ગઢડા પ્રથમ – ૪૭ : ચાર પ્રકારની નિષ્‍ઠાવાળાનાં લક્ષણ

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:11am

ગઢડા પ્રથમ – ૪૭ : ચાર પ્રકારની નિષ્‍ઠાવાળાનાં લક્ષણ

સંવત્ ૧૮૭૬ ના માઘ શુદિ ૧૨ દ્વાદશીને દિવસ સવારના પહોરમાં સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મઘ્‍યે, ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્‍યા જે, સર્વે સાવધાન થઇને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્‍થૂળ છે પણ સુધી સુરત દઇને સાંભળશો તો સમજાશે, નહિ તો નહિ સમજાય. પછી સર્વે હરિભકતે કહ્યું જે, હે મહારાજ! કહો. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઇકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઇકને આત્‍મનિષ્‍ઠા પ્રધાન હોય. અને કોઇકને વૈરાગ્‍યનિષ્‍ઠા પ્રધાન હોય ને કોઇકને ભકિતનિષ્‍ઠા પ્રધાન હોય. અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વે હરિભક્તમાં હોય છે. હવે જેને ભાગવતધર્મનિષ્‍ઠા પ્રધાન હોય તે તો અહિંસા, બ્રહ્મચર્યાદિક-રૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિદર્ંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવાચાકરી કરવી તેને વિષે પ્રીતિએ યુક્ત વર્તે અને તે ભક્તને ભગવાનનાં મંદિર કરવાં તથા ભગવાનને અર્થે બાગબગીચા કરવા તેને વિષે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારનાં નૈવેદ્ય ધરવાં તેમાં રુચિ વર્તે અને ભગવાનનાં મંદિરમાં તથા સંતની જાયગામાં લીપવું તથા વાળવું તેને વિષે રૂચિ વર્તે અને ભગવાનની શ્રવણ કીર્તનાદિક જે ભકિત તેને નિદર્ંભપણે કરે અને તે ધર્મનિષ્‍ઠાવાળા ભક્તને ભાગવતધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તનાદિકને વિષે અતિશે રૂચિ વર્તે. અને જેને  આત્‍મનિષ્‍ઠા પ્રધાન હોય તેતો ત્રણ દેહ અને ત્રણ અવસ્‍થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્‍મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઇષ્‍ટદેવ એવા જે પ્રત્‍યક્ષ શ્રીકૃષ્ણ પરમાત્‍મા તેને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્‍વરૂપ અને સદા દિવ્‍ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્‍મા તથા તે પરમાત્‍મા તેના શુદ્ધ સ્‍વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતનાં શાસ્ત્રમાં પ્રીતિએ યુક્ત વર્તે અને પોતાને આત્‍મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે એવી પ્રકૃતિવાળો હોય. અને જેને વૈરાગ્‍યનિષ્‍ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વ માયિક પદાર્થમાત્ર તેને વિષે નિરંતર અરૂચિ વર્તે અને અસત્‍યરૂપ જાણીને પોતે મળની પેઠે ત્‍યાગ કર્યાં જે ગૃહ કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્‍મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્‍યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભકિત કરે. તે પણ પોતાના ત્‍યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે. અને ત્‍યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે. અને ત્‍યાગને પ્રતિપાદન કરનારાં જે શાસ્ત્ર તેને વિષે રૂચિવાળો હોય અને પોતાના ત્‍યાગને વિષે વિરોધ કરનારાં જે સ્‍વાદુ ભોજન, અને સદ્વસ્‍ત્રાદિ પંચવિષય સંબંધી માયિક પદાર્થમાત્ર તેને પામવાને વિષે અતિશે અરૂચિ વર્તે, અને જેને ભકિતનિષ્‍ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્‍વરૂપને વિષેજ અતિશે દૃઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્‍વરૂપથી અન્‍ય એવાં જે માયિક પદાર્થ તેને વિષે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહિ, અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર અલંકારનું ધારણ કરે, અને તે ભક્તને ભગવાનનાં જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિષે અતિશે રૂચિ વર્તે, તથા ભગવાનની મૂર્તિનાં નિરૂપણને કરનારૂં જે શાસ્ત્ર તેને વિષે અતિશે રૂચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિષે પ્રેમને દેખે, તે ભક્તને વિષેજ તેને પ્રીતિ થાય, અને તે વિના તો પોતાના પુત્રાદિકને વિષે પણ કયારેય પ્રીતિ ન થાય, અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિષેજ નિરંતર પ્રવૃત્તિ હોય એવી રીતે આ ચાર નિષ્‍ઠાવાળા ભક્તનાં લક્ષણની વાર્તાને વિચારીને, જેવું જેનું અંગ હોય તેવું તે કહો. અને આ વાર્તા છે તેતો દર્પણ તુલ્‍ય છે. તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે, અને ભગવાનના ભક્ત હોય તેતો અંગ વિનાના હોય નહિ, પણ પોતાના અંગને ઓળખે નહિ એટલે પોતાના અંગની દૃઢતા થાય નહિ. અને જ્યાં સુધી પોતાના અંગની દૃઢતા ન થઇ હોય, ત્‍યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્‍યભિચરી જાય, માટે આ વાર્તાને વિચારીને પોત પોતાના અંગની દૃઢતા કરો. અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો ! પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્‍યા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેનું એક સરખું અંગ હોય તે ઉઠી ઉભા થાઓ, પછી જેનું જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઉભા થયા. પછી શ્રીજી મહારાજે એ સર્વને પાછા બેસાર્યા.

પછી નિત્‍યાનંદ સ્‍વામીએ પુછયું જે, “એ ચારે અંગવાળાને પોત પોતાના અંગમાં કાંઇ ગુણ દોષ છે કે નથી ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ગુણ દોષ છે તે કહીએ તે સાંભળો જે, એ ચારે અંગવાળા જે ભક્ત તેમનાં જે અમે પ્રથમ લક્ષણ કહ્યાં તે પ્રમાણે જે વર્તે તેતો એમને વિષે ગુણ છે, અને એ પ્રમાણે જે ન વર્તાય તેટલો એમને વિષે દોષ છે. પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, ”એે ચાર નિષ્‍ઠાવાળાને વિષે કોઇ અધિક ન્‍યૂન છે કે એ ચારે તુલ્‍ય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જ્યાં સુધી એક એક નિષ્‍ઠાને વિષે વર્તતા હોય ત્‍યાં સુધી તો એ ચારે સરખા છે. અને જ્યારે એ ચારે નિષ્‍ઠા એકને વિષે વર્તે ત્‍યારે તે સર્વે થકી અધિક છે, અને જ્યારે ચારે નિષ્‍ઠા એકને વિષે વર્તે ત્‍યારે તેને પરમભાગવત કહીએ અને એને જ એકાંતિક ભક્ત કહીએ.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૪૭||