સારસિદ્ધિ કડવું - ૨૧

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 4:15pm

રાગ :- ધન્યાશ્રી

બૃહત વૈરાગ્ય વર્ણવ્યો બહુવિધિજી, અતિશય મોટપ્ય એહની કિધિજી ।

પ્રભુ પ્રસન્ન કરવા એ છે નૌત્તમ નિધિજી, સદા સુખકારી એ જાણો પ્રસિદ્ધિજી ।।૧।।

રાગ :- ઢાળ

પ્રસિદ્ધ પ્રભુને પામવા, એવી નથી બીજી મીરાંથ ।

સરવે અંતરાઈ અળગી કરી, આપે હરિના હાથમાં હાથ ।।૨।।

જે હરિ સિંધુ સર્વે સુખના, સદા સર્વદા સુંદર શ્યામ ।

જેને પામી ન રહે પામવું, પામી થવાયે પૂરણકામ ।।૩।।

તેહ પ્રભુને પમાડવા, શુદ્ધ વૈરાગ્ય છે વળાવો વળી ।

તેહ પો’ચાડે હરિ હજુરમાં, મુખોમુખ દિયે મેળવી ।।૪।।

પછી તે હરિજનને જાણજો, વિઘન સર્વે વિરમ્યાં ।

મળતાં શ્રીમહારાજને, દૈહિક દુઃખ સર્વે શમ્યાં ।।૫।।

કમી ન રહી કોઈ વાતની, પામ્યા પૂરણ પુરુષોત્તમ ।

સુંદર સાકાર મૂરતિ, અતિ રુપાળી રુડી રમ્ય ।।૬।।

તે પ્રભુની પાસે દાસ, વાસ કરીને રહે સદાય ।

બીજું ન ઇચ્છે અંતરે, ઇચ્છે ભક્તિ કરવા મનમાંય ।।૭।।

ભક્તિ વિના ભાવે નહિ, ભૂલ્યે પણ ભિંતર મોઝાર ।

સર્વે પ્રકારે સમઝે, ભક્તિ સારમાં સાર ।।૮।।

ભક્તિએ કરી હરિ રીઝવે, રિઝે સુખદ શ્રીમહારાજ ।

ત્યારે ખામી  રતિ પણ નવ રહે, પામે સર્વે સુખનો સમાજ ।।૯।।

ભાવે ભરી કરે ભગતિ, અતિ આનંદ આણી ઉર ।

નિષ્કુલાનંદ તેની ઉપરે, હરિ રાજી થાયે જરૂર ।।૧૦।। કડવું ।।૨૧।।