લોયા ૧૫ : ભૂંગળી તથા ગાયના દૃષ્ટાંતે આત્મદર્શનનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 1:12am

લોયા ૧૫ : ભૂંગળી તથા ગાયના દૃષ્ટાંતે આત્મદર્શનનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૧૩ તેરસને દિવસ રાત્રિને સમે શ્રીજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંઘ્‍યો હતો તથા બીજે ધોળે ફેંટે બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ને ધોળી પછેડી તે ભેગાં કરીને ઓઢયાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ દેશદેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્‍યા જે, ”આ જીવ છે તે અઘ્‍યાત્‍મ, અધિભૂત અને અધિદૈવ ૪પણે કરીને સર્વ દેહમાં નખશિખાપર્યંત૫ વ્‍યાપીને રહ્યો છે અને દેવતા ને ઇન્‍દ્રિયોરૂપે કરીને જીવનું ભોકતાપણું છે પણ દેવતા ઇન્‍દ્રિયોથી પૃથક્પણે ભોકતા નથી.”

ત્‍યારે નિત્‍યાનંદસ્વામીએ આશંકા કરી જે, ”હે મહારાજ ! ત્‍યારે એમ કહેવાય છે જે જીવ જે, તે સામાન્‍યપણે સર્વ દેહમાં વ્‍યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે. ત્‍યારે સર્વ ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું, તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્‍યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્‍યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ જે કાંચની ભૂમિ હોય તથા સ્‍વચ્‍છ નિર્મળ પાણી હોય ત્‍યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોળાયેલું પાણી તેમાં જણાતો નથી, એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્‍યૂન અધિકપણું જણાય છે. તેમ એ જીવ ઇન્‍દ્રિયો, અંત:કરણ, ગોલક એ સર્વને વિષે સમાનપણે રહ્યો છે, પણ ઇન્‍દ્રિયોને વિષે સ્‍વચ્‍છપણું છે, માટે તેને વિષે વિશેષ પ્રકાશ જણાય છે. જુવોને નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાક કાનમાં કોઇ દિવસ જણાય છે ? નથી જણાતું. અને ચાર અંત:કરણનું અતિ સ્‍વચ્‍છપણું છે તો ત્‍યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે અને બીજી ઇન્‍દ્રિયોમાં ન્‍યૂન જણાય છે, પણ જીવતો સર્વ દેહને વિષે સમાનપણે રહ્યો છે”

ત્‍યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દિવાની જ્યોત જેવો દેખે છે તથા બપોરીયા જેવો દેખે છે તે કેમ સમજવું ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”એતો એમ છે જે, જેમ જેને અક્ષિવિદ્યા છે તેને નેત્ર દ્વારાએ જીવનું દર્શન થાય છે ને તેને વિષે ભગવાનની મૂર્તિને પણ દેખે છે, તેમ જેને ઇન્‍દ્રિય દ્વારા લક્ષ થયો તે તેવો આત્‍માને દેખે છે. જેમ કાંચનું પુતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે જે અવયવ તથા મુવાડા તથા નાડીઓ તે સર્વે કાચનાં હોય ને તે પુતળાંની માંહીલીકોરે તેજ ભર્યું હોય તે તેજ દેખાય, તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે પણ સમગ્ર નથી દેખાતું. તેમ એ જીવનું સ્‍વરૂપ જેણે જેવું દીઠું છે તે તેવું કહે છે, પણ એની નિરાવરણ દૃષ્ટિ નથી થઇ માટે એને જેવો આત્‍મા છે તેવો નથી દેખાતો અને જ્યારે એની નિરાવરણ દૃષ્ટિ થઇને આત્‍માકારે થાય છે, ત્‍યારે ઇન્‍દ્રિયોના ગોલકના જે વિભાગ તે એની દૃષ્ટિમાં નથી આવતા ને જેવો આત્‍મા છે તેવો જણાય છે. જેમ જે આકાશની દૃષ્ટિને પામ્‍યો હોય તેની દૃષ્ટિમાં બીજાં ચારભૂત નથી આવતાં, તેમ જેની નિરાવરણ દૃષ્ટિ થાય છે તેને ગોલક, ઇન્‍દ્રિયો, દેવતા, અંત:કરણ તેણે કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દૃષ્ટિમાં નથી આવતા ને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે. અને ભેદ દૃષ્ટિવાળાને જેવો છે તેવો નથી જણાતો. જેમ કોઇકે ગાયનું પુછડું દીઠું, કોઇકે મુખ દીઠું, ખુર દીઠો, પેટ દીઠું, સ્‍તન દીઠો, તેણે જેજે અંગ દીઠું તે ગાયનું જ દીઠું છે, પણ જેવી ગાય છે તેવી કોઇએ દીઠી નથી, અને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય. તેમ આત્‍માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્‍દ્રિયો દ્વારા અથવા અંત:કરણ દ્વારા થયું તેટલો તે આત્‍મદર્શી કહેવાય પણ સમ્‍યક્ આત્‍મદર્શન એને કહેવાય નહી. માટે અમે તો એ જીવને વિષે એવી રીતે સામાન્‍ય વિશેષપણું કહીએ છીએ.”

ત્‍યારે નિત્‍યાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”હે મહારાજ ! તમે જીવને તો નિરાકાર કહ્યો, ત્‍યારે તે જીવને વિષે ભગવાન રહ્યા છે તે પણ ૬અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે ? પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”ભગવાન તો ઇન્‍દ્રિયો, દેવતા, અંત:કરણ અને જીવ એ સર્વના આશ્રયપણે રહ્યા છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવભેળે ગોપીયોને કહેવરાવ્‍યું છે જે, ઇન્‍દ્રિયો, અંત:કરણ, દેવતા અને જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું. જેમ પંચ મહાભૂત બ્રહ્માંડને વિષે રહ્યાં છે ને તેનાં તેજ સર્વેના દેહમાં રહ્યાં છે, તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિષે રહ્યાં છે તેમ રહ્યો છું અને જેમ એ ભૂત જીવોના દેહોમાં સામાન્‍યપણે રહ્યાં છે તેમ હું તમારે પાસે રહ્યો છું અને જે હું દેખાતો નથી, તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિષે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું.

ત્‍યારે વળી નિત્‍યાનંદ સ્વામીએ પુછયું જે, ”હે મહારાજ ! એ ભગવાન ઇન્‍દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે, તે પુરૂષરૂપે કરીને રહ્યા છે, કે અક્ષરરૂપે રહ્યા છે, કે પોતે સ્‍વયં પુરૂષોત્તમપણે રહ્યા છે ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”જીવ, પુરૂષ, અક્ષર અને પુરૂષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે, માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઇ સમર્થ છે નહિ, અને ભેદ તો અતિશે છે પણ તે ભેદને દેખવાને કોઇ સમર્થ નથી. અને જેને એ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્‍ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે જે, ‘આ હું છું ને આ પુરૂષ છે, ને આ અક્ષર છે, ને એ સર્વેથી વિલક્ષણ  એવા આ પુરૂષોત્તમ છે.’ એવી રીતે એ સર્વેને પૃથક્પણે દેખે છે, ને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે, પણ બીજો તો કોઇ પૃથક્પણે દેખવાને અર્થે સમર્થ થાય નહિ. માટે એ ભગવાન સૂઝે એ રૂપે કરીને રહ્યા છે પણ પોતે જ રહ્યા છે.

અને વેદાંત જે ઉપનિષદ્ તથા યોગ તથા સાંખ્‍ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે તે એ શ્રીકૃષ્ણ પરમાત્‍માનું જ વર્ણન કરે છે. તે એ ત્રણ શાસ્ત્રના મત તે તમને અમે પૃથક્ પૃથક્પણે કરીને કહીએ તે સાંભળો. તેમાં જે સાંખ્‍યવાળા છે તે તો ચોવિશ તત્ત્વને કહીને તેથી પર પંચવિશમા પરમાત્‍માને કહે છે પણ જીવ ઇશ્વરને પૃથક્પણે નથી કહેતા. તેનો એ અભિપ્રાય છે જે તત્ત્વ છે તે જીવ વિનાનાં હોય નહિ, માટે તત્ત્વભેળો તદાત્‍મકપણે રહ્યો જે જીવ તેને તત્ત્વરૂપજ કહે છે. પણ તત્ત્વ થકી પૃથક્ નથી કહેતા અને જેમ જીવને ચોવીશ તત્ત્વરૂપે માને છે તેમ બ્રહ્માંડાભિમાની જે ઇશ્વર તેને પણ ચોવીશ તત્ત્વરૂપ માને છે. એવી રીતે જીવ-ઇશ્વર એ બેયને તત્ત્વરૂપ માનીને તત્ત્વ ભેળેજ ગણે છે પણ તત્ત્વથી નોખા નથી ગણતા, અને એ પંચવીશમા પરમાત્‍માને કહે છે એ સાંખ્‍યનો મત છે. પણ એમ ન સમજવું જે જીવ નથી, કાંજે, સાંખ્‍યવાળે ષટ્ સંપત્તિ, શ્રવણ, મનન, નિદિઘ્‍યાસનાદિક સાધન કહ્યાં છે તે જીવનેજ કરવાનાં કહ્યાં છે પછી તે સાધને કરીને વિચારને પામે ને તે વિચારે કરીને તત્ત્વથકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માને ને પરમાત્‍માને ભજે એવી રીતે સાંખ્‍યમત છે. તે મોક્ષધર્મમાં શુકજી પ્રત્‍યે નારદજીએ કહ્યું છે જે-

“ત્‍યજ ધર્મમધર્મં ચ ઉભે સત્‍યાનૃતે ત્‍યજ | ઉભે સત્‍યાનૃતે ત્‍યકત્‍વા યેન ત્‍યજસિ તત્ત્યજ ||”

એનો એમ અર્થ છે જે, ”જ્યારે મુમુક્ષુ આત્‍મ વિચાર કરવા બેસે ત્‍યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્‍યરૂપ, અસત્‍યરૂપ જે જે સંકલ્‍પ આવે તેનો ત્‍યાગ કરીને અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્‍યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું, પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્‍યાગ કરવો કહ્યો નથી, એ શ્લોકનો એ અર્થ છે. અને યોગવાળા છે. તે ચોવીશ તત્ત્વને પૃથક્ ગણે છે ને એ જીવ ઇશ્વરને પંચવિશમા કહે છે ને પરમાત્‍માને છવીશમા કહે છે અને વિવેકે કરીને પંચવિશમાને તત્ત્વથકી પૃથક્ સમજીને તેને વિષે પોતાપણાની દૃઢતા માનીને ચોવીશ તત્ત્વની જે વૃત્તિઓ તેનો પિંડીભાવ કરીને બળાત્‍કારે છવીશમાને વિષે રાખે પણ વિષય સન્‍મુખ જવા દે નહિ અને એમ સમજે, જે, ‘મારી વૃત્તિ ભગવાનને મુકીને બીજે ઠેકાણે જશે તો મને સંસૃતિ થશે.’ માટે અતિ આગ્રહ કરીને ઇન્‍દ્રિયો અંત:કરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિષે રાખે અને જે સાંખ્‍યવાળો છે તે તો એમ સમજે જે, ‘મારે ઇન્‍દ્રિયો અંત:કરણજ નથી તો જશે કયાં ? માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે. અને જે યોગવાળો છે તે તો ડરતો જ રહે છે. જેમ કોઇક પુરૂષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય ને તે પુરૂષને પગથિયાને ઉપર ઊચું ચડવું હોય, ને બેકોરથી ઉધાડી તલવારવાળા પુરૂષ ડરાવવાને ઉભા રહ્યા હોય, ને તે તેલને ઢોળવા દેવું ન હોય, ને તે પુરૂષ જેવો ભયને પામે, તેમ યોગવાળો વિષયથકી બીને ભગવાનને વિષે વૃત્તિઓને રાખે છે, એ યોગનો મત છે અને વેદાંત જે ઉપનિષદ્ તેનો મત એ છે જે, સર્વના અતિશે મોટા કારણ એવા જે પુરૂષોત્તમ નારાયણ બ્રહ્મ તેનુંજ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્‍યા માને છે, જેમ આકાશની દૃષ્ટિને જે પામ્‍યો હોય તે બીજા તત્ત્વને દેખે નહિ, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઇને દેખે નહિ, એવી રીતે વેદાંતનો મત છે.” ઇતિ વચનામૃતમ્ લોયાનું  ||૧૫|| ૧૨૩ ||