ગઢડા પ્રથમ – ૪૬ : આકાશની ઉત્‍પત્તિ અને લયનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:10am

ગઢડા પ્રથમ – ૪૬ : આકાશની ઉત્‍પત્તિ અને લયનું

સંવત્ ૧૮૭૬ના માઘ સુદી ૧૧ એકાદશીને દિવસ સાંજને સમે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળી પાઘ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતિ બ્રાહ્મણ હતો તેણે શ્રીજી મહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “સમાધિને વિષે સર્વે લીન થાય છે ત્‍યારે આકાશ કેવી રીતે લીન થાય છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન થઇને સાંભળો જે, આકાશ તે અવકાશને કહીએ અને જે જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે. અને તે પદાર્થમાં પણ આકાશ વ્‍યાપીને રહે છે. અને એવું કોઇ પદાર્થ નથી જે જેને વિષે આકાશ ન હોય. કેમ જે પૃથ્‍વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિષે પણ આકાશ છે. અને તે એક રજના કોટાનકોટી કટકા કરીએ તોપણ તેને વિષે આકાશ છે. માટે આકાશની દૃષ્ટિએ જ્યારે જોઇએ ત્‍યારે પૃથ્‍વી આદિક ચાર ભૂત દેખાતાં નથી, એકલો આકાશ જ દેખાય છે. તે આકાશ સર્વનો આધાર છે. અને સ્‍થૂલ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ શરીર તે આકાશને વિષે છે, અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિષે રહ્યું છે. અને બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિ ને પુરૂષ તે પણ આકાશને વિષે છે. એવો જે આકાશ તે પ્રકૃતિ પુરૂષ અને તેનું કાર્ય જે પિંડ બ્રહ્માંડ એ સર્વને માંહી પણ રહ્યો છે. અને સર્વનો આધાર થઇને બહાર પણ રહ્યો છે. એવો જે આકાશ તે તો સુષુપ્‍તિને વિષે અથવા સમાધિને વિષે લીન થતો નથી.

અને કોઇ કહેશે જે “આકાશાદિક પંચભૂત તો તમોગુણથી ઉપજ્યાં છે તે આકાશ, પુરૂષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય ? ને સર્વમાં વ્‍યાપક કેમ કહેવાય ?” તો એનો ઉત્તર એ છે જે, પ્રકૃતિમાં જો અવકાશ રૂપ આકાશ ન હોય તો, જેમ વૃક્ષમાંથી ફળ પુષ્પાદિક બહાર નિસરે છે, અને જેમ ગાયના પેટમાંથી વાછડું બહાર નિસરે છે. તેમ પ્રકૃતિમાંથી મહત્તત્ત્વ નિસરે છે. તે કેમ નિસરે ? માટે પ્રકૃતિને વિષે આકાશ રહ્યો છે. અને મહત્તત્ત્વમાંથી અહંકાર નિસરે છે. માટે મહત્તત્ત્વમાં આકાશ રહ્યો છે, અને અહંકારમાંથી ત્રણગુણ નિસરે છે. માટે અહંકારને વિષે આકાશ રહ્યો છે, અને તમોગુણમાંથી આકાશ આદિ પંચભૂત નિસરે છે. માટે તમોગુણને વિષે પણ આકાશ રહ્યો છે. અને તમોગુણમાંથી જે આકાશ નિસરે છે, તે આકાશ તો તમોગુણનું કાર્ય છે. અને વિકારવાન છે, અને સર્વનો આધાર જે આકાશ છે તે નિર્વિકારી છે ને અનાદિ છે. અને એવો સર્વાધાર જે આકાશ છે. તે આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ, અને એ આકાશને વિષે પુરૂષ ને પ્રકૃતિ તે સંકોચ અવસ્‍થાને અને વિકાસ અવસ્‍થાને પામે છે. કેવી રીતે તો જ્યારે પુરૂષ પ્રકૃતિ સામું જુવે છે, ત્‍યારે જેમ સ્‍ત્રી પુરૂષ થકી સંતાનની ઉત્‍પત્તિ થાય છે, તેમ પુરૂષ જે પતિ ને પ્રકૃતિ રૂપ જે સ્‍ત્રી તે થકી મહત્તત્ત્વાદિક સંતાન ઉત્‍પન્ન થાય છે, એવી રીતે જે એ પ્રકૃતિ તે ચોવીશ તત્ત્વરૂપે ને પિંડ બ્રહ્માંડરૂપે થાય છે. એ પ્રકૃતિની વિકાસ અવસ્‍થા છે અને જેટલાં પ્રકૃતિનાં કાર્ય છે તેને વિષે પુરૂષ પોતાની શકિતએ કરીને વ્‍યાપક પણે રહે છે, તે પુરૂષની વિકાસ અવસ્‍થા છે. અને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વ નાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરૂષના અંગમાં લીન જેવી રહે છે, એ પ્રકૃતિની સંકોચ અવસ્‍થા છે, અને પુરૂષ પણ પ્રકૃતિનાં કાર્ય સર્વે નાશ પામ્‍યાં, ત્‍યારે પોતાને સ્‍વરૂપે રહ્યો, એ પુરૂષની સંકોચ અવસ્‍થા છે. જેમ કાચબો છે તે જ્યારે વિકાસને પામે છે ત્‍યારે પોતાનાં સર્વે અંગ બહાર કાઢે છે, અને જ્યારે સંકોચને પામે છે ત્‍યારે સર્વે પોતાનાં અંગ તાણી લે છે. તે રૂઢમૂઢ થઇ રહે છે તેમ પુરૂષ પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્‍થા છે. અને એ પ્રકૃતિ ને પ્રકૃતિનાં કાર્યને વિષે અન્‍વય વ્‍યતિરેકપણું પુરૂષનું જ છે, પણ સર્વનો આધાર એવો ચિદાકાશ તેનું નથી, કેમજે, જે સર્વાધાર હોય તે કોણ થકી વ્‍યતિરેક હોય ? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય. અને આ બ્રહ્માંડ છે તેને ચારેકોર લોકાલોક પર્વત છે. તે ગઢની પેઠે રહ્યો છે. અને તે લોકાલોકની બહાર તે અલોક છે, અને તે અલોકથી પર સપ્‍ત આવરણ છે, અને તેથી પર એકલું અંધારૂં છે. અને તે અંધારાંથી પર પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ. તેમજ ઉચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય અને તેની ઉપર સપ્‍ત આવરણ છે અને તે આવરણને પાર અંધકાર છે. અને અંધકારને પાર પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ, અને તેમજ હેઠે  પણ સપ્‍ત પાતાળ સુધી કહેવાય ને તેથી હેઠાં સપ્‍ત આવરણ છે, ને તેથી હેઠું અંધકાર છે. તેથી હેઠો પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ. એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે. અને બ્રહ્માંડની માંહી પણ છે. અને એવો જે એ સર્વાધાર આકાશ છે. તેને આકારે જેની દૃષ્ટિ વર્તતી હોય તેને દહરવિદ્યા કહીએ. અને અક્ષિવિદ્યા આદિક ઘણીક પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે. તે માંહેલી એ પણ એક બ્રહ્મવિદ્યા છે. અને એ ચિદાકાશ છે, તે અતિ પ્રકાશવાન છે, અને તે ચિદાકાશ અનાદિ છે ને તેની ઉત્‍પતિ અને વિનાશ નથી. અને જે આકાશની ઉત્‍પતિ અને વિનાશ કહ્યો છે, તે આકાશ તો તમોગુણનું કાર્ય છે. અને અંધકારરૂપ છે. તેની લીનતા થાય છે, પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી. એવી રીતે તે તમારા પ્રશ્ર્નનો ઉત્તર કર્યો. અને હવે તેમાં કોઇને શંકા રહી હોય તો પુછો ! પછી તે વેદાંતિ બ્રાહ્મણ તથા હરિજન બોલ્‍યા જે, હવે કોઇને લેશ માત્ર સંશય નથી. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૪૬||