળા, અલબેલો અવશ્ય ।

નિષ્કુલાનંદ નજીક છે, બૃહત વૈરાગ્યને વશ્ય; તીવ્ર૦ ।।૪।। પદ ।।૪।।