૨૬. રામપ્રતાપ તથા ઇચ્છારામને અંતિમ ભલામણ કરી ધર્મદેવે દેહત્યાગ કર્યો અને પ્રભુએ ગૃહત્યાગ કર્યો.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 6:42pm

પૂર્વછાયો-

સર્વે મળી હવે સાંભળો, અતિ વાત કહું અનૂપ ।

હરિ ઉપાસી જનને, છે સાંભળતાં સુખરૂપ ।।૧।।

ચર્ણે ચર્ણે ચરિત્ર ચવ્યાં, કૃષ્ણદેવનાં બહુ બહુ ।

અમૃતવત કથા એહ, સદમતિ સુણશે સહુ ।।૨।।

વચન છે ધર્મ દેવનાં, પુત્ર પ્રત્યે પરમાણ ।

શ્રવણ દઇ જે સાંભળે, તે પામે પદ નિરવાણ ।।૩।।

પછી ધર્મે સુત તેડાવિયા, દેવા શિખામણ સુખ કાજ ।

અંત સમે નિધિ આપવા, ઇછ્યા આપે મહારાજ ।।૪।।

ચોપાઇ-

પછી તેડાવિયા સુત દોય, આવી બેઠા વંદન કરી સોય ।

જયારે પુત્ર લાગ્યા આવી પાય, તેહ પ્રત્યે બોલ્યા ધર્મરાય ।।૫।।

હે પુત્ર તમે મારૂં વચન, હિતકારી છે માનજયો મન ।

કહું રહસ્ય તણી વાત એહ, ધરો હૃદયમાં કરી સ્નેહ ।।૬।।

મારા વચનમાંહિ પ્રતીત, હોય તો તમે ધારજયો ચિત ।

ત્યારે કર જોડી કહે બેઉ ભ્રાત, અમે માનશું કહો તમે તાત ।।૭।।

જે જે કહેશો આ સમે વચન, તે તે સત્ય માનવાં છે મન ।

ત્યારે ધર્મ કહે સુત શ્રેષ્ઠ, રાધાકૃષ્ણ જે આપણા ઇષ્ટ ।।૮।।

જેને ઉપાસું છું આઠું જામ, તેજ કૃષ્ણ આ શ્રીહરિ નામ ।

મારા સુત ને તમારા ભાઇ, તે છે કૃષ્ણ માનો મનમાંઇ ।।૯।।

હરિરૂપ આ કૃષ્ણ સાક્ષાત, તેની ભક્તિ કરજયો બે ભ્રાત ।

રહેજયો એના વચનમાં નિત્ય, કરજયો સેવા કરી બહુ પ્રીત્ય ।।૧૦।।

વળી કૃષ્ણની પ્રતિમા જેહ, આપણે પૂજીએ છીએ તેહ ।

તે આ શ્રીહરિની નિશ્ચે બુઝજયો, એમ જાણી વિધિએ પૂજજયો ।।૧૧।।

વળી પ્રથમ તમને મેં પુત્ર, કહ્યા શ્રીકૃષ્ણના જે બે મંત્ર ।

અષ્ટાક્ષર મંત્ર પામ્યા આપ, તે પણ આના જાણી કરો જાપ ।।૧૨।।

અહિંસાદિક પાળજયો નિયમ, રહેજયો સ્વધર્મમાં કરી પ્રેમ ।

મારી એટલી આગન્યા ધારી, ભજજયો હરિ આ સુખકારી ।।૧૩।।

એમ વર્તશો તમે સુજાણ, થાશે તમારાં કોટિ કલ્યાણ ।

એમ વર્તજયો બેઉ ભ્રાત, સત્ય માની લેજયો મારી વાત ।।૧૪।।

વળી કૃષ્ણ જે આ અક્રુદ્ધ, શસ્ત્ર લઇ નહિ કરે યુદ્ધ ।

નિજબુદ્ધિએ કરી દયાળ, કરશે અસુર જનનો કાળ ।।૧૫।।

કળી અધર્મથી વધ્યા ઘણા, વેશ લઇ રહ્યા મનુષ્ય તણા ।

તે પૃથ્વીએ લોપાવી સ્વધર્મ, પાપી કરાવે છે જે કુકર્મ ।।૧૬।।

તે અધર્મ ટળાવશે સહુ, કૃષ્ણભક્તિ કરાવશે બહુ ।

કરશે અલૌકિક બહુ કાજ, પછી વિચારીને વર્ણિરાજ ।।૧૭।।

નિજ આચારજ પદ જેહ, સ્થાપશે તમારે કુળે તેહ ।

એમ કરી મોટાં મોટાં કામ, પછી પધારશે નિજ ધામ ।।૧૮।।

ત્યારે હરિઆશ્રિત જે જન, તેને ધીરજ નહિ રહે મન ।

બહુ બહુ કરશે તે શોક, કહેશે પ્રભુજી ગયા ગોલોક ।।૧૯।।

થાશે નિરાધાર ને નિરાશ, ત્યારે ઉરમાં વિચારી દાસ ।

પછી શ્રીહરિની જે પ્રતિમા, કરશે પૂજા ભાવ લાવી તેમાં ।।૨૦।।

વળી મર્યાદા બાંધશે તેહ, તેમાં જન રહેશે નિમે જેહ ।

એની મૂર્તિના જે પૂજનારા, એવા ભક્ત જગતથી ન્યારા ।।૨૧।।

તેહ ધર્મ અર્થ મોક્ષ કામ, પામે જાણો પુરૂષ ને વામ ।

એમાં નથી સંદેહ લગાર, નિશ્ચે માનો કરી નિરધાર ।।૨૨।।

એવી તાતની સાંભળી વાત, ભાઇ બેઉ થયા રળિયાત ।

પછી લાગ્યા છે હરિને પાય, અમે તમારા છું ર્વિણરાય ।।૨૩।।

સર્વે કાળે કરો રક્ષા મારી, ત્યારે ભાઇ પ્રત્યે કહે મુરારી ।

તમે આદરે ભજો શ્રીકૃષ્ણ, તેણે કરી હું થાઇશ પ્રષ્ણ ।।૨૪।।

આપણે તાતે કરી આગન્યા, તમારે ન કરવું તે વિના ।

એવી સુણી બેઉ ભાયે વાણી, ભજયા શ્રીહરિને કૃષ્ણ જાણી ।।૨૫।।

પણ પ્રત્યક્ષ હરિનું ધ્યાન, રહ્યું હરિ ઇચ્છામાં નિદાન ।

કેદિ થાય ને કેદિ ન થાય, એવી રીતે વરતે સદાય ।।૨૬।।

એમ ધર્મે તેડી સુત બેને, કર્યો ઉપદેશ તેહ તેને ।

એકાદશી નિશિ રહેતાં જામ, જપે મંત્ર જેમાં શ્રીકૃષ્ણ નામ ।।૨૭।।

ત્યાં તો સૂર્ય તણું ઉદય થયું, ભાઇ સાંભળતાં નાથે કહ્યું ।

હે તાત જે અભીષ્ટ તમારે, હોય તે કહો કરવું મારે ।।૨૮।।

ત્યારે ધર્મ કહે સુણો હરિ, પૂર્ણકામ છઉં નિશ્ચે કરી ।

પણ શ્રીકૃષ્ણ ભક્તિની તૃપતિ, તેતો મારે મને નથી થાતી ।।૨૯।।

માટે દેહ પડ્યા સુધી ભક્તિ, કરવાને ઇચ્છું છું હું અતિ ।

થયું અશક્ત દેહ આ મારૂં, નથી થાતું તે પૂજન બારૂં ।।૩૦।।

માટે સાત દિવસમાં સુત, અર્થ સહિત સુણાવો ભાગવત ।

એવી સાંભળી તાતની વાણી, તેને મહારાજે બહુ વખાણી ।।૩૧।।

પછી મંડપ કર્યો સબુદ્ધ, તેડ્યો બ્રાહ્મણ વૈષ્ણવી શુદ્ધ ।

શ્રીમદ્ભાગવતનો ભણેલો, તેને તેડાવિયો ઘેર વહેલો ।।૩૨।।

યથા વિધિએ પૂજયા શ્રીકૃષ્ણ, કથા પ્રારંભી દ્વાદશી દિન ।

તેદિ થકી ધર્મે તે વિચારી, હરિમૂર્તિમાં વૃત્તિ ધારી ।।૩૩।।

જેને સમીપ આવે જ મરવું, તેને ઘટીત છે એમ કરવું ।

કથા સાંભળી પામ્યા આનંદ, તેણે જવર પીડા પડી મંદ ।।૩૪।।

સુણે દિવસમાં કથા કાને, રહે રાત્રિમાં સમાધિ ધ્યાને ।

એમ થયા છો દિન તે વાર, થયું સાતમે દિને સવાર ।।૩૫।।

તિથિ ચોથ્ય ને શુકરવારે, સુણિ કથા સંપૂરણ તારે ।

કરી કથા તણી સમાપતિ, આપ્યાં બ્રાહ્મણને દાન અતિ ।।૩૬।।

વસ્ત્ર ભૂષણ દક્ષિણા દીધિ, કરી પૂજા પછી રૂડી વિધિ ।

પછી બ્રાહ્મણ વળાવ્યો ઘેર, વળતા વિપ્ર જમ્યા રૂડી પેર ।।૩૭।।

ત્યાંતો દિવસ ચડીયો પહોર, ધર્મ તને જવરે કર્યું જોર ।

ત્યારે ધર્મે સ્વજન તેડાવ્યાં, જોખનાદિક જમીને આવ્યા ।।૩૮।।

બેઠા સમીપે આવી સ્વજન, ત્યાંતો દીઠું છે શિથિલ તન ।

વિચારીને સુતે વાત લીધી, તેડી વિપ્ર ક્રિયા સર્વે કીધી ।।૩૯।।

ધર્મશાસ્ત્રે વિધિ કહ્યો જેહ, ઘટે તેમ કરાવિયો તેહ ।

વળી બ્રાહ્મણ તેડી હજારૂં, આપ્યું કાચું અન્ન ઘૃત સારૂં ।।૪૦।।

આપી ધેનુ તણાં દાન વળી, પછી બેઠા ધર્મ પાસે મળી ।

ચાલ્યો એકદંડો શ્વાસ જાણી, નવરાવ્યા તીરથને પાણી ।।૪૧।।

ગઉછાણે લીંપી ભૂમિ સાર, તે ઉપર બેસાર્યા તે વાર ।

પછી પાસળે હતાં જે જન, કરવા લાગ્યાં શ્રીકૃષ્ણ ભજન ।।૪૨।।

ધર્મ પોતે તો હરિને જોઇ, થયાં સ્થિર તેમાં દ્રગ દોઇ ।

અનન્ય ભાવ એવા ધર્મદેવ, તેણે તજયું તન તતખેવ ।।૪૩।।

એમ શ્રીકૃષ્ણને પરતાપે, છુટ્યા ઋષિના શાપથી આપે ।

પછી ભક્તિ આદિ દઇ જેહ, સર્વે સંબંધી કહેવાય તેહ ।।૪૪।।

પુત્રરૂપ હરિની સેવાયે, રહ્યા હરિ સમીપે સદાયે ।

પછી નાથ બંધવને કાવી, ક્રિયા તાતની સર્વે કરાવી ।।૪૫।।

ધર્મશાસ્ત્રમાં જે વિધિ કહ્યો, દાહાદિક તેમ પૂરો થયો ।

સર્વે સંબંધી ઘરનાં જન, શોકાતુર કરે છે રૂદન ।।૪૬।।

કર્યાં શ્રાદ્ધ તે તેરમા સુધી, જમાડ્યા બ્રાહ્મણ ભલી વિધિ ।

પછી શ્રવણી થઇ જાણી જન, લાવ્યા વસ્ત્ર ઘરેણાં ને ધન ।।૪૭।।

આપી રામપ્રતાપને તેહ, ગયાં સૌ સૌને ઘેર એહ ।

રામપ્રતાપ ને ઇચ્છારામ, જપે મંત્ર રટે કૃષ્ણનામ ।।૪૮।।

નિજભાઇમાં શ્રીકૃષ્ણભાવ, રાખે સદાય કરી ઉછાવ ।

હરિ પોતે અતિનિસપ્રેહ, જેને કોયશું નથી સનેહ ।।૪૯।।

પોતે રહ્યાતા ઘેર જે વાતે, થઇ પુરી તજયું તન તાતે ।

વળતો કર્યો છે બીજો વિચાર, કરવા અનેક જીવ ઉદ્ધાર ।।૫૦।।

કરી શ્રીહરિ એટલું કામ, ચાલ્યા ઘેર થકી ઘનશ્યામ ।

સંવત્ અઢાર ઓગણપચાસ, વર્તે વર્ષમાં આષાઢ માસ ।।૫૧।।

શુદી દશમી શુકરવાર, તેદિ પ્રભુજી થયા તૈયાર ।

પ્રાતઃકાળે ચાલ્યા નાવા મિષે, ત્યાંથી શુદ્ધ ઉત્તરની દિશે ।।૫૨।।

ઘરપરથી ઉતર્યું મન, વહાલું લાગે છે વસવું વન ।

એક કોપીન ને આચ્છાદન, તે વિના બીજું નથી વસન ।।૫૩।।

મૃગછાળા ને તુલસી માળ, ઉર્ધ્વપુંડ્ર ચિહ્ન છે વિશાળ ।

જટામુકુટ મંડિત માથે, લીધો પલાશનો દંડ હાથે ।।૫૪।।

ચારે શાસ્ત્રતણું જેહ સાર, તેનું પુસ્તક ખભા મોઝાર ।

મુંજી મેખળા કમંડળું કર, પાસે ભિક્ષાનું પાત્ર સુંદર ।।૫૫।।

બાળમુકુંદ ને શાળગ્રામ, બાંધ્યો કંઠે બટવો તે શ્યામ ।

એવા થકા સરજૂને તીર, આવ્યા ઉતરવા નદી નીર ।।૫૬।।

વળી જુવે છે વાણની વાટ, તર્ત નદી ઉતરવા માટ ।

બિયે મનુષ્ય આવતાં ભાળી, જાણે રખે જાય પાછા વાળી ।।૫૭।।

એવે સમે આવ્યો છે અસુર, જાણ્યું મળીયો વૈરી જરૂર ।

તેણે ગડથલાવી ગળે ઝાલી, નાખી પુરમાં નિસર્યો ચાલી ।।૫૮।।

જળ અગાધ અથાહ વહે, જે પડે તે જીવતો ન રહે ।

મોટા મઘર મત્સ્ય છે જેમાં, જળઘોડા કાત્રણિયો તેમાં ।।૫૯।।

જળસાપ ને ક્રચલા કઇ, મઘરિયો રહી દોટું દઇ ।

જેમાં ઝુડ્યું જળોયું ચિતળ્યું, મેલે નહિ નાનું મોટું મળ્યું ।।૬૦।।

એવા જળજંતુ દુઃખકારી, વહે નીર ભયંકર ભારી ।

ઉઠે લેર્યો ભમરિયો વળે, માંહિ લોઢ મોટા તે ઉછળે ।।૬૧।।

ચાલે પ્રચંડ વેગમાં પૂર, તેમાં નાખીને ચાલ્યો અસુર ।

દીઠા દૂરલગિ તો તણાણા, પછી દુષ્ટને નૈવ દેખાણા ।।૬૨।।

ત્યારે પાપીએ એમ પ્રમાણ્યું, મુવો વૈરી નિશ્ચે મન જાણ્યું ।

પછી દૈત્ય ગયો નિજધામ, કહે કરી આવ્યો મોટું કામ ।।૬૩।।

વૈરી માર્યો કહી એવી વાત, ત્યારે અસુર થયા રળિયાત ।

હવે હરિ પડ્યા છે જે પૂરે, તેતો નિસર્યા જઇ દૂરે ।।૬૪।।

ત્રણ પહોર રહ્યા જળમાંઇ, બાર ગાઉ નિસર્યા તણાઇ ।

પૂજા પુસ્તક પાસળે રહ્યું, બીજું સરવે તણાઇ ગયું ।।૬૫।।

એમ નિસરિયા જયારે નાથ, ચાલ્યા એકલા નહિ બીજું સાથ ।

લીધી કાળા પર્વતની વાટ, સૌને વિસારીને વરણિરાટ ।।૬૬।।

પડી સાંજ ને આથમ્યો દિન, આવ્યું ઘોર વિકટ ત્યાં વન ।

રહ્યા રાત્ય તે વન મોઝાર, નથી મનમાં બીક લગાર ।।૬૭।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મ દેહત્યાગ ને શ્રીહરિ ઘેરથી નિસર્યા એ નામે છવિસમું પ્રકરણમ્ ।।૨૬।।