વાટડી જોઉં છું રે વહાલા, હજી કેમ નાવ્યા નંદલાલારે (૧)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 4:54pm

વાટડી જોઉં છું રે વહાલા, હજી કેમ નાવ્યા નંદલાલારે - વાટડી૦

કારતકે કપટ વચન કહાવો, નમેરા નાથ ન વ્રજ આવો;

મિથ્યા બોલા  તોય મન ભાવો રે. વાટડી૦ ૧

માગસરે મહાદુઃખમાં ગોપી, રહી  તન મન તમને સોંપી;

તમ સારુ લોક લાજ લોપી રે. વાટડી૦ ૨

પોષે પલંગ રચ્યો પ્રીતે, રસીલાશું રમશું રસ રીત્યે;

ભરોસે ભલે માર્યા સીતે રે. વાટડી૦ ૩

માહે મોહ લાગ્યો અતિ મુજને, શું કહીયે ન ગણતાં  તુજને;

ન લખીયો કાગળ સંગ દ્વિજને રે. વાટડી૦ ૪

ફાગણે વનવેલી ફુલી, કે  તે પર ભમર રહ્યા ઝુલી;

વાલમ વિના હું ભટકું ભૂલી રે. વાટડી૦ ૫

ચૈતરે ચિત્ત શાન્તિ નાવે, પીયું વિના ભોજન નવ ભાવે;

જાણું જે વ્હાલો આ વેળે આવે રે. વાટડી૦ ૬

વૈશાખે વાટ ઘણી જોઈને, ન લખીયો કાગળીયો કોઈને;

રહ્યા શું કુબ્જામાં મોહીને રે. વાટડી૦ ૭

જેઠે જગત સઘળે જાણી, કીધી  તમે કુબ્જા પટરાણી;

ભરો છો  તેનાં પરવશ થઈ પાણી રે. વાટડી૦ ૮

અષાઢે આરત ઘણી  તનમાં, બપૈયા બોલે છે વનમાં;

પીયુ પીયુ સુણી ઝુરું મનમાં રે. વાટડી૦ ૯

શ્રાવણે શ્યામ વિના સુનાં, ઉઠે ઘણું વાવલીયા ઊનાં;

પીયુજી પરહરિયાં જુનાં રે. વાટડી૦ ૧૦

ભાદરવે નવું નવું ભાવે, નગણાને મેહેર ન મન આવે;

જાણને કોણ કહી સમજાવે રે. વાટડી૦ ૧૧

આસો માસ અનંગબાણ મારે, એથી કોણ  તમ વિના ઊગારે;

કામનીનું કારજ કોણ સારે રે. વાટડી૦ ૧૨

આવ્યા ઘરે બળવંત બહુનામી, હવે હું  તો પૂરણ સુખ પામી;

મળ્યા મુક્તાનંદના સ્વામી રે. વાટડી૦ ૧૩

Facebook Comments